AHMEDABAD PLANE CRASH : બહેન સાથેનો આખરી સંવાદ યાદ કરીને ભાઇના આંસુ સુકાતા નથી
- ગુજરાતમાં સારવાર માટે આવેલી બહેન પરત ફરતા પ્લેન ક્રેશનો ભોગ બની
- બહેન અશક્ત હોવાથી ભાઇએ એરપોર્ટ પર તેનો સામાન ઉંચક્યો હતો
- બહેન સાથેનો એરપોર્ટ પરનો સંવાદ આખરી બનીને રહી ગયો
AHMEDABAD PLANE CRASH : અમદાવાદમાં ગુરુવારે હૃદયદ્રાવક પ્લેન ક્રેશની (AHMEDABAD PLANE CRASH) ઘટના સામે આવી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયાના થોડી મિનિટો પછી જ ક્રેશ થઇ ગઇ હતી. આ ફ્લાઇટમાં પાઇલટ અને ક્રૂ મેમ્બર્સ સહિત 242 લોકો સવાર હતા. તૈ પૈકી 241 લોકોએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. ખેડા જિલ્લા (KHEDA DISTRICT) ની રૂપલ પટેલ (ઉં .45) પણ આ ફ્લાઇટમાં મુસફરી કરી રહી હતી, તેઓ તેમના માતાપિતાના ઘરે આવ્યા હતા. રૂપલબેનનો ભાઈ પવન પટેલ તેમને અમદાવાદ એરપોર્ટ (AHMEDABAD AIRPORT) પર મૂકવા આવ્યો હતો. આ પ્લેન ક્રેશ બાદ રૂપલબેનના ભાઈની હાલત ખરાબ છે, તે સતત રડી રહ્યા છે. પવને મીડિયાને જણાવ્યું કે, તેની બહેનને વિદાય આપતા પહેલા તેણે તેને ગળે લગાવી અને પોતાનું ધ્યાન રાખવા કહ્યું. આ બંને વચ્ચેનો આખરી સંવાદ હતો.
બહેનને લંડન જતી ફ્લાઇટ માટે એરપોર્ટ પર મૂકવા ગયો
મળતી માહિતી મુજબ, પવન પટેલ ખેડા જિલ્લાના નડિયાદના ઉત્તરસંડા ગામનો રહેવાસી છે. પવન પટેલે મીડિયાને જણાવ્યું કે, બહેન રૂપલ પટેલ 15 વર્ષથી તેમના પતિ અને બાળકો સાથે લંડનમાં રહેતા હતા. તે થોડા સમય પહેલા પોતાની સારવાર માટે ભારત આવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, હું મારી બહેનને લંડન જતી ફ્લાઇટ માટે એરપોર્ટ પર મૂકવા ગયો હતો. મેં તેને સામાન ઉપાડવામાં મદદ કરી કારણ કે તે બીમાર હતી. આ પછી મેં તેને ગળે લગાવી અને કહ્યું કે પોતાનું ધ્યાન રાખજે. પણ, હું ઘરે પાછો ફરતાં મને સમાચાર મળ્યા કે ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે.
સારવાર દરમિયાન અમારી સાથે રહેતા હતા
રૂપલ પટેલની ભાભી હીના પટેલે રડતા રડતા કહ્યું કે, મારી ભાભીનું આ અકસ્માતમાં મૃત્યુ થયું છે. તે લંડનમાં રહેતા હતા અને સારવાર માટે ભારત આવ્યા હતા. તેઓ સારવાર દરમિયાન અમારી સાથે રહેતા હતા. પવન પટેલે ઉમેર્યું કે, તેમનો ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ 72 કલાક પછી આવશે.
આ પણ વાંચો ---- AHMEDABAD PLANE CRASH : ઇદ મનાવવા આવેલા પરિવાર માટે આખરી મુસાફરી સાબિત થઇ