Chhota Udepur : મૃત પરિણીત ભાઈને અપરિણીત બતાવી જમીન કબજે, પુત્રની ન્યાયની ગુહાર
- Chhota Udepur : જમીન કૌભાંડ, નકલી દસ્તાવેજો વડે મૃતક ભાઈની જમીન હડપ, સરકારી તંત્ર પર સવાલ
- સજોડ ગામમાં લાલચુ ભાઈનું ષડયંત્ર : મૃત પરિણીત ભાઈને અપરિણીત બતાવી જમીન કબજે, પુત્રની ન્યાયની ગુહાર
- છોટાઉદેપુર જમીન ફ્રોડ : ખોટા સોગંદનામા અને તલાટીની નકલી સહી વડે 7/12માં નામ ચડાવ્યું
- સરકારી તંત્રની બેદરકારી : સજોડમાં નકલી ડોક્યુમેન્ટ્સ પસાર, મૃતકના પુત્રને ન્યાય મળશે ખરો?
- છોટાઉદેપુરમાં ભાઈનું કાવતરું : મૃત ભાઈની જમીન હડપવા નકલી પેઢીનામું, પુત્રની લડત શરૂ
Chhota Udepur : જિલ્લાના સજોડ ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે માત્ર પરિવારીક ઝઘડા સાથે-સાથે સરકારી તંત્રની કાર્યપદ્ધતિ અને પારદર્શિતા પર મોટા સવાલો ઉભા કરે છે. સજોડ ગામે એક લાલચુ ભાઈએ પોતાના મૃતક ભાઈની જમીન પોતાના નામે કરાવવા માટે આખું ષડયંત્ર રચ્યું હોવાના આરોપો છે. મૃતક બલાભાઈ છગનભાઈ રાઠવાના સગા ભાઈ સબૂરભાઈ રાઠવાએ જમીન હડપવા માટે નકલી દસ્તાવેજો તૈયાર કર્યા અને સરકારી પ્રક્રિયાને ગેરમાર્ગે દોરી હોવાનો આરોપી છે.
Chhota Udepur - નકલી પેઢીનામા થકી જમીન નામે કરાવી લીધી
મળતી વિગતો અનુસાર, બલાભાઈના મોત પછી સબૂરભાઈએ નકલી પેઢીનામું તૈયાર કર્યું, જેમાં ખોટા સાક્ષીઓના ફોટા અને સહીઓનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પેઢીનામામાં તલાટીની ખોટી સહી, પંચાયતના ખોટા સહી-સીક્કા અને મરણના દાખલામાં પણ નકલી સહીઓ કરીને જમીનને પોતાના નામે કરાવી દીધી. સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ છે કે મૃતક બલાભાઈને પેઢીનામામાં અપરિણિત બતાવ્યા, જ્યારે તેમની પત્ની અને પુત્ર આજે પણ જીવિત છે. અપરિણીત બતાવીને ચાલાકીપૂર્વક પુત્ર અને મૃતક ભાઈના પત્નીના નામને પેઢીનામામાંથી કમી કરી દેવામાં આવ્યા.
ખોટા સોગંદનામા-ખોટી સહીઓ કરાવી
આ ષડયંત્રમાં વારસાઈ આધારે નામ ઉમેરવાની અરજી, ખોટા સોગંદનામા અને અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરીને જમીનને 7/12 અને 8Aમાં સબૂરભાઈના નામે ચડાવી દેવામાં આવી હતી. પીડિત પુત્રના જણાવ્યા અનુસાર, આ તમામ પ્રક્રિયા દરમિયાન ઈ-ધરા વિભાગમાંથી 135Dની નોટિસ કાઢવામાં આવી અને રેવન્યુ તલાટી ગામમાં તપાસ માટે ગયા. પરંતુ તપાસમાં પેઢીનામામાંના નામોની ખરાઈ થઈ નહીં અને અરજીમાંની સહીઓમાંથી માત્ર એક જ સાચી હતી, બાકી તમામ ખોટી હોવા છતાં કોઈ તસ્દી લેવામાં આવી નહીં.
તમામ ડોક્યુમેન્ટ નકલી હોવાનો ઘટસ્ફોટ
સજોડ ગ્રામ પંચાયતના તલાટીએ પણ આ મામલે સ્પષ્ટ જણાવ્યું કે તમામ ડોક્યુમેન્ટ્સ નકલી છે અને તેમની સહી પણ ખોટી કરવામાં આવી છે. આ ઘટના સામે આવતાં જ મૃતકના પુત્ર દ્વારા તમામ પુરાવા સાથે પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. તેમણે ન્યાયની માંગ કરી છે, જ્યારે અધિકારીઓએ યોગ્ય તપાસ કરવાનું વચન આપ્યું છે.
છોટાઉદેપુરના સજોડ ગામમાં જમીન કૌભાંડનો ગંભીર કિસ્સો
લાલચુ ભાઈએ મૃતક ભાઈની જમીન પોતાના નામે કરાવી
નકલી દસ્તાવેજોથી મૃતક ભાઈની જમીન પોતાના નામે કરાવી#Chhotaudepur #LandScam #FraudAlert #GujaratRevenue #LandGrabbing #Sajod #Justice #FamilyDispute #GujaratFirst pic.twitter.com/Z1ySDdZOQ6— Gujarat First (@GujaratFirst) February 7, 2026
જવાબદારી અધિકારીઓની બેદરકારી આવી સામે
પરિવારીક લાલચના કારણે ભાઇએ જ કાંડ કર્યો પરંતુ બીજી તરફ તંત્રની કેટલી બેદરકારી કહેવાય કે તેઓ એક વ્યક્તિના જૂઠને પકડી શક્યા નહીં. આમ જોવા જઈએ તો ગંભીર બાબત ગણી શકાય. જમીન રેકોર્ડ જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયામાં નકલી દસ્તાવેજો કેવી રીતે પસાર થઈ શકે? રેવન્યુ વિભાગની જવાબદારી છે કે દસ્તાવેજોની ખરાઈ કરે, પરંતુ અહીં ખોટી સહી, ખોટા સીક્કા અને ખોટા સાક્ષીઓ હોવા છતાં જમીન આરોપીના નામે કરી દેવામાં આવી. આમાં અન્ય કેટલા લોકોનો હાથ છે? પંચાયતના સીક્કા બનાવવામાં કોની સંડોવણી છે? અનેક ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
શું સામાન્ય વ્યક્તિને ન્યાય મળશે ખરો?
પીડિત પુત્ર આજે પુરાવા હોવા છતાં ન્યાય માટે ભટકી રહ્યો છે. તેને રેકોર્ડ સુધારવા માટે વર્ષોના ચક્કર કાપવા પડશે. આ ઘટના ગરીબ અને સામાન્ય માણસના અધિકારો પર સવાલ ઉભા કરે છે. જો સરકારી કચેરીમાં નકલી ડોક્યુમેન્ટ્સ પસાર થઈ શકે તો સામાન્ય વ્યક્તિના અધિકાર કેટલા સુરક્ષિત છે? હવે જોવાનું છે કે તંત્ર આ મામલે તપાસ કરીને નકલી દસ્તાવેજો રદ કરશે, દોષિતો સામે ફોજદારી કાર્યવાહી કરશે કે પછી આ પણ અન્ય કેસની જેમ ફાઈલોમાં દબાઈ જશે. પીડિત પુત્રને ન્યાય મળે તે માટે તંત્રની કાર્યવાહી પર નજર રાખવી જરૂરી છે.
આ પણ વાંચો-Ankleshwar : એક્સ્ટ્રા ક્લાસના બહાને 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, 63 વર્ષીય શિક્ષકની ધરપકડ


