શું હતો સમગ્ર 'કોકરોચ' વિવાદ?
ગત 15 મે 2026 ના રોજ સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન CJI સૂર્યકાંતે નકલી ડિગ્રી (Fake Degrees) ધરાવતા કેટલાક લોકોની સરખામણી 'કોકરોચ' સાથે કરી હતી. તેમણે અવલોકન કર્યું હતું કે આવા શખ્સો બાદમાં સિસ્ટમને નુકસાન પહોંચાડવા કે પ્રભાવિત કરવા માટે સોશિયલ મીડિયા અથવા આરટીઆઈ એક્ટિવિસ્ટ (RTI Activists) બની જતા હોય છે. આ ટિપ્પણી સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. યુવાનોના એક વર્ગ દ્વારા આ બાબતે નારાજગી વ્યક્ત કરીને 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) નામે એક ઓનલાઈન અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું.
CJI સૂર્યકાંતે સ્પષ્ટતામાં શું કહ્યું?
એક ઇન્ટરવ્યુ દરમિયાન CJI સૂર્યકાંતે જણાવ્યું હતું કે આજના સમયમાં સોશિયલ મીડિયા પર અદાલતી કાર્યવાહીની ક્લિપ્સને પૂરા સંદર્ભ વિના જ શેર કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું, "મારી ટિપ્પણીને ખોટી રીતે તોડી-મરોડીને રજૂ કરવામાં આવી અને તેનો દુરુપયોગ થયો. જે વાત મેં ક્યારેય કહી જ નથી, તેને એ રીતે દર્શાવવામાં આવી જાણે કે તે કહેવાઈ હોય. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. ખાસ કરીને, આ દેશના યુવાનોને ગેરમાર્ગે દોરવાની એક મોટી અને બદઇરાદાવાળી કોશિશ છે." તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ સામાન્ય નાગરિકો કે યુવાનો વિશે ક્યારેય આવો નકારાત્મક દ્રષ્ટિકોણ રાખવાની કલ્પના પણ નથી કરી શકતા.
મીડિયા અને નાગરિકોને જવાબદારીપૂર્વક વર્તવાની અપીલ
ચીફ જસ્ટિસે દેશના મીડિયા અને સોશિયલ મીડિયા યુઝર્સને ન્યાયિક કાર્યવાહીની રિપોર્ટિંગ અને પ્રસ્તુતિમાં પૂરતી જવાબદારી દાખવવાની તાકીદ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "ભલે તમે સોશિયલ મીડિયા પર હોવ, પ્રિન્ટ મીડિયામાં હોવ કે અન્ય કોઈ માધ્યમમાં, આપણા સૌ પાસે સ્વતંત્રતાના અધિકારો છે; પરંતુ આ અધિકારોની સાથે કેટલાક બંધારણીય કર્તવ્યો અને જવાબદારીઓ પણ જોડાયેલી છે." તેમણે સમાજમાં પરસ્પર સદ્ભાવ જાળવી રાખવો દરેક નાગરિકની પ્રાથમિક ફરજ હોવાનું જણાવી સૌને પોતાની જવાબદારીઓનું ધ્યાન રાખવા અપીલ કરી હતી.
આ પણ વાંચો: ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર: 12 ઓગસ્ટથી ગુજરાતમાં નવી ચલણ સિસ્ટમ લાગુ, જાણો નવા નિયમો