Rajkot-Jetpur સિક્સલેન પ્રોજેક્ટમાં 'ધાંધિયા': 1204 કરોડના ધુમાડા છતાં કામ અડધે
- રાજકોટ-જેતપુર સિક્સલેન પ્રોજેક્ટમાં 'ધાંધિયા': 1204 કરોડના ધુમાડા છતાં કામ અડધે, વાહનચાલકો પાસેથી ટોલની 'ઉઘરાણી' ચાલુ!
- ડેડલાઈન પર ડેડલાઈન : જૂન 2024માં પૂર્ણ થનારું કામ હવે જાન્યુઆરી 2026માં પૂરું થશે, અઢી લાખ વાહનચાલકો ત્રાહિમામ
- કોન્ટ્રાક્ટરને નોટિસ અને 25 લાખની પેનલ્ટી છતાં કામ ગોકળગતિએ: બ્રિજ અને ડાયવર્ઝનમાં ભ્રષ્ટાચારની ગંધ?
- અધૂરા રોડ પર અકસ્માતનું જોખમ, છતાં તંત્ર દ્વારા ટોલ ટેક્સમાં માત્ર 25 ટકાની જ 'રાહત'
Rajkot-Jetpur સિક્સલેન પ્રોજેક્ટમાં 'ધાંધિયા': સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ અને ઔદ્યોગિક નગરી જેતપુરને જોડતા 67 કિલોમીટર લાંબા નેશનલ હાઈવેનું કામ વાહનચાલકો માટે સુવિધાને બદલે 'દુવિધા' સમાન બની ગયું છે. 1,204 કરોડના જંગી ખર્ચે બની રહેલા સિક્સલેન હાઈવે પ્રોજેક્ટમાં રીતસરના 'ધાંધિયા' ચાલી રહ્યા છે. જે કામ જૂન 2024માં પૂર્ણ થવાનું હતું, તે હવે જાન્યુઆરી 2026 સુધી લંબાયું છે. નવાઈની વાત એ છે કે, રોડ અધૂરો છે, ડાયવર્ઝન જોખમી છે, છતાં વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાનું નેટવર્ક ચાલુ છે.
Rajkot-Jetpur - 25 લાખની કંપનીને પેનલ્ટી
ઓગસ્ટ 2022માં શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં માત્ર 52 ટકા જ કામ પૂર્ણ થયું છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોન્ટ્રાક્ટરને અનેક નોટિસ ફટકારવામાં આવી છે અને જૂન-જુલાઈ 2025 દરમિયાન 25 લાખની પેનલ્ટી પણ ફટકારવામાં આવી છે, તેમ છતાં કામગીરીમાં કોઈ વેગ આવ્યો નથી. હાલની સ્થિતિએ રોજના 2.50 લાખ વાહનચાલકો ધૂળની ડમરીઓ અને ખાડાઓ વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે.
પાણીની પાઈપલાઈને પ્રોજેક્ટમાં 'પાણી' ફેરવ્યું!
પ્રોજેક્ટના વિલંબ માટે તંત્ર દ્વારા હવે ટેકનિકલ બહાના આગળ ધરવામાં આવી રહ્યા છે. આજી અને ખોડિયાર વિસ્તારના 4 કિલોમીટરના કામમાં રાજકોટ મહાનગરપાલિકા અને વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોર્ડની પાઈપલાઈન નડતરરૂપ હોવાનું સામે આવ્યું છે. પાઈપલાઈન શિફ્ટિંગની પ્રક્રિયા ગોકળગતિએ ચાલતી હોવાથી 4 કિમીનું કામ ઠપ્પ થઈ ગયું છે અને જ્યાં સુધી આ શિફ્ટિંગ ન થાય ત્યાં સુધી સિક્સલેનનું સપનું અધૂરું જ રહેશે.
ટોલ ટેક્સની લૂંટ ક્યારે બંધ થશે?
સૌથી મોટો સવાલ ટોલ ટેક્સને લઈને છે. નિયમ મુજબ સુવિધા મળે તો જ ટેક્સ લેવો જોઈએ. પરંતુ અહીં વાહનચાલકો જીવના જોખમે ડ્રાઈવિંગ કરે છે અને સામે ટોલ પણ ચૂકવે છે. તંત્ર એવો દાવો કરે છે કે હાલ ટોલ ટેક્સમાં 25 ટકા રાહત આપવામાં આવી છે. પરંતુ જાગૃત નાગરિકો અને સંગઠનોની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી હાઈવેનું 100 ટકા કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત સંપૂર્ણપણે બંધ કરવી જોઈએ. અધૂરા ડાયવર્ઝન, અપૂરતા સાઈન બોર્ડ અને બિસ્માર રસ્તાને કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે.
આ પણ વાંચો-સુરતમાં દેશનું પ્રથમ ડિજિટલ ટોલ નાકું તૈયાર : કામરેજ ખાતે મલ્ટી લેન ફ્રી ફ્લો સિસ્ટમ અમલમાં!
અઅહેવાલ- હરેશ ભાલિયા, રાજકોટ


