Asiatic Lions News: ગીરમાં સિંહોના સંક્રમણ પર કાબૂ, છેલ્લા 3 દિવસમાં શૂન્ય મૃત્યુ સાથે સ્થિતિ નિયંત્રણમાં
Asiatic Lions News: ગીરના જંગલોમાં એશિયાઈ સિંહોમાં (Asiatic Lions) જોવા મળેલા વાયરસ સંક્રમણ અંગેની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા માટે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે ગ્રાઉન્ડ ઝીરો પર રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રીએ જામવાળા રેસ્ક્યુ સેન્ટર, બાબરિયા વન વિસ્તાર અને જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લઈને કાર્યરત અધિકારીઓ અને પશુચિકિત્સકો (Veterinarians) સાથે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે વન વિભાગ દ્વારા લેવાયેલા પગલાંનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
સિંહોની સુરક્ષા અને અવિરત સતર્કતા
સ્થિતિની સમીક્ષા બાદ મંત્રીએ જણાવ્યું હતું કે, વન વિભાગની સમયસરની કામગીરી અને અસરકારક વ્યવસ્થાપનને કારણે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. મંત્રીએ મોટી રાહત આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ૩ દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એકપણ સિંહનું મૃત્યુ નોંધાયું નથી. જોકે, કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે તંત્ર અત્યંત સાવચેત છે. ફિલ્ડ સ્ટાફ અને નિષ્ણાતોની ટીમ ચોવીસે કલાક (24x7) સિંહોના સ્વાસ્થ્ય પર ચાંપતી નજર રાખી રહી છે.
સરકારની પ્રતિબદ્ધતા અને ટીમની કામગીરીને બિરદાવી
મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાતની શાન એવા એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. સિંહોની સુરક્ષા એ રાજ્ય સરકારની સર્વોચ્ચ અગ્રતા છે. મંત્રીએ ગીરના જંગલોમાં સિંહોની ગર્જના અવિરત જળવાઈ રહે તે માટે દિવસ-રાત મહેનત કરી રહેલા વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને પશુચિકિત્સકોની કામગીરીની પ્રશંસા કરી તેમનું હૃદયપૂર્વક સન્માન કર્યું હતું.
આ પણ વાંચોઃ 4 સિંહ બાળના મૃત્યુ બાદ સઘન મોનિટરિંગ શરૂ, CM એ યોજી બેઠક


