Bharuch નર્મદા કાંઠે ફરી દુર્ઘટના : યુવતી બચી, વિદ્યાર્થી લાપતા – પ્રેમી યુગલોના અડીંગા પર સવાલ
- Bharuch -અંકલેશ્વર : નદીમાં ખાબકેલી યુવતીને બચાવી, સાથેનો યુવક વહેણમાં ગુમ
- નર્મદા નદી કાંઠે પ્રેમી યુગલોની હાજરી ફરી જોખમી બની : યુવક લાપતા, યુવતી હોસ્પિટલમાં
- ગોલ્ડન બ્રિજ નજીક નર્મદામાં દુર્ઘટના – પવિત્ર કાંઠે સુરક્ષા અને મર્યાદાના પ્રશ્નો ઉભા
- નર્મદા કાંઠે ફોટા સેશન દરમિયાન દુર્ઘટના : યુવતી બચી, ધો.11નો વિદ્યાર્થી લાપતા
Bharuch-અંકલેશ્વર વચ્ચેના નર્મદા નદી કાંઠે ફરી એક દુર્ઘટના સામે આવી છે. શનિવારની સાંજે ગોલ્ડન બ્રિજના ત્રીજા પીલર નજીક નદીમાં પડેલી એક યુવતીને નજીક બેઠેલા બીજા એક યુવકે બચાવીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યારે તેની સાથે આવેલો યુવક નર્મદાના વહેણમાં લાપતા બન્યો છે.
Bharuch : ફોટો સેશને લીધો યુવકનો જીવ
બચી ગયેલી યુવતી હિરલ ધીરજ વસાવા (21 વર્ષ)એ હોસ્પિટલમાં પોલીસને આપેલા નિવેદન મુજબ, તે અને તેનો મિત્ર નયન મુકેશ વસાવા (ધોરણ 11માં અભ્યાસ કરતો) ફોટા સેશન માટે નદી કાંઠે ગયા હતા. દરમિયાન હિરલ પાણીમાં ખાબકી ગઈ અને નયન પણ તેને બચાવવા પડ્યો, પરંતુ તે વહેણમાં વહી ગયો હતો. નજીક બેઠેલા બીજા એક યુવકે હિરલને બહાર કાઢીને સારવાર માટે ખસેડી હતી.
આ ઘટના બાદ અંકલેશ્વર B ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે યુવતીના મોબાઈલમાંથી તેના પિતાને જાણ કરી હતી. આ ઘટના બાદ નર્મદા નદી કાંઠે પ્રેમી યુગલોની હાજરી અને ત્યાંની સુરક્ષા વ્યવસ્થા ફરી ચર્ચાનો વિષય બની છે.
નદી કાંઠે પ્રેમી યુગલોની વધતી હાજરી અને જોખમ
અંકલેશ્વર તરફના નર્મદા કાંઠા અને ખાસ કરીને ગોલ્ડન બ્રિજની નીચેના વિસ્તારમાં દિવસ-રાત પ્રેમી યુગલો બેસતા હોવાની ફરિયાદો અને વીડિયો વાયરલ થતા રહે છે. દરિયાઈ ભરતીના સમયે પાણી ઝડપથી વધતું હોવા છતાં ઘણા યુગલો મસગુલ રહેતા હોવાથી ફસાઈ જાય છે. આવી ઘટનાઓ અનેક વખત બની ચૂકી છે.
Bharuch માં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ
નર્મદા મૈયા બ્રિજ અને ગોલ્ડન બ્રિજ પર આપઘાતના બનાવોને રોકવા માટે તંત્રે ખર્ચાળ પગલાં લીધાં હતાં. નર્મદા મૈયા બ્રિજ પર સેફ્ટી નેટ અને ગોલ્ડન બ્રિજના બંને છેડે દરવાજા લગાવી તાળા મારવામાં આવ્યા હતા. પરંતુ અસામાજિક તત્વોએ તાળા તોડી નાખ્યા હોવાના આક્ષેપો છે, જેથી લોકો બ્રિજ પર પહોંચી રહ્યા છે અને કાંઠા વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે.
પવિત્ર સ્થળ પર ચિંતા
નર્મદા નદીને પવિત્ર માનવામાં આવે છે અને અહીં પિતૃ તર્પણ, શ્રાદ્ધ વિધિ માટે લોકો આવે છે. પરંતુ કાંઠે પ્રેમી યુગલોની હાજરી અને કેટલીક અશ્લીલ પ્રવૃત્તિઓના વીડિયો વાયરલ થતાં હિન્દુ સમાજની લાગણીઓ દુભાઈ રહી છે. સ્થાનિક સામાજિક આગેવાનો ધર્મેશ સોલંકી અને ટીનાભાઈ પટેલે જણાવ્યું કે પવિત્ર ઘાટ પર વિધિ કરવા આવતા લોકો મુઝવાઈ રહ્યા છે અને પોલીસે આ વિસ્તારમાં કડક વ્યવસ્થા લાગુ કરવી જોઈએ.
આ પણ વાંચો- Ahmedabad : દુઃખ વચ્ચે માનવતાનો અજેય પ્રકાશ, પટેલ પરિવારના પુત્ર રાહુલની આંખો નિહાળશે દુનિયા


