સંત રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે ભાજપના સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત અંબાજીથી શરૂ થયેલી કળશ યાત્રાનું અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે સમાપન થયું. કાશીની પવિત્ર માટીયુક્ત આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા અને સંત રવિદાસના જાતિભેદ વિરોધી વિચારોને યાદ કરી મહાપુરુષોના સન્માનની ભાવના વ્યક્ત કરી હતી.
Kalash Yatra: સંત શિરોમણી રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિના પવિત્ર અવસર પર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત 'સમરસતા સંકલ્પ અભિયાન' અંતર્ગત કાઢવામાં આવેલી કળશ યાત્રાનું અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સંત રવિદાસના વિચારો અને સમાનતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો હતો, જેને લઈને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
અંબાજીતી શરૂ થઈ હતી યાત્રા
આ કળશ યાત્રા ગત 1 ઓગસ્ટે જગતજનની અંબાજી માતાના ધામથી શરૂ થઈ હતી અને રાજ્યના વિવિધ માર્ગો પરથી પસાર થઈને અમદાવાદ પહોંચી હતી. આ વિશેષ કળશમાં સંત રવિદાસની જન્મભૂમિ કાશીથી લાવવામાં આવેલી પવિત્ર માટી રાખવામાં આવી હતી, જે યાત્રાનું મુખ્ય આકર્ષણ બની રહી હતી.
CM સહિત અગ્રણીઓ ઉપસ્થતિ રહ્યા
જગન્નાથ મંદિર ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપે હંમેશાં દેશના મહાપુરુષો અને સંતોનું સન્માન કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સંત રવિદાસે સમાજમાંથી કુરિવાજો અને દૂષણો દૂર કરવા માટે મહત્વનું કાર્ય કર્યું હતું. ઈતિહાસની યાદ તાજી કરતા તેમણે જણાવ્યું કે સંત રવિદાસ ઘણા દિવસો સુધી જૂનાગઢમાં રોકાયા હતા અને તે સમયે પણ તેમણે જાતિભેદનો પ્રખર વિરોધ કરીને સમરસ સમાજની રચના પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચોઃ Rajkot: 'અમારા પાસે જેટલું હશે એ આપીશું પણ કામ ક્વોલિટીવાળું કરજો', CM ભૂપેન્દ્રભાઈ પટેલની રાજકોટના મેયરને ટકોર