બનાસકાંઠામાં આશા વર્કરોનો ઉગ્ર આક્રોશ : 1000થી વધારે વર્કરોનું Palanpurમાં મોટું આંદોલન
- Palanpur માં આશા વર્કરોનું ધરણું : ઓછા વેતન-વધારાના કામ સામે રોષ, CMને પત્રો મોકલ્યા
- બનાસકાંઠા : ઓનલાઈન એન્ટ્રી અને ઇન્સેન્ટિવની માંગ સાથે 1000થી વધુ આશા વર્કરોનું પ્રદર્શન
- આશા વર્કરોની ચેતવણી : માંગણીઓ ન પૂરી થાય તો વધુ ઉગ્ર આંદોલન, પાલનપુરમાં રેલી-ધરણું
- લઘુત્તમ વેતન-કાયમીકરણની માંગ સાથે બનાસકાંઠાની આશા વર્કરોએ સરકારને આપી ચેતવણી
Palanpur : બનાસકાંઠા જિલ્લામાં આશા વર્કરોએ સરકાર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. આ દરમિયાન એક હજારથી વધારે પત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખીને પોતાની સમસ્યાઓ વિશે રજૂઆત કરાઈ છે. બહેનોએ પત્રો પોતાના હાથમાં રાખીને આંદોલન કર્યું હતું. જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી એક હજારથી વધુ આશા વર્કરો આજે પાલનપુરમાં એકત્ર થયા અને પોતાની લાંબા સમયથી લટકતી માંગણીઓને લઈને નોંધપાત્ર પ્રદર્શન કર્યું. આશા વર્કરોએ પ્રથમ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજીને પોતાની સમસ્યાઓ રજૂ કરી અને ત્યારબાદ રેલી કાઢીને પાલનપુર હેડ પોસ્ટ ઓફિસ સુધી પહોંચ્યા હતા.
Palanpur : વેતન વધારવાની મુખ્ય માંગ
આશા વર્કરોનું મુખ્ય આક્ષેપ છે કે તેઓ વર્ષોથી ઓછા માનદ વેતન પર આરોગ્ય વિભાગની સૌથી મહત્વની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. ગર્ભવતી મહિલાઓની સંભાળ, રસીકરણ, પોષણ કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાનો અને અનેક જનઆરોગ્ય યોજનાઓમાં તેઓ મહત્વની ભૂમિકા ભજવે છે. છતાં પણ તેમને લઘુત્તમ વેતન મળતું નથી અને કાયમી નોકરીની માંગ પણ વર્ષોથી અવગણાઈ રહી છે.
આ પણ વાંચો- Banaskantha: ઠાકોર સમાજમાં મોટો વિવાદ, સિંગર ગબ્બર અને અર્જુન ઠાકોરને 'સમાજ બહાર' કરવાની પોસ્ટ વાયરલ!
વધારાના કામનું કોઈ જ વળતર અપાતું નથી
આશા વર્કરોએ વધુમાં જણાવ્યું કે તેમને વર્ષોથી વધારાનું કામ સોંપવામાં આવે છે, પરંતુ તેના બદલામાં કોઈ વધારાનું વળતર કે ઇન્સેન્ટિવ નથી મળતું. ખાસ કરીને ઓનલાઈન ડેટા એન્ટ્રી અને રિપોર્ટિંગની ફરજ ફરજિયાત બનાવવામાં આવી છે. ઘણી આશા વર્કરો પાસે સ્માર્ટફોન કે યોગ્ય ઈન્ટરનેટ સુવિધા નથી, છતાં પણ તેમને ઓનલાઈન કામ કરવા દબાણ કરવામાં આવે છે. જો કામ ન કરે તો ઇન્સેન્ટિવ બંધ કરવાની તેમજ કામગીરી બંધ કરી દેવાની ધમકીઓ પણ આપવામાં આવે છે.
મુખ્યમંત્રીને પત્ર લખીને કરાઇ છે રજૂઆત
આશા વર્કરોએ આજના આંદોલન દરમિયાન મુખ્યમંત્રીને સંબોધીને અનેક પત્રો લખ્યા હતા. આ પત્રોમાં તેમણે ઓનલાઈન કામગીરી તાત્કાલિક બંધ કરવા, લઘુત્તમ વેતન આપવા, વધારાના કામનું યોગ્ય વળતર આપવા અને કાયમીકરણની પ્રક્રિયા શરૂ કરવાની માંગ મૂકી છે. આ તમામ પત્રો સ્પીડ પોસ્ટ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય સુધી મોકલવામાં આવ્યા છે.
Palanpur : ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી
આશા વર્કરોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર ઝડપથી વિચારણા ન કરવામાં આવે અને નિર્ણય ન લેવાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેઓએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે આરોગ્ય વિભાગની આગળની કામગીરી અને ગ્રામીણ આરોગ્ય સેવાઓને સુચારૂ રાખવા માટે આશા વર્કરોને ન્યાય આપવો જરૂરી છે.
આ આંદોલન બનાસકાંઠા જિલ્લાની સાથે સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આશા વર્કરોની સમાન માંગણીઓને લઈને ચાલી રહેલા પ્રદર્શનો સાથે જોડાયેલું છે. આશા વર્કરોની આ મુખ્ય માંગણીઓ લાંબા સમયથી ચર્ચામાં છે અને હવે તેમનો આક્રોશ વધીને રસ્તા પર ઉતરી આવ્યો છે.
આ પણ વાંચો- Banaskantha : તાલેગંજમાં ઝાટકા મશીનથી વીજ કરંટ લાગતા બે સગા ભાઈઓના કરૂણ મોત


