Ahmedabad એ 1988 માં જોઈ હતી આવી જ ભયાવહ વિમાન દુર્ઘટના, 133 ના ગયા હતા જીવ!
Ahmedabad Plane Crash: ઈતિહાસમાં 19 ઓક્ટોબર 1988 નો દિવસ અમદાવાદ માટે એક કાળો દિવસ બનીને નોંધાયેલો છે. સવારના શાંતિપૂર્ણ વાતાવરણને ભેદીને એક ગોઝારી ઘટના બની, જ્યારે મુંબઈથી અમદાવાદ આવી રહેલી ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ 113 શહેર નજીકના છાણિયાર ગામ પાસે ધડાકાભેર જમીન સાથે અથડાઈ. આ ભયાવહ દુર્ઘટનામાં 135 મુસાફરો અને ક્રૂ પૈકી 133 લોકોએ કરુણ મોત ભોગવ્યા, જ્યારે માત્ર બે વ્યક્તિઓ જ જીવતા બચી શક્યા.
પાઇલટે ઘોર બેદરકારી દર્શાવે છે
બોઇંગ 737-200 મોડેલનું આ વિમાન સવારે લગભગ 6:45 વાગ્યે અમદાવાદ એરપોર્ટના રનવે 23 પર લેન્ડિંગ માટે આવી રહ્યું હતું. તે સમયે દ્રષ્ટિમાનતા અત્યંત ઓછી, માત્ર 200 મીટર જેટલી જ હતી. આટલી ઓછી વિઝિબિલિટી હોવા છતાં, પાઇલટે ઇન્સ્ટ્રૂમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) નો ઉપયોગ કર્યા વિના વિઝ્યુઅલ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો, જે તેની ઘોર બેદરકારી દર્શાવે છે.
તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી
દુર્ઘટના બાદ થયેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી. પાઇલટે મિનિમમ ડિસેન્ટ એલ્ટિટ્યુડ (MDA) ની અવગણના કરી અને વિમાનને નિર્ધારિત પાથથી નીચે ઉતાર્યું. જેના પરિણામે, વિમાન સૌપ્રથમ વીજળીના ખંભા સાથે અથડાયું અને ત્યારબાદ ઝાડ સાથે ટકરાયું. આ વિનાશકારી અથડામણોને કારણે વિમાન જમીન પર બેફામ ઝડપે પટકાયું અને ક્ષણભરમાં આગના ગોળામાં ફેરવાઈ ગયું.
આ પણ વાંચો -Ahmedabad plan crash: 4 IAS અધિકારીઓને સિવિલમાં ઇમરજન્સી ડ્યુટીમાં મુકાયા
પાઇલટની ભૂલનું પરિણામ નહોતી
આ દુર્ઘટના માત્ર પાઇલટની ભૂલનું પરિણામ નહોતી, પરંતુ વિમાની સલામતી માટે જવાબદાર એવિએશન નિયંત્રણ સંસ્થાઓની વ્યાપક નિષ્ફળતા પણ છતી થઈ. અમદાવાદ એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા પણ વિમાનને પૂરતી દ્રષ્ટિ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું ન હતું. આ સિસ્ટમની ખામીઓએ 133 નિર્દોષ લોકોનો ભોગ લીધો.આ દુર્ઘટનાના પગલે સમગ્ર દેશમાં શોકની ગહેરી લાગણી વ્યાપી ગઈ હતી. વિવિધ નાગરિક ઉડ્ડયન વિભાગો, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો -Air India Plane Crash: BJ Medical કોલેજની અને હોસ્ટેલમાં મોટું નુકસાન,4 મોતની આશંકા
1988ની આ દુર્ઘટનાનો કડવો અનુભવ
અંતિમ અહેવાલમાં સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું કે આ દુર્ઘટનાનું મુખ્ય કારણ પાઇલટની ક્ષમતા અને તેના ગેરવ્યાજબી નિર્ણયો હતા, સાથે જ સંસ્થાકીય ખામીઓ અને સલામતી નિયમોનું ઉલ્લંઘન પણ જવાબદાર ઠર્યું. આ ઘટનાએ ભારતીય નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સલામતી સંબંધિત નીતિ-નિયમોમાં ધરખમ ફેરફારો લાવવાની ફરજ પાડી, જેથી ભવિષ્યમાં આવી કરુણાંતિકા ટાળી શકાય. જોકે, 1988ની આ દુર્ઘટનાનો કડવો અનુભવ આજે પણ સલામતીના પાઠ ભણાવે છે.