નેપાળ બાદ Gen Zના આંદોલને Madagascar માં સરકાર ઉથલાવી, રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા!
- નેપાળ બાદ Madagascar માં પણ તખ્તા પલટો
- રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોલીના દેશ છોડીને ભાગી ગયા
- મંગળવારે સૈન્યએ સત્તા કબજે કરવાની જાહેરાત કરી
નેપાળ પછી હવે આફ્રિકાના પૂર્વ કિનારા પર આવેલા ટાપુ રાષ્ટ્ર મેડાગાસ્કરમાં યુવાનો (Gen Z) ના આંદોલને સરકારને ઉથલાવી દીધી છે. મહિનાઓ સુધી ચાલેલા સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો અને રાષ્ટ્રીય સભાના મહાભિયોગ પ્રસ્તાવને પગલે, રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોલીના દેશ છોડીને ભાગી ગયા, જેના થોડા સમય બાદ મંગળવારે સૈન્યએ સત્તા કબજે કરવાની જાહેરાત કરી છે.
Madagascar માં પણ તખ્તા પલટો
CAPSAT યુનિટના કમાન્ડર કર્નલ મિશેલ રેન્ડ્રીયાનિરીનાએ રાષ્ટ્રીય રેડિયો પર જાહેરાત કરી કે રાષ્ટ્રપતિના ભાગી જવા અને મહાભિયોગ મતદાન બાદ સૈન્યએ "સત્તા કબજે કરી" છે. સૈન્યએ સંસદના નીચલા ગૃહ સિવાય દેશની તમામ સંસ્થાઓને વિસર્જન કરી દીધી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લશ્કરી અને જેન્ડરમેરી અધિકારીઓની કાઉન્સિલ ટૂંક સમયમાં નાગરિક સરકાર બનાવવા માટે એક વડા પ્રધાનની નિમણૂક કરશે.
Madagascar ના રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા
ઉલ્લેખનીય છે કે 51 વર્ષીય રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોલીનાએ મહાભિયોગ કાર્યવાહી અટકાવવા માટે વટહુકમ દ્વારા રાષ્ટ્રીય સભાને વિસર્જન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પગલું ઉલટું પડ્યું. સૈન્ય અને સુરક્ષા દળોના એક મોટા ભાગે બળવો કર્યો અને વિરોધીઓ સામે કાર્યવાહી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આ ઘટનાના ગણતરીના કલાકો પછી, રાષ્ટ્રપતિ રાજોલીના ફ્રેન્ચ લશ્કરી વિમાનમાં મેડાગાસ્કરથી ભાગી ગયા. જોકે, તેમના કાર્યાલયે ભાગી જવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે જીવને જોખમ હોવાથી તેઓ ફક્ત "સુરક્ષિત સ્થાન" પર ગયા છે.
Madagascar Gen Z નો અસરકારક આંદોલન
આ ઘટનાક્રમ યુવાનો દ્વારા સંચાલિત લગભગ ત્રણ અઠવાડિયાના જોરદાર વિરોધ પ્રદર્શનોનું પરિણામ છે. ૨૫ સપ્ટેમ્બરના રોજ અનિયમિત પાણી અને વીજળી પુરવઠાના મુદ્દે શરૂ થયેલો આ વિરોધ ઝડપથી ભ્રષ્ટાચાર, ગેરવહીવટ અને વ્યાપક ગરીબી પ્રત્યે સરકારની ઉદાસીનતા સામેની રાષ્ટ્રવ્યાપી ચળવળમાં પરિવર્તિત થઈ ગયો હતો.આ યુવા પ્રદર્શનકારીઓ, જેને Gen Z તરીકે ઓળખવામાં આવે છે, તેઓ જાપાની એનાઇમ "વન પીસ" ના પોસ્ટરો અને માલાગાસી ત્રિરંગાના ધ્વજ લહેરાવીને રસ્તા પર ઉતર્યા હતા. મેડાગાસ્કરની લગભગ ત્રણ ચતુર્થાંશ વસ્તી ગરીબીમાં જીવે છે, અને યુવાનોમાં બેરોજગારી અને સરકાર પ્રત્યે ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે.
ટોકટીમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે 2009ના બળવામાં રાજોએલિનાને સત્તા પર લાવનાર ચુનંદા લશ્કરી એકમ CAPSAT પણ તેમની વિરુદ્ધ થઈ ગયું. આ યુનિટના સૈનિકોએ રાજધાનીમાં વિરોધીઓને વિખેરવાને બદલે તેમનું રક્ષણ કરવાનું શરૂ કર્યું. પોલીસ અને અર્ધલશ્કરી દળોએ પણ સરકારથી સંબંધ તોડી નાખતા રાષ્ટ્રપતિ માટે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 9 લોકોના મોત,8ની હાલત ગંભીર