અમેરિકાથી પ્રત્યાર્પણ કરાયેલા ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 11 દિવસની NIA કસ્ટડીમાં મોકલ્યો છે. NIAએ 15 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. અનમોલ પર NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા, સલમાન ખાનના ઘર પર ગોળીબાર અને સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં મુખ્ય કાવતરાખોર હોવાનો આરોપ છે. NIA હવે આ તમામ કેસોમાં તેની સઘન પૂછપરછ કરશે.
- Delhi Court Anmol Bishnoi : અનમોલ બિશ્નોઈની NIAએ કરી ધરપકડ
- અમેરિકા સાથે પ્રત્યાર્પણ સંધિ હેઠળ અનમોલ બિશ્નોઈને ભારત લવાયો
- કોર્ટે અનમોલ બિશ્નોઈના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અને તેના ગુનાહિત સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર અનમોલ બિશ્નોઈની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. અનમોલને મંગળવારે અમેરિકા દ્વારા ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. ધરપકડ બાદ, NIA ટીમે તેને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં કોર્ટે તેને 11 દિવસની NIA કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો. અનમોલ બાબા સિદ્દીકીની હત્યા, સલમાન ખાનના ઘર પર ગોળીબાર અને સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસ સહિત અનેક ગંભીર કેસોમાં વોન્ટેડ હતો.
Delhi Court Anmol Bishnoi: બિશ્નોઈના 11 દિવસના રિમાન્ડ મંજૂર
NIAની તપાસમાં જાણવા મળ્યું છે કે અનમોલ બિશ્નોઈ યુનાઇટેડ સ્ટેટ્સથી આતંકવાદી સિન્ડિકેટનું સંચાલન કરતો હતો. તે અન્ય ગેંગસ્ટરો સાથે મળીને વિદેશી ધરતીથી ભારતમાં ખંડણી વસૂલવામાં સામેલ હતો અને ગેંગના શૂટર્સને આશ્રય તેમજ લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડતો હતો. તેણે 2020-2023 દરમિયાન ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈને સક્રિયપણે મદદ કરી હતી. ખાસ કરીને, ૧૪ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર થયેલા ગોળીબારની ઘટનાનો મુખ્ય કાવતરાખોર અનમોલ જ હતો. ચાર્જશીટ મુજબ, તેણે શૂટર્સને ઓડિયો મોકલીને ઉશ્કેર્યા હતા.
Delhi Court Anmol Bishnoi: NIAની પુછપરછમાં થશે મોટા ખુલાસા
અનમોલ પર 12 ઓક્ટોબર 2024 ના રોજ NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં મુખ્ય આરોપી હોવાનો આરોપ છે. મુંબઈ પોલીસની ચાર્જશીટમાં અનમોલને 'મુખ્ય કાવતરાખોર' તરીકે નામ આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે સિદ્દીકીની હત્યા સલમાન ખાન સાથેના તેમના ગાઢ સંબંધોને કારણે કરવામાં આવી હતી, કેમ કે બિશ્નોઈ ગેંગ અભિનેતાને ૧૯૯૮ના કાળા હરણ શિકાર કેસને લઈને પોતાનો દુશ્મન માને છે. આ ઉપરાંત, મે ૨૦૨૨ માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કાવતરામાં પણ અનમોલનું નામ સામે આવ્યું હતું, જેણે આખા કાવતરાને અંજામ આપવામાં લોરેન્સ અને ગોલ્ડી બ્રારને મદદ કરી હતી.
આ પણ વાંચો: બાબા સિદ્દીકીની હત્યામાં સંડોવાયેલા અને રૂ. 10 લાખના ઇનામી અનમોલ બિશ્નોઈનું પ્રત્યાર્પણ