Cyclone Montha: બંગાળની ખાડીમાં 'મોન્થા' વાવાઝોડું સક્રિય, ઓડિશા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં એલર્ટ
- Cyclone Montha: 110 કિમીની ઝડપે 28 ઓક્ટોબરે ત્રાટકશે 'મોન્થા'
- મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે ટકરાશે
- વાવાઝોડા પહેલા ઓડિશામાં અપાયું હાઈએલર્ટ
Cyclone Montha: બંગાળની ખાડીમાં 'મોન્થા' વાવાઝોડું સક્રિય થતાં અનેક રાજ્યોમાં એલર્ટ અપાયું છે. વાવાઝોડા પહેલા ઓડિશામાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણામાં ભારે વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકવાની શક્યતાના પગલે આગોતરી તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. 28 ઓક્ટોબરે રાત્રે આંધ્રપ્રદેશના કાકીનાડાની આસપાસ મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે દરિયાકાંઠે 110 કિલોમીટરની ઝડપે મોન્થા વાવાઝોડું ટકરાઈ શકે છે.
રાજ્યના તમામ 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર
સ્થિતિને ધ્યાનમાં રાખીને કેબિનેટ સચિવ ટીવી સોમનાથને રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજીને સમીક્ષા કરી હતી. આંધ્રપ્રદેશના 12 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સૌથી વધુ અસર થઈ શકે તેવા વિસ્તારો માટે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ટેલિકોન્ફરન્સ યોજીને નિર્દેશ આપ્યા હતા. સાવચેતીના ભાગરૂપે કેટલાક વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહી છે. નાગરિકોની મદદ માટે હેલ્પલાઈન નંબર પણ એક્ટિવ કરવામાં આવ્યા છે. બંગાળના અખાતમાં ડિપ્રેશન પ્રબળ બની ડિપ ડિપ્રેશનમાં ફેરવાતા ઓડિશા સરકારે રાજ્યના તમામ 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે.
Cyclone Montha: 28 અને 29 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 28 અને 29 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. ઓડિશા સરકારે વાવાઝોડા મોન્થાને કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણીની વચ્ચે સાવચેતીના પગલારૂપે સાત જિલ્લાઓમાં સરકારી અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વાવાઝોડાથી ઓડિશાને ડાયરેક્ટ કોઇ ખતરો નથી પણ રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ અને ઝડપી પવનોની સંભાવના છે. સરકારી અધિકારીઓને તાત્કાલિક પોતાના વડામથકે પહોંચવાના આદેશ આપવામાં આવ્યા છે.
મોન્થા વાવાઝોડાના ખતરાને પગલે રાહત કાર્ય માટે એકશન પ્લાનની રચના
ઝડપી પવનોની સાથે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની સંભાવના છે. સરકારે અગાઉથી જ બચાવ અને રાહત માટેના ઉપાય શરૂ કરી દીધા છે. ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ઓડીઆરએએફ)ની ટીમ એલર્ટ પર છે. ઇમરજન્સી વિભાગે સામાન્ય પ્રજા માટે હેલ્પલાઇન શરૂ કરી છે. બીજી તરફ આંધ્ર પ્રદેશ સરકારે પણ મોન્થા વાવાઝોડાના ખતરાને પગલે રાહત કાર્ય માટે એકશન પ્લાનની રચના કરી છે. આ એકશન પ્લાનમાં જીવનજરૃરી વસ્તુઓના પુરવઠામાં અવરોધન ઉભો ન થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 27 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?