આંધ્રપ્રદેશમાં ચક્રવાતી વાવાઝોડું મોન્થા ત્રાટક્યું, 110 કિમીની ઝડપે પવન ફૂંકાયો,રેલ-વિમાન સેવાઓ પ્રભાવિત
- Cyclone Montha: ચક્રવાતી વાવાઝોડું મોન્થા આંધ્રપ્રદેશમાં ત્રાટક્યું
- પવનની 110 કિમીની ઝડપે ફૂંકાયો,ભારે તારાજી સર્જાઇ
- વિમાન અને રેલવે સેવાઓ પ્રભાવિત
- અનેક વૃક્ષો અને મકાનોને થયો ભારે નુકસાન
બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાતી વાવાઝોડું 'મોન્થા' (Montha) મંગળવારે આંધ્રપ્રદેશના કાકીનાડા અને મછલીપટ્ટનમ દરિયાકાંઠા વચ્ચે ખૂબ જ ઝડપથી ત્રાટક્યું હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ તેને 'ગંભીર ચક્રવાતી વાવાઝોડું' જાહેર કરીને આગામી 24 કલાક સુધી સતર્ક રહેવાની ચેતવણી આપી છે.
Cyclone Montha: ચક્રવાતી વાવાઝોડું મોન્થા ત્રાટક્યું
નોંધનીય છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ લગભગ 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી. આ ભયાનક વાવાઝોડા અને ભારે વરસાદને કારણે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં સેંકડો ઘરો અને વૃક્ષોને નુકસાન થયું છે. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે રાજ્યના અનેક ભાગોમાં વીજળી પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, સાથે જ હવાઈ અને રેલ સેવાઓ પ્રભાવિત થઇ છે.
Cyclone Montha થી ફલાઇટ અને રેલ સેવાઓ પ્રભાવિત
ઉલ્લેખનીય છે કે ચક્રવાતને કારણે મુસાફરી પર ગંભીર અસર પડી છે. મંગળવારે વિશાખાપટ્ટનમ એરપોર્ટ પરથી તમામ 32 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે વિજયવાડા અને તિરુપતિ એરપોર્ટથી પણ ડઝનેક ફ્લાઇટ્સ રદ થઈ છે. રેલવેએ પણ દક્ષિણ-મધ્ય અને પૂર્વ કિનારાના ટ્રેક પર 100થી વધુ ટ્રેનો રદ કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ત્રણેય ઝોનને હાઇ એલર્ટ પર રહેવા અને રાહત કામગીરી તાત્કાલિક શરૂ કરવા નિર્દેશ આપ્યો છે.
Cyclone Montha ને લઇને હવામાન વિભાગે આપી ચેતવણી
IMD અનુસાર, મોન્થાની અસર માત્ર દરિયાકાંઠા સુધી મર્યાદિત નથી. અરબી સમુદ્રમાં ઓછા દબાણવાળા વિસ્તારની સમાંતર રચાયેલા આ ચક્રવાતને કારણે દેશના ઘણા ભાગોમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. પૂર્વીય રાજ્યો ઓડિશા અને બંગાળના કોલકાતા સહિત અનેક જિલ્લાઓમાં 31 ઓક્ટોબર સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ, અરબી સમુદ્રની હવામાન પ્રણાલીની અસરને કારણે રાજસ્થાનના ઘણા ભાગોમાં પહેલેથી જ ભારે વરસાદ પડી રહ્યો છે.
હવામાનશાસ્ત્રીઓના મતે, ચક્રવાતની અસર આગામી એક-બે દિવસમાં ઉત્તર ભારત પહોંચશે. રાજસ્થાન, મધ્યપ્રદેશના કેટલાક ભાગો અને ઉત્તર પ્રદેશના મોટા ભાગોમાં બે દિવસ સુધી વરસાદની અસર અનુભવાશે, સાથે જ બિહાર અને ઝારખંડમાં પણ વરસાદ પડશે. દિલ્હી-એનસીઆર અને હરિયાણામાં પણ આગામી 48 કલાક દરમિયાન હળવો વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે ઊંચા મોજા ઉછળવાના કારણે માછીમારોને દરિયામાં ન જવાની કડક સલાહ આપી છે. IMD અનુસાર, ચક્રવાત બુધવાર સુધીમાં નબળું પડી જશે, ઉત્તર ભારતમાં હવામાનને બીજા બે થી ત્રણ દિવસ સુધી અસર કરી શકે છે.થાઇલેન્ડે આ વાવાઝોડાને 'મોન્થા' નામ આપ્યું છે, જેનો થાઈ ભાષામાં અર્થ 'સુગંધિત ફૂલ' થાય છે.
આ પણ વાંચો: બિહારમાં મહાગઠબંધને જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, સરકારી નોકરી સહિત મહિલાઓને દર મહિને 2500ની કરાઇ જાહેરાત