7 વર્ષથી અમદાવાદમાં ચૂંટણી/આધાર/પાન કાર્ડનો ધંધો કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરને Gujarat ATS એ પકડ્યો
Gujarat ATS : ધીમી ગતિએ ચાલી રહેલી ગેરકાયદેસર હથિયાર પરવાના કૌભાંડ (Arms License Scam) ની તપાસ વચ્ચે ગુજરાત એટીએસે બાંગ્લાદેશી ઘૂસણખોરોના મામલામાં ઝંપલાવવાની ફરજ પડી છે. એટીએસની ટીમે વર્ષ 2023માં અમદાવાદના રખિયાલ અને ચંડોળા/નારોલ વિસ્તારમાં તેમજ રાજકોટ સોની બજારમાં ઑપરેશન હાથ ધરી બાંગ્લાદેશી ઘૂસણખોરો/આતંકીઓને Gujarat ATS એ પકડ્યા હોવાનો દાવો કર્યો હતો. એટીએસ અને અમદાવાદની સ્થાનિક પોલીસ સેન્ટ્રલ એજન્સીના ઈનપુટના કારણે બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધવા નીકળી પડી છે. સેન્ટ્રલ એજન્સીની વાત કરીએ તો, IB પણ એટીએસની જેમ કુંભકર્ણની નિંદ્રામાં હતી. બે વર્ષ બાદ ATS Gujarat ને કેમ બાંગ્લાદેશી પકડવાની/શોધવાની ફરજ પડી છે ? વાંચો આ અહેવાલ...
Gujarat ATS ને માહિતી મળી કે, અગાઉથી જ હતી ?
બાબરી મસ્જીદ ધ્વંસના પડઘારૂપે મુંબઈમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ બાદ તત્કાલિન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ (Chimanbhai Patel CM) અને ગૃહમંત્રી સી. ડી. પટેલના કાર્યકાળમાં ગુજરાત એટીએસની રચના થઈ હતી. આતંકવાદ ફેલાવવા મોટાભાગે ત્રાસવાદી સંગઠનો ઘૂસણખોરો અને દેશ વિરોધી માનસિકતા ધરાવતા શખ્સોને ટાર્ગેટ બનાવે છે અને આ જાણકારી પ્રજાને તો છે જ, Gujarat ATS પાસે ના હોય તેવું બની જ ના શકે. દરિયા વચ્ચે અનેક ઑપરેશનો હાથ ધરીને કરોડો/અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડતી Gujarat ATS એ બે વર્ષ અગાઉ નારોલ/ચંડોળા વિસ્તારમાંથી અલ-કાયદા (Al-Qaeda Module) સાથે જોડાયેલા 4 બાંગ્લાદેશી આતંકીઓને પકડ્યા હતા. પકડાયેલા શખ્સો ગુજરાતમાં અલ-કાયદા સંગઠનનું નેટવર્ક ગોઠવવા આવ્યા હોવાનો એટીએસે દાવો કર્યો હતો. ઑગસ્ટ-2023માં રાજકોટ શહેર (Rajkot City) ના સોની બજારમાંથી પશ્ચિમ બંગાળની ત્રિપુટીને પિસ્તોલ, 10 કારતૂસ સાથે ઝડપી 5 મોબાઈલ ફોન કબજે લીધા હતા. બાંગ્લાદેશ અને આતંકી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલી તપાસમાં અનેક સંવેદનશીલ માહિતી એટીએસની ટીમને હાથ લાગી હતી. બાંગ્લાદેશી ઘૂસણખોરો (Bangladeshi Infiltrators) એ અમદાવાદમાં સ્થાયી થઈને ભારતીય નાગરિક હોવાના દસ્તાવેજો તેમજ Indian Passport કઢાવી લીધા હોવાની પણ માહિતી એજન્સીને હાથ લાગી હોવાનું કહેવાય છે. બુધવારે Gujarat ATS એ બાતમીના આધારે બાંગ્લાદેશી ઘૂસણખોર પકડ્યો હોવાનો દાવો કર્યો છે.
બે વર્ષ બાદ ATSને બાંગ્લાદેશી નારોલમાંથી જ મળ્યો
મે-2023માં Gujarat ATS એ અલ કાયદા સાથે જોડાયેલા 4 બાંગ્લાદેશી પૈકી એકને અમદાવાદના રખિયાલ તેમજ અન્ય ત્રણને ચંડોળા તળાવ પાસેના નારોલ વિસ્તારમાંથી પકડ્યા હતા. ATS Gujarat એ પકડાયેલા ચારેય બાંગ્લાદેશી આતંકી સંગઠન અલ-કાયદા માટે કામ કરતા હોવાનો દાવો કર્યો હતો. Team ATS Gujarat એ બે વર્ષ અગાઉ નારોલ વિસ્તારમાંથી આતંકીઓને પકડ્યા હતા કે ચંડોળા તળાવ વિસ્તારમાંથી તેની કોઈ સ્પષ્ટતા જે-તે વખતે ન્હોતી કરાઈ. ચંડોળા તળાવ ડિમોલેશન (Chandola Lake Demolition Operation) બાદ સક્રિય થયેલી Gujarat ATS નારોલ વિસ્તારમાં ફરી એક ઑપરેશન હાથ ધરીને બાંગ્લાદેશી ઘૂસણખોર દિદારૂલ આલમ ઉર્ફે રાણા સરકાર (હાલ રહે. બાગે કૌસર, કેનાલ રોડ, નારોલ, અમદાવાદ) સહિત બે શખ્સોને ઝડપી લીધા છે.
આ પણ વાંચો -સિન્ડીકેટ કરપ્શનનો પર્દાફાશ, ખાણ ખનીજ કચેરીનો સ્ટાફ 2 લાખની લાંચમાં Gujarat ACB ની ઝપટે ચઢ્યો
ઘૂસણખોરોને કોણ ભારતીય પાસપોર્ટ કઢાવી આપતું ?
દિદારૂલ આલમ ઉર્ફે રાણા સરકાર અને મૂળ રાજસ્થાનના નવલગઢ જિલ્લાના સોએબ કુરેશી (રહે. ન્યુ ઈન્દીરાનગર, બોમ્બે હૉટલ પાછળ, નારોલ રોડ) ની પાસપોર્ટ સહિતના બોગસ દસ્તાવેજો બનાવવાના કેસમાં એટીએસએ ધરપકડ કરી છે. દિદારૂર આલમે વર્ષ 2012માં ભારતમાં ઘૂસણખોરી કરી હતી. જુદાજુદા શહેરોમાં રોકાણ કર્યા બા દિદારૂલ આલમ વર્ષ 2015માં અમદાવાદ આવ્યો હતો અને વર્ષ 2017માં ભારતીય પાસપોર્ટ બનાવડાવી લીધો હતો. વર્ષ 2018માં દિદારૂલ આલમે દુકાન ભાડે રાખીને આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવવાનો ધંધો શરૂ કરી દીધો હતો. અલ કુરૈશ એન્ટરપ્રાઈઝના નામથી સોએબ કુરેશી આધાર કાર્ડ, પાનકાર્ડ અને પાસપોર્ટ વિગેરેની ઑનલાઈન અરજીઓ કરી આપતો હતો. આ બંને શખ્સોએ 17 બાંગ્લાદેશી ઘૂસણખોરોને Indian Passport બનાવી આપ્યા છે અને 9 જેટલાં બાંગ્લાદેશીઓની પાસપોર્ટ માટે અરજી કરી છે હોવાનું સત્તાવાર રીતે Gujarat ATS એ જણાવ્યું છે.
આ પણ વાંચો -Ahmedabad CP ઑફિસમાં IPS જેવો વટ ધરાવતા 'સાહેબ' ઘર ભેગા, શહેર પોલીસ આનંદો
સેન્ટ્રલ એજન્સી અને Gujarat ATS કેમ સક્રિય થઈ ?
ગુજરાતમાં થઈ રહેલી ગેરકાયદે ગતિવિધિઓ પર નજર રાખવા સ્થાનિક ગુપ્તચર તંત્ર ઉપરાંત સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્રાંચ સતત સક્રિય હોય છે, પરંતુ બાંગ્લાદેશી ઘૂસણખોરોના મામલામાં વર્ષોથી એજન્સી નિષ્ક્રીય હતી. બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતમાં આવી બોગસ દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ કઢાવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યાં છે. આમ છતાં સેન્ટ્રલ આઈબી (Central IB) ગુજરાત એટીએસ જેવી મહત્વની એજન્સીઓ ચંડોળા તળાવ ડિમોલિશેન અગાઉ કુંભકર્ણ નિંદ્રામાં હતી. ચંડોળા તળાવ ખાતેથી પકડાયેલા બાંગ્લાદેશીઓની પૂછપરછમાં ભારતીય પાસપોર્ટ રેકેટ (Indian Passport Racket) સામે આવતા સેન્ટ્રલ આઈબીએ પોલીસ એજન્સીઓને આ મામલે ઈનપુટ આપ્યા હતા. છેલ્લાં કેટલાંક સપ્તાહોથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Crime Branch Ahmedabad) બાંગ્લાદેશી ઘૂસણખોરોએ મેળવી લીધેલા ઈન્ડીયન પાસપોર્ટની તપાસ ચલાવી રહી છે. બાંગ્લાદેશી મહિલા પાસેથી ઈન્ડિયન પાસપોર્ટ કબજે કરી ક્રાઈમ બ્રાંચે પાકિસ્તાન કનેકશનનો ઘટસ્ફોટ કર્યા બાદ Gujarat ATS અને સ્થાનિક પોલીસને સક્રિય થવાની તેમજ કામગીરી બતાવવાની ફરજ પડી છે.