Ahmedabad : અમરદીપ હોસ્પિટલમાં બાળકનું મોત, ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો પરિવારનો આરોપ
- બાળકને લીવરની ગાંઠ હોવાથી કરાયું હતું એડમિટ
- ડોક્ટરે કહ્યું બાળકનું સફળ ઓપરેશન થયું હતું
- પરિવારે કહ્યું તેની કાળજી ન લીધી તેથી મોત થયું
Ahmedabad : અમરદીપ હોસ્પિટલમાં બાળકનું મોત થયુ છે. જેમાં ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો પરિવારનો આરોપ છે. બાળકને લીવરની ગાંઠ હોવાથી એડમિટ કરાયું હતુ. જેમાં ડોક્ટરે કહ્યું બાળકનું સફળ ઓપરેશન થયું હતુ. તથા પરિવારે કહ્યું તેની કાળજી ન લીધી તેથી મોત થયું છે. આ મામલે પરિવારજનોએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા છે.
અમરદીપ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું
શહેરના પાલડી વિસ્તારની અમરદીપ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. જે બાબતે મૃતક બાળકના પરિવારજનો ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. ગુરુવારે નવજાત બાળકને લીવરની ગાંઠ હોવાના કારણે ભાવનગરથી અમદાવાદ રીફર કરવામાં આવ્યું હતું. ડોક્ટરોનો દાવો છે કે આ ઓપરેશન ખૂબ જટિલ હતું પરંતુ ડોક્ટરોની મહેનતના કારણે તે સફળ રહ્યું અને બાળક સ્વસ્થ થયું હતુ. જોકે તેના ત્રણ દિવસ બાદ જ બાળકનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
પરિવારજનોને તમામ પ્રકારના રીસ્કની જાણકારી આપવામાં આવી હતી
મૃતક બાળકના પરિવારજનોનું કહેવું છે કે ઓપરેશન તો સફળ રહ્યું પરંતુ તે બાદ તેની જે સંભાળ થવી જોઈએ એ સંભાળ થઈ ન હતી. મૃતક બાળકના પરિવારજનોનો આરોપ છેકે બાળકની તબિયત બગડ્યા બાદ અડધો કલાકના સમય પછી ડોક્ટર આવ્યા હતા. મતલબ કે ડોક્ટર મોડા પડવાના કારણે તેમના બાળકનો ઈલાજ સારી રીતે શક્ય ન થયો. બીજી તરફ હોસ્પિટલના સંચાલકોનું કહેવું છે કે બાળક જ્યારે માતાના ગર્ભમાં હતો ત્યારથી જ તેને લીવરમાં ગાંઠ હોવાની સમસ્યા આવી હતી. તેમજ ભાવનગરમાં ડિલિવરી થયા બાદ તેને વધુ સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યુ હતું . જ્યાં પરિવારજનોને તમામ પ્રકારના રીસ્કની જાણકારી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: Ahmedabad : રાણીપમાં નશો કરી પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત, ત્રણથી ચાર વાહનોને કારે અડફેટે લીધા