Gandhinagar : ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી રદ, ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ કેમ સરકાર સામે વ્યક્ત કરી નારાજગી?
- Gandhinagar : કમોસમી વરસાદે ખરીફ પાકોની ટેકા ભાવે ખરીદી પર અસર, 9 લાખ ખેડૂતો પ્રભાવિત
- ગુજકોમાસોલને જાણ નહીં : સંઘાણીએ કરી ખરીદી રદ કરવા પાછળના કારણોની ટીકા
- વરસાદી નુકસાનમાં મગફળી-સોયાબીનની MSP ખરીદી બંધ, ખેડૂતોમાં ચિંતા
- 1 નવેમ્બરથી ખરીદી રદ : ગુજકોમાસોલના અધિકારીઓએ વ્યક્ત કર્યો આશ્ચર્ય
Gandhinagar : ગુજરાતમાં કમોસમી વરસાદ અને જણસ પલળી ગયા હોવાના કારણે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા 1 નવેમ્બરથી શરૂ કરવાની સરકારી જાહેરાતને લઈને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (ગુજકોમાસોલ)ના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. સંઘાણીએ જણાવ્યું કે, કૃષિ વિભાગે ગુજકોમાસોલને મગફળી, અડદ, સોયાબીન અને મગની ખરીદી માટે એજન્સી તરીકે નિમ્યો હોવા છતાં ખરીદીની તારીખ કે જથ્થા અંગે કોઈ અધિકૃત જાણકારી આપવામાં આવી નથી. આ મુદ્દા પર તેમણે કહ્યું કે, "અમને સરકારે ક્યારે ખરીદી કરવી તે અંગે જાણ કરી નથી, જેનાથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે."
Gandhinagar : અમને સરકારે કોઈ જાણકારી જ આપી નથી
18મી ઓક્ટોબરે કૃષિ વિભાગે 1 નવેમ્બરથી મગફળી અને અન્ય ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી અંગે જાહેરાત કરી હતી, જેમાં ગુજકોમાસોલને એજન્સી તરીકે નોંધાવવામાં આવી હતી. જોકે, સંઘાણીએ વધુમાં જણાવ્યું કે, "અમારા અધિકારીઓને પણ પૂછી જોયું પણ કોઈ જાણકારી નથી. અમારી પાસે મોટું નેટવર્ક છે અને અમે એક રાતમાં ખરીદી કરી શકીએ છીએ પણ આવી અવ્યવસ્થા ખેડૂતોને નુકસાન પહોંચાડે છે." કમોસમી વરસાદને કારણે મગફળી અને અન્ય જણસ પલળી ગયા હોવાથી સરકારે આખરે ખરીદી પ્રક્રિયા રદ કરી દીધી છે, જેનાથી હજારો ખેડૂતો પ્રભાવિત થયા છે.
આ નિર્ણય પહેલાં સરકારે મગફળીના કેટલા જથ્થાની ખરીદી કરવી તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો ન હતો. કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2025માં ગુજરાતમાં 12.62 લાખ ટન મગફળી, 1.09 લાખ ટન સોયાબીન, 4,415 ટન મગ અને 47,780 ટન અડદની ખરીદીને મંજૂરી આપી હતી, જેનું મૂલ્ય લગભગ 10,000 કરોડ રૂપિયા જેટલું હતું. જોકે, વરસાદી નુકસાનને કારણે આ યોજના અમલમાં આવી શકી નથી. રાજ્યમાં 9.32 લાખથી વધુ ખેડૂતોએ મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જ્યારે 73 હજારએ સોયાબીન, 6,100એ અડદ અને 1,935એ મગ માટે રજિસ્ટર કર્યું હતું. આ રજિસ્ટ્રેશનના પછી પણ ખરીદી રદ થવાથી ખેડૂતોમાં હતાશા વ્યાપી છે.
દિલીપભાઈ સંઘાણીએ વધુમાં કહ્યું કે, "આવી પરિસ્થિતિમાં ખેડૂતોને વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે, જેનાથી તેમની આજીવિકા જોખમમાં છે. સરકારે તાત્કાલિક વધુ વળતર અને વિમા યોજનાઓને મજબૂત બનાવવી જોઈએ." કૃષિ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, વરસાદી નુકસાનનું મૂલ્યાંકન કરીને વધુ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે, પણ હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય નથી લેવાયો. આ મુદ્દા પર ખેડૂત સંગઠનો પણ સરકાર પાસે માંગ કરી રહ્યા છે, અને તેઓએ ચેતવણી આપી છે કે જો યોગ્ય વ્યવસ્થા ન થઈ તો આંદોલન કરવામાં આવશે.
આ ઘટના ગુજરાત સરકાર અને તેમના દ્વારા જ નિમેલી એજન્સી વચ્ચે સંવાદને લઈને મોટી ગેપ રહેતી હોવાનું ચિત્ર ઉભું કરે છે. જે ખેડૂતો માટે મુશ્કેલી વધારનાર બની રહે છે, કારણ કે ખરીફ મોસમમાં મગફળી જેવા મુખ્ય પાકો પર આધાર રાખતા હજારો પરિવારોને આનાથી અસર થાય છે. સરકારે આગામી દિવસોમાં વધુ સ્પષ્ટતા આપવાની અપેક્ષા છે, જેથી ખેડૂતોને નુકસાન ટાળી શકાય. જોકે, હાલમાં કમોસમી વરસાદના કારણે ટેકાનો ભાવે ખરીદી મોકૂફ રાખી છે, પરંતુ કમોસમી વરસાદ નડ્યો નહોત તો ખેડૂતોને અન્ય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોત..
આ પણ વાંચો- Amreli : રાજુલા તાલુકાના 72 ગામના સરપંચોએ ડિજિટલ સર્વે સામે નોંધાવ્યો વિરોધ, તમામ ખેડૂતોને સહાયની માંગ