Ahmedabad: રાજ્યના સૌથી મોટા ST વર્કશોપમાં ફરજ બજાવતાં કર્મચારીઓ થયા દુ:ખી, જાણો શું છે તેમની વેદના
- જાણો શું છે કર્મચારીઓની વેદના અને પત્રમાં કઇ રજૂઆત કરાઇ
- સમગ્ર નિગમના કર્મચારીઓમાં રોષની લાગણી ઉભી થઇ
- કામદારો દ્વારા સ્વયંભૂ રીતે ગાંધી ચિન્ધ્યા માર્ગે આંદોલન કરશે
Ahmedabad: અમદાવાદ ખાતે આવેલ નરોડા વર્કશોપ ગુજરાતનું સૌથી મોટું વર્કશોપ છે. જે 51 એકરમાં ફેલાયેલું છે તે હવે બંધ થવાની હાલતમાં આવી ગયુ છે. તેમજ ત્યાં કામકરતા કર્મચારીઓ પણ અન્યત્ર ફરજો આપવામાં આવતા રોષ ફાટી નિકળ્યો છે. જેમાં કર્મચારી સંગઠનોએ તેમની વેદના મંત્રી વાહનવ્યવહાર સમક્ષ પત્ર દ્વારા જણાવી છે.
જાણો શું છે કર્મચારીઓની વેદના અને પત્રમાં કઇ રજૂઆત કરાઇ
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, નિગમ માન્ય ત્રણેય સંગઠનો દ્વારા આ બાબતે વાહનવ્યવહાર મંત્રી સમક્ષ તા.૧૨-૧૦-૨૦૨૩ ના રોજ કરેલ ચર્ચામાં મેનેજમેન્ટ તરફથી નરોડા વર્કશોપખાતે ફરજ બજાવતાં કર્મચારીઓને અન્યત્ર ફરજો સોંપવામાં નહીં આવે તેવી ખાત્રી આપેલ હોવા છતાં તેમજ માન્ય સંગઠનો દ્વારા કરેલ રજુઆત સંદર્ભે મેનેજમેન્ટ દ્વારા ચેસિસની ખરીદી કરી બોડીબિલ્ડીંગની કામગીરી નરોડાખાતે કરાવવાની ખાત્રી આપેલ હોવા છતાં અમારી સાથે થયેલ ચર્ચા અને આપેલ ખાત્રીનો ભંગ કરી રેડીબિલ્ટ વાહનોની ખરીદીની પ્રક્રિયા હાથ ધરાયેલ છે, જેથી નિગમ ધ્વારા વર્ષ-૨૦૨૫-૨૬ના વર્ષમાં જે રેડીબિલ્ટ વાહનો ખરીદવાની પ્રક્રિયા હાથ ધરી ખાનગીકરણને પ્રોત્સાહન અપાઈ રહેલ છે, તેમાં પુનઃ વિચારણાં કરી ચેસિસની ખરીદી કરી તેની ઉપર નિગમના નરોડા વર્કશોપ ખાતે બોડીબિલ્ડીંગની કામગીરી થવા પામે તે માટે અમારી વિનંતી છે, સાથેસાથે એ પણ જણાવવાનું કે, નિગમના કામદારોને લગતા અગત્યના પ્રશ્નો પરત્વે પણ મેનેજમેન્ટનું વારંવાર ધ્યાન દોરવામાં આવેલ છે.
સમગ્ર નિગમના કર્મચારીઓમાં રોષની લાગણી ઉભી થઇ
આવી રેડીબિલ્ટ વાહનોના છેલ્લા બે વર્ષમાં થયેલ અકસ્માતો જોતાં તેમાં ફરજ પરના ડ્રાયવર, કંડકટર અને મુસાફરોના જીવ ગુમાવવા તેમજ ગંભીર ઈજા કારણે પહોંચવાના બનાવો બનવા પામેલ છે, આવી રેડીબિલ્ટ બસો નિગમના વર્કશોપખાતે જે સ્પેસીફીકેશન મુજબ બનાવવામાં આવે છે તે મુજબ નહીં હોવા બાબતે અમો માન્ય સંગઠનો દ્વારા વહીવટનું ધ્યાન દોરવામાં આવેલ. પરંતુ વર્ષ-૨૦૨૫-૨૬ના વર્ષ માટે પણ નિગમ દ્વારા ૧૬૦૦ થી પણ વધુ રેડીબિલ્ટ બસો લેવા માટેના ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. દુઃખ સાથે જણાવવું પડે છે કે, નરોડા વર્કશોપખાતે ફરજ બજાવતાં ૧૨૭ થી વધુ કર્મચારીઓની નોકરીની શરતોનો ભંગ કરી મુવમેન્ટ ઉપર અન્યત્ર વિભાગો ખાતે ફરજ સોંપવામાં આવેલ છે, તેમજ નરોડા વર્કશોપ ખાતે લાખો-કરોડોની મશીનરી પણ બિનવપરાશી બની ભંગાર થવાની શકયતા નકારી શકાય નહીં, જેનાથી સમગ્ર નિગમના કર્મચારીઓમાં રોષની લાગણી ઉભી થવા પામેલ છે. આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રીને પણ પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.
કામદારો દ્વારા સ્વયંભૂ રીતે ગાંધી ચિન્ધ્યા માર્ગે આંદોલન કરશે
આ બાબતે નિગમના માન્ય સંગઠનો સાથે દિન-૧૦માં પરામર્શ કરી યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો ના છુટકે નિગમ અને કામદાર હિતમાં કામદારો દ્વારા સ્વયંભૂ રીતે ગાંધી ચિન્ધ્યા માર્ગે આંદોલન કરશે, અને તેનાથી ઉભી થનાર પરિસ્થિતિ પરિણામની સંપુર્ણ જવાબદારી નિગમના મેનેજમેન્ટની રહેશે, જે નમ્ર વિદિત થવા વિનંતી છે. તેમ નરોડા વર્કશોપ ખાતે ફરજ બજાવતાં કર્મચારીઓએ જણાવ્યું છે.
આ પણ વાંચો: Visavadar by Election - ઝેર પીને મરી જાઉં પણ ખેડૂતોનો એક પણ રૂપિયો ન લઉં : કિરીટ પટેલ