સિનિયર કોંગી આગેવાનનો બફાટ, 'આતંકવાદી પાકિસ્તાનથી આવ્યા, તેનો કોઇ પુરાવો નથી...!'
- પી. ચિદમ્બરમના ઇન્ટરવ્યુથી વિવાદ છેડાયો
- આતંકવાદી હુમલાની ઘટના અંગે ચિદમ્બરમે સવાલ ઉઠાવ્યા
- ભાજલે પલટવાર કરી, ઇસ્લામાબાદ પ્રત્યે કુણું વલણ દાખવતા હોવાનો આરોપ મુક્યો
P. CHIDAMBARAM VS BJP : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે (CONGRESS SENIOR LEADER P. CHIDAMBARAM) ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) અંગે સરકારની નીતિ સામે વાંધો ઉઠાવ્યો છે. તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે આતંકવાદીઓની ધરપકડ ના થવા અને ઓળખ ના થવા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે સરકારને પૂછ્યું કે, 'એવું કેવી રીતે માની લેવામાં આવ્યું કે, આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા ?' જો કે, 7 મેના રોજ, ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.
કોઈ નિવેદન કેમ નથી આપી રહ્યા ?
ઇન્ટરવ્યુમાં વાત કરતા ચિદમ્બરમે કહ્યું, 'અમને વિવિધ અધિકારીઓ પાસેથી થોડી-થોડી માહિતી મળી રહી છે. સીડીએસ સિંગાપોર જાય છે અને એક નિવેદન આપે છે, જ્યાંથી કેટલીક માહિતી ઉપલબ્ધ થાય છે. આર્મી વાઇસ ચીફે મુંબઈમાં નિવેદન આપ્યું હતું. ઇન્ડોનેશિયામાં જુનિયર નૌકાદળના અધિકારીઓ નિવેદનો આપે છે. પણ આપણા વડા પ્રધાન, સંરક્ષણ પ્રધાન કે વિદેશ પ્રધાન કોઈ નિવેદન કેમ નથી આપી રહ્યા ?
કઈ વ્યૂહાત્મક ભૂલો થઈ
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેમને શું લાગે છે કે છુપાવવામાં આવી રહ્યું છે, ત્યારે તેમણે કહ્યું, મને લાગે છે કે, તેઓ છુપાવવા માંગે છે કે, વ્યૂહાત્મક સ્તરે ભૂલ થઈ હતી અને જો આપણે ફરીથી વ્યૂહરચના બનાવીએ, તો પછી કઈ વ્યૂહાત્મક ભૂલો થઈ. સીડીએસે તેવા સંકેતો આપ્યા હતા. ફરીથી કઈ રણનીતિ બનાવવામાં આવી ? કાં તો ભાજપ સરકાર પાસે આ પ્રશ્નોના જવાબ આપવાની ક્ષમતા નથી અથવા તેઓ જવાબ આપવા માંગતા નથી.
તમે કેમ માની લીધું કે તે પાકિસ્તાનથી આવ્યો છે ?
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ NIA એટલે કે રાષ્ટ્રીય તપાસ એજન્સી વિશે કહ્યું, 'NIA છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેણે જે કર્યું છે તે છુપાવવા માંગે છે. શું તેઓએ આતંકવાદીઓને ઓળખી કાઢ્યા ? તે ક્યાંથી આવ્યા ? આપણે ફક્ત એટલું જ જાણીએ છીએ કે, તેઓ સ્થાનિક આતંકવાદી હતા. તમે કેમ માની લીધું કે તે પાકિસ્તાનથી આવ્યો છે ? તેનો કોઈ પુરાવો નથી. "તેઓ નુકસાન પણ છુપાવી રહ્યા છે," તેમણે કહ્યું. મેં એક કોલમમાં કહ્યું હતું કે, નુકસાન બંને બાજુ થાય છે. મને લાગે છે કે ભારતને પણ નુકસાન થયું હોય તો તે અંગે ખુલીને વાત કરો.
ભાજપ ગુસ્સે થયો
ભાજપે કોંગ્રેસના નેતાની ટિપ્પણી પર નિશાન સાધ્યું છે. પાર્ટીના આઇટી વડા અમિત માલવિયાએ કહ્યું, 'ફરી એકવાર કોંગ્રેસે પાકિસ્તાનને ઝડપથી ક્લીનચીટ આપી દીધી છે.' આ વખતે પહેલગામ આતંકવાદી હુમલા પછી આવું બન્યું છે. તેમણે કહ્યું કે, 'એવું કેમ છે કે જ્યારે પણ આપણી સેના પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદને પડકાર આપે છે, ત્યારે કોંગ્રેસ, ભારતનો વિરોધ કરવાને બદલે, ઇસ્લામાબાદના હિમાયતીની જેમ વાત કરવાનું શરૂ કરે છે ?'
આજે લોકસભામાં ચર્ચા
પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા આજે એટલે કે સોમવારે લોકસભામાં શરૂ થશે. મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે. ઉપલા ગૃહમાં આ માટે નવ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આતંકવાદ વિરુદ્ધ ભારતના સંદેશને વિશ્વ સુધી પહોંચાડનારા બહુપક્ષીય પ્રતિનિધિમંડળનો ભાગ રહેલા સાંસદો પણ સંસદના બંને ગૃહોમાં આ ચર્ચામાં ભાગ લે તેવી શક્યતા છે.
આ પણ વાંચો ---- Poorest Man Viral: માસિક માત્ર 25 પૈસાની આવક, ખેડૂતનું આવક પ્રમાણપત્ર ચર્ચાનો વિષય