Banas Dairy :'શ્વેતક્રાંતિ ૨.૦' માટે અમિત શાહની હાકલ, બનાસ બન્યું રોલ મોડેલ!
Banas Dairy : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીએ ₹૫૦૦ કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું કર્યું ખાતમુર્હુત અને લોકાર્પણ; શ્વેતક્રાંતિ ૨.૦ માટે હાકલ કરી.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ(Union Minister for Home and Cooperation Amit Shah)ના વરદહસ્તે વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ડેરી ખાતે બનાસ ડેરી હસ્તકના વિવિધ ક્રાંતિકારી પ્રકલ્પોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું હતું. હજારો પશુપાલકોની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ બનાસ રેડિયો સ્ટેશન, પોટેટો પ્લાન્ટ તથા આઇસક્રીમ પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને સંસદીય પરામર્શ સમિતિના સભ્યશ્રીઓ સાથે બેઠક યોજી હતી.
Banas Dairy-ગલબાભાઈનું સ્વપ્ન, પશુપાલકોની મહેનત: ₹૪૦૦ થી ₹૨૪ હજાર કરોડની સફર
કેન્દ્રીય મંત્રી અમિત શાહે બનાસ ડેરીના મોડેલને દેશ-વિદેશ માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વર્ગીય ગલબાભાઈએ વર્ષ ૧૯૮૬માં ફક્ત આઠ ગામની દૂધ મંડળીઓ થકી ₹૪૦૦ ની મૂડીથી જે સ્વપ્ન જોયું હતું, તે આજે પશુપાલકોની મહેનત થકી ₹૨૪ હજાર કરોડના ટર્નઓવર સુધી પહોંચ્યું છે. તેમણે આ સફળતાનો શ્રેય બનાસની માતાઓ-બહેનો અને પશુપાલકોને આપ્યો હતો.
શ્રી શાહે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ની દીર્ઘદ્રષ્ટિની સરાહના કરતાં કહ્યું કે, વર્ષો પહેલાં સૂકો ભઠ્ઠ ગણાતો બનાસકાંઠા જિલ્લો આજે સુજલામ સુફલામ્ અને નર્મદા કેનાલને કારણે આત્મનિર્ભર બન્યો છે. જળ સંચયના શ્રેષ્ઠ કામને લીધે અહીં વર્ષમાં ત્રણ પાક લઈ શકાય છે.
Banas Dairy-બનાસનું ચક્રીય અર્થતંત્ર મોડેલ: ગોબરથી CNG અને ખેડૂતની આવકમાં ૨૦% વધારો
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું કે, સહકાર મંત્રાલય દ્વારા ગ્રામ્ય વિકાસ માટે કામગીરી થઈ રહી છે. બનાસ ડેરીમાં અમલમાં મૂકાયેલું ચક્રીય અર્થતંત્ર મોડેલ (Circular Economy Model) દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. તેમણે આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં ૨૦ ટકાનો વધારો કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગોબરથી CNG પ્રોજેક્ટ:
આગથળા ખાતે બનાસ ડેરી અને સુઝુકી ઇન્ડિયાએ સાથે મળીને રૂ. ૫૮.૬૭ કરોડના ખર્ચે બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે. આ પ્લાન્ટમાં પશુપાલકો પાસેથી પ્રતિ કિલો ₹૧ ના દરે ગોબર ખરીદવામાં આવે છે.
ઉત્પાદન: દરરોજ ૧ લાખ કિલો ગોબર પ્રોસેસ કરી ૧૯૦૦ કિલો બાયો-CNG નું ઉત્પાદન થાય છે.
પર્યાવરણ રક્ષણ: આ પ્રોજેક્ટ દર વર્ષે ૬૭૫૦ ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે છે.
ખેડૂતને ફાયદો: ગોબરની સ્લરીમાંથી 'ભૂમિ અમૃત' નામે જૈવિક ખાતર બને છે, જે ખેડૂતોની આવક અને જમીનની ફળદ્રુપતા વધારશે.
ભવિષ્યનો લક્ષ્યાંક: બનાસકાંઠામાં આગામી સમયમાં આવા ૨૫ પ્લાન્ટ સ્થાપવાની યોજના છે.
વૈશ્વિક સ્તરે ભારતીય પ્રોડક્ટ અને શ્વેતક્રાંતિ 2.0
શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, સહકાર મંત્રાલય થકી ગામડાનો ખેડૂત પણ પોતાની પ્રોડક્ટ વિશ્વ સ્તરે વેચી શકે તે મુજબની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમણે ભારત ઓર્ગેનિક સંસ્થાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેણે ફક્ત ૧ વર્ષમાં ₹૪૨૮૩ કરોડનું ટર્નઓવર કર્યું છે. તેમણે ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે શ્વેતક્રાંતિ ૨.૦(Shwetkranti 2.0) ને સફળ બનાવવા સૌકોઈને હાકલ કરી હતી.
પ્રમુખ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુર્હુત:
| પ્રકલ્પ | મૂડી રોકાણ | ક્ષમતા અને વિશેષતા |
| દૂધ પાવડર પ્લાન્ટ (ખાતમુર્હુત) | ₹૪૪૦ કરોડ | ૧૫૦ TPD ક્ષમતા; બેબી ફૂડ, ડેરી વ્હાઇટનર જેવા ઉચ્ચ મૂલ્યના ઉત્પાદનો. |
| ઓટોમેટિક પનીર પ્લાન્ટ (લોકાર્પણ) | ₹૩૫ કરોડ | ૨૦ MTPD ક્ષમતા; સંપૂર્ણ ઓટોમેટેડ ટેક્નોલોજી, દરરોજ ૧ લાખ લીટર દૂધનું પ્રોસેસિંગ. |
| ચીઝ પ્રોસેસિંગ પ્રોટીન પાવડર પ્લાન્ટ (લોકાર્પણ) | ₹૪૫ કરોડ | ૬ લાખ લિટરની ક્ષમતા; ચીઝ ઉત્પાદન સાથે પ્રોટીન પાવડરનું રૂપાંતરણ. |
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ સહકારથી સમૃદ્ધિ હેઠળ થતા ગ્રામીણ વિકાસને બિરદાવ્યો હતો. કાર્યક્રમમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્મૃતિદીન નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આગામી જાન્યુઆરી ૨૦૨૬માં દેશની ૨૫૦ જેટલી ડેરીના ચેરમેન બનાસ મોડેલ જોવા માટે મુલાકાત લેશે, તેમ જણાવાયું હતું.
કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલ, કૃષ્ણપાલ ગુર્જર, રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણી, ઋષિકેશ પટેલ, અમૂલના ચેરમેનશ્રી અશોક ચૌધરી સહિત બહોળી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Narmada: સરદાર પટેલની 150મી એકતા પદયાત્રાનું આજે સમાપન