Dahod : રિટાયર્ડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો
- Dahod : રિટાયર્ડ શિક્ષણાધિકારી મયુર પારેખ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો
- ACBની કાર્યવાહી : દાહોદના પૂર્વ DEO પાસે ₹65.40 લાખની વધારાની સંપત્તિ મળી
- ભ્રષ્ટાચાર પર્દાફાશ : મયુર પારેખની આવક કરતાં 22.58% વધુ મિલકતનો આરોપ
- દાહોદમાં શિક્ષણ વિભાગને ઝટકો, રિટાયર્ડ અધિકારી સામે ACBએ દાખલ કર્યો ગુનો
- અપ્રમાણસર સંપત્તિ કેસ : દાહોદના તત્કાલીન ઇન્ચાર્જ DEO પર શિકંજો કસાયો
Dahod : ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન હેઠળ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી કરતાં દાહોદના રિટાયર્ડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ સામે આવક કરતાં વધુ સંપત્તિ ભેગી કરવાના આરોપસર ગુનો નોંધ્યો છે. આ કેસમાં પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીની પાસે તેમની જાણીતી આવક કરતાં 22.58 ટકા વધુ સંપત્તિ મળી આવી છે, જેની કુલ કિંમત રૂ. 65.40 લાખ જેટલી છે.
આરોપી મયુર પારેખે વર્ષ 2005થી 2023 સુધીના પોતાના ફરજના કાર્યકાળ દરમિયાન અનૈતિક રીતે આ સંપત્તિ ભેગી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અગાઉથી ચાલી રહેલી તપાસ બાદ ACBએ હવે સત્તાવાર રીતે દાહોદ ACB પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ACBના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વધુ તપાસ દરમિયાન આરોપીની વધારાની સંપત્તિ પણ સામે આવી શકે તેમ છે. ગુનાની તપાસ ACBના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે પાછળા ઘણા સમયથી એન્ટી કરપ્શન બ્યૂરોએ બ્યૂગલ ફૂકેલું છે. આ કાર્યવાહીને મહત્વની ગણવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગના આ પૂર્વ અધિકારીની આ ઘટનાએ વિભાગને પણ આંચકો આપ્યો છે. દેશના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે બેસાડેલા બાબુઓ પોતે જ પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત બની જતાં હોય છે. તેવામાં બાળકોના ભવિષ્યની સાથે-સાથે દેશની પણ અધોગતિ થઈ જતી હોય છે.
આગામી દિવસોમાં પણ ભ્રષ્ટ સરકારી અધિકારીઓ સામે એસીબી ડંડો પટકીને કાર્યવાહીમાં તેજી લાવી શકે છે. મળી રહેલી માહિતી અનુસાર, આરોપી મયુર પારેખ પાસે આવક કરતાં વધારે સંપત્તિ હોવાની અરજીના આધારે તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં આરોપી પાસે પોતાની આવક કરતાં વધારે સંપત્તિ મળી આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તો વધારે સંપત્તિ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી તપાસને આગળ વધારવામાં આવી છે.
આ પણ વાંચો- Vadodara News: ડભોઈમાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 6 ઘરના તોડ્યા તાળા


