બાલાસિનોર પોલીસે ધોરણ-9માં ભણતા વિદ્યાર્થીને માર્યો ઢોર માર, SP સફીન હસન સાથે MLA ઝાલાની બોલાચાલી
- બાલાસિનોર માં પોલીસે 15 વર્ષીય વિદ્યાર્થીને પટ્ટા વડે માર માર્યો : MLA ધવલસિંહ ઝાલાએ SPને માંગી કડક કાર્યવાહી
- ચોરીના શંકામાં બાળકને માર : બાલાસિનોર PI સામે ગંભીર આરોપ, ધારાસભ્યે લીધી મુલાકાત
- મહિસાગરમાં પોલીસ કસ્ટડીમાં બાળકને માર મારવાની ઘટના : MLAએ SP સાથે ટેલિફોનિક ચર્ચા કરી
- લીંબચમાતા મંદિર ચોરી કેસમાં 15 વર્ષીય વિદ્યાર્થીને માર : ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની દખલ
મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જનોડ ખાતે એક ગંભીર ઘટના સામે આવી છે. લીંબચમાતાના મંદિરમાંથી ચાંદીની પાદુકાની ચોરીના કેસમાં શંકાના આધારે 15 વર્ષીય વિદ્યાર્થીને બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં બોલાવીને પટ્ટા વડે માર મારવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ મારને કારણે વિદ્યાર્થીને સ્થાનિક હોસ્પિતલમાં સારવાર લેવી પડી હતી.
બાલાસિનોર : 9માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને માર્યો માર
પરિવારના આક્ષેપ મુજબ, ચોરીના કેસમાં નિલેશ રાવળ નામના વ્યક્તિને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો. ત્યારે બાલાસિનોર પોલીસ સ્ટેશનના PI જે.એન. સોલંકી અને અન્ય સ્ટાફે વિદ્યાર્થીને પણ બોલાવ્યો અને શંકાના આધારે તેને પટ્ટા વડે ખૂબ માર માર્યો. આ માર મારવાને કારણે વિદ્યાર્થીને શારીરિક ઈજાઓ થઈ અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
Dhavalsinh Zala SP Safin Hasan viral audio
ધવલસિંહ ઝાલા અને SP સફિન હસન વચ્ચે ઉગ્ર વાતચીત: 'તમારા અધિકારીને મોકલો, બાળકની હાલત જુઓ'@DhavalsinhZala_ #DhavalsinhZala #SafinHasan #ViralAudio #MahisagarPolice #PoliceBrutality #Justice #GujaratPolitics #Action #GujaratFirst… pic.twitter.com/2AsJYNFqAI— Gujarat First (@GujaratFirst) February 1, 2026
ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની સફીન હસન સાથે વાતચીત
આ ઘટનાના સમાચાર મળતાં જ બાલાસિનોરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ઘટનાસ્થળે પહોંચ્યા અને પીડિત 15 વર્ષીય વિદ્યાર્થી તેમજ તેના પરિવારની મુલાકાત લીધી. વિદ્યાર્થી અને પરિવારજનોએ ધારાસભ્યને આખી ઘટના વિગતવાર જણાવી અને પોલીસના વર્તનની સખત નોંધ લેવાની માંગ કરી.
ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આ મામલાની ગંભીરતા સમજીને તાત્કાલિક મહિસાગરના પોલીસ અધિક્ષક (SP)ને ટેલિફોનિક ચર્ચા કરી અને આ ઘટનાની કડક તપાસ તેમજ દોષિત પોલીસ અધિકારી-કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ધારાસભ્યે જણાવ્યું કે નાની ઉંમરના બાળકને શંકાના આધારે આટલી ક્રૂરતાથી માર મારવો એ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે અને આવી ઘટના સહન કરી શકાય તેમ નથી.
ઘટના પછી સ્થાનિકોમાં ભારે રોષ
આ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે પોલીસે શંકાના આધારે બાળકને મારવાને બદલે યોગ્ય તપાસ કરવી જોઈએ હતી. આ મામલામાં પોલીસ તંત્રે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ ધારાસભ્યની દખલ બાદ તપાસ ઝડપી બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ ઘટના એક વખત ફરી યાદ અપાવે છે કે પોલીસ વિભાગમાં નાના બાળકો અને નિર્દોષ વ્યક્તિઓ સાથે વર્તન કેવું હોવું જોઈએ અને તપાસ દરમિયાન માનવ અધિકારોનું સંપૂર્ણ રક્ષણ થવું જોઈએ. આ મામલાની તપાસના પરિણામો પર હવે સમગ્ર વિસ્તારની નજર ટકેલી છે.


