Bhavnagar: 90 હજારની લોન પર 3 લાખની માંગણી, શિક્ષકને લાકડી-ધોકાથી માર્યો, ચાર આરોપીઓ ઝડપાયા
- ભાવનગરમાં (Bhavnagar) વ્યાજખોરો દ્વારા શિક્ષક પર હુમલો
- ભૂતપૂર્વ વિદ્યાર્થીએ જ શિક્ષકને માર માર્યો
- પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ
- ભાવનગર પોલીસે તપાસ શરૂ કરી
Bhavnagar: રાજ્યમાં ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે પોલીસ અભિયાન ચલાવી રહી છે. તેમ છતા વ્યાજખોરોનો હિંમત એટલી વધી ગઈ છે કે તેઓ હુમલો પણ કરી રહ્યા છે. ત્યારે ભાવનગર (Bhavnagar) શહેરમાં પણ આવો જ એક વ્યાજખોરીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં શિક્ષકને વ્યાજખોરોએ માર માર્યો હતો આ મામલે પોલીસે કાર્યવાહી કરી છે અને 4 શખ્સોની ધરપકડ કરી છે.
ભાવનગરમાં (Bhavnagar) વ્યાજખોરો દ્વારા શિક્ષક પર હુમલો
પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર શહેરની એમ. કે. જમોડ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક કુરુપાલભાઈ ખોડાભાઈ ખસીયા પર વ્યાજખોરો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ભરતનગર પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ અનુસાર, શિક્ષક કુરુપાલભાઈને નાણાકીય તંગીને કારણે તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થી નિતિન બારૈયા અને વિરમદેવ જોરસગ મોરી પાસેથી 15 ટકા વ્યાજે રૂ. 40 હજાર અને પછી વધુ રૂ. 50 હજાર મળી કુલ રૂ. 90 હજારની લોન લીધી હતી. શિક્ષકે મૂળધન સાથે વ્યાજ મળીને રૂ. 1.40 લાખ ચૂકવી દીધા હોવા છતાં આરોપીઓ વારંવાર વ્યાજની ઉઘરાણી કરતા હતા અને વધુ રૂ. 3 લાખની માંગણી કરી રહ્યા હતા.જ્યારે શિક્ષકે વધુ પૈસા આપવાની ના પાડી ત્યારે આરોપીઓએ તેમને મળવા બોલાવ્યા અને ચારેય શખ્સોએ લાકડી અને ધોકા વડે માર મારીને તેમને ઈજા પહોંચાડી હતી. આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
શિક્ષકની ફરિયાદના આધારે ભરતનગર પોલીસે નિતિન લક્ષ્મણ બારૈયા, વિરમદેવ જોરસગ મોરી, ચંદ્રસિંહ નારણ પરમાર અને જીગ્નેશ કાળુ ચૌહાણની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ મારામારી, ધમકી અને વ્યાજખોરીના ગુના નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Gujarat News : આજે 18 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


