Amreli ના રાજુલામાં કરુણાંતિકા, કાળઝાળ ગરમી વચ્ચે ધાતરવડી નદીમાં નાહવા પડેલા બે બાળકોના મોત
- Amreli: ધાતરવડી નદીમાં ડૂબી જવાથી 2 કિશોરોના કરુણ મોત!
- અમરેલીના રાજુલાના ખાખબાઈ ગામની ગમખ્વાર ઘટના
- 42 ડિગ્રી તાપમાનમાં નદીમાં નાહવા ગયા હતા બે મિત્રો
- 15 વર્ષીય ગાંડુભાઈ અને દક્ષભાઈનું પાણીમાં ડૂબતા મોત
- સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા
- રાજુલા સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયા, ગામમાં શોક
Amreli: ગુજરાતમાં અત્યારે આકરા ઉનાળાની (Summer Heat) શરૂઆત થઈ ચૂકી છે. અમરેલી જિલ્લામાં પારો 42 ડિગ્રીએ પહોંચતા લોકો ગરમીથી રાહત મેળવવા જળાશયો તરફ વળી રહ્યા છે, પરંતુ આ ગરમી રાજુલાના એક પરિવાર માટે કાળ સાબિત થઈ છે. રાજુલાના (Rajula) ખાખબાઈ ગામ પાસે વહેતી ધાતરવડી નદીમાં (Dhatarvadi River) નાહવા પડેલા બે કિશોરોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે.
નાહવા ગયેલા કિશોરો પર ત્રાટક્યો કાળ
મળતી માહિતી મુજબ, ખાખબાઈ ગામના રહેવાસી ગાંડુભાઈ લાલાભાઇ પરમાર (ઉંમર વર્ષ 15) અને દક્ષભાઈ રાજેશભાઈ ડોડીયા (ઉંમર વર્ષ 15) બપોરના સમયે અસહ્ય ગરમીથી બચવા માટે ધાતરવડી નદીના પાણીમાં નાહવા માટે ગયા હતા. નદીના ઊંડા પાણીનો અંદાજ ન આવતા બંને કિશોરો એકાએક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
Amreli: સ્થાનિકો અને તરવૈયાઓની જહેમત
ઘટનાની જાણ ખાખબાઈ ગામના સરપંચ અને ગ્રામજનોને થતા જ મોટી સંખ્યામાં લોકો નદી કિનારે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની ટીમ (Local Swimmers) અને ગામના યુવાનોએ તાત્કાલિક નદીમાં શોધખોળ આદરી હતી. ભારે જહેમત બાદ બંને કિશોરોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
પરિવારમાં શોકનું મોજું
એકસાથે બે આશાસ્પદ કિશોરોના મોતથી ખાખબાઈ ગામ સહિત સમગ્ર રાજુલા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post-Mortem) અર્થે રાજુલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે ઉનાળા દરમિયાન અજાણ્યા જળાશયોમાં ઉતરવાનું સાહસ ન કરવું.
આ પણ વાંચો: મમતા બેનર્જીનો 'વકીલ લૂક' વિવાદમાં, BCIએ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલ પાસે કેમ માંગ્યો રિપોર્ટ!


