Jetpur : ભાદર નદી પ્રદૂષણ મામલે ખેડૂતોનો હલ્લાબોલ : કેરાળી નજીક નદી પટમાં ધરણું, ઉગ્ર આંદોલનની ચેતવણી
- Jetpur : ભાદર નદીમાં કેમિકલ કહેર: ખેડૂતોએ નદીમાં બેસી વિરોધ, સેમ્પલ ખેડૂતોને સોંપાયા
- 40 વર્ષથી પ્રદૂષણનો ભોગ બનતા ખેડૂતોનો આક્રોશ : જેતપુરમાં મોટું પ્રદર્શન, હજારો ઉતરશે રસ્તા પર
- કેરાળી ખેડૂતોનો ઉગ્ર વિરોધ: ભાદર નદીમાં પ્રદૂષણ બંધ નહીં તો ઉગ્ર આંદોલનની ચેતવણી
- GPCB સામે ખેડૂતોની નારેબાજી : ભાદર નદી પ્રદૂષણમાં પારદર્શક તપાસની માંગ, સેમ્પલ 'વન-બાય-ટુ' કરાયા
Jetpur : રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં ભાદર નદીના લાંબા સમયથી ચાલતા પ્રદૂષણ મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વધ્યો છે. કેરાળી ગામ નજીક નદીના પટમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ધરણું બેસીને પ્રદૂષણ માફિયાઓ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) સામે વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ જણાવ્યું કે છેલ્લા 40 વર્ષથી કેમિકલયુક્ત લાલ-કાળા પાણીને કારણે ઉભો મોલ બળી રહ્યો છે, જમીન બંજર બની રહી છે અને પશુઓના સ્વાસ્થ્ય પર જોખમ વધ્યું છે.
Jetpur : મોટી સંખ્યામાં ખેડૂતોએ કર્યો વિરોધ પ્રદર્શન
કેરાળી, લુણાગરા, ઉમરકોટ અને વેગડી સહિત આસપાસના ગામોના ખેડૂતોએ નદીના પટમાં બેસીને સૂત્રોચ્ચાર કર્યા અને હલ્લાબોલ મચાવ્યો. તેઓએ આક્ષેપ કર્યો કે GPCBના અધિકારીઓ માત્ર સેમ્પલ લેવાની નાટકબાજી કરે છે અને રિપોર્ટને નેગેટિવ બતાવીને પ્રદૂષણ માફિયાઓને બચાવે છે. ખેડૂતોએ માંગ કરી છે કે સેમ્પલિંગ પારદર્શક રીતે થાય અને ખેડૂતોની હાજરીમાં જ કાર્યવાહી થાય. તેઓએ ચેતવણી આપી છે કે જો પ્રદૂષણ બંધ નહીં થાય તો 3-4 હજાર ખેડૂતો રસ્તા પર ઉતરશે અને ઉગ્ર આંદોલન કરશે.
વિરોધ વચ્ચે લેવામાં આવ્યા પાણીના સેમ્પલ
આ વિરોધ વચ્ચે GPCBની ટીમે સ્થળ પર પહોંચીને ફરી વાર પાણીના સેમ્પલ લીધા. જેતપુર પ્રાદેશિક કચેરીના નાયબ પર્યાવરણ ઇજનેર એચ. એમ. લોખંડવાલાએ જણાવ્યું કે ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને તેમની હાજરીમાં જ બે સેમ્પલ લેવામાં આવ્યા છે. વોટર એક્ટ મુજબ સેમ્પલને 'વન-બાય-ટુ' કરીને સીલ મારેલો અડધો હિસ્સો ખેડૂતોને સોંપવામાં આવ્યો છે, જેથી તપાસમાં કોઈ શંકા ન રહે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
એસોસિએશનનો લૂલો બચાવ
બીજી તરફ જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયાએ એસોસિએશનનો બચાવ કરતાં કહ્યું કે 1700 જેટલા યુનિટોનું પાણી ક્લોઝ પાઈપલાઈન દ્વારા સીધું ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જાય છે. તેમણે કહ્યું કે જો કોઈ અજાણ્યા શખ્સો ગેરકાયદેસર રીતે નદીમાં પ્રદૂષણ ફેલાવતા હોય તો તંત્રે તેમને પકડીને જેલમાં પૂરવા જોઈએ. જો એસોસિએશનના કોઈ સભ્ય દોષિત હોય તો તેની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.
પ્રદૂષણને રોકવા પારદર્શક કાર્યવાહી જરૂરી
ભાદર નદીનું પ્રદૂષણ જેતપુરના ડાઈંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગોને કારણે લાંબા સમયથી ચાલ્યું આવે છે. NGTએ પણ 2025માં આ મુદ્દે આદેશ આપ્યા હતા કે 2026 સુધીમાં જેતપુર-નવાગઢમાં સીવેજ નેટવર્ક પૂર્ણ કરીને અનટ્રીટેડ પાણી નદીમાં ન જાય તેની ખાતરી કરવી. ખેડૂતોના આ વિરોધથી મુદ્દો ફરી ગરમાયો છે અને તંત્ર પર દબાણ વધ્યું છે કે પારદર્શક તપાસ અને કડક કાર્યવાહી કરીને પ્રદૂષણ રોકવું પડશે.
આ પણ વાંચો-કલેક્ટરોની કોન્ફરન્સમાં CM Bhupendrabhai પટેલનું મોટું નિવેદન : યોજનાઓ અસરકારક અમલ માટે ફિલ્ડમાં જાઓ
અહેવાલ- હરેશ ભાલિયા, જેતપુર


