Rajkot: સાતમ-આઠમના લોકમેળાનું સ્થળ બદલાવાની શક્યતા, કલેક્ટરે સરકાર પાસે રૂ.18 કરોડની ગ્રાન્ટ માંગી
Rajkot Lokmela Venue: રાજકોટમાં દર વર્ષે યોજાતા પરંપરાગત સાતમ-આઠમના લોકમેળા (Rajkot Lokmela) ના સ્થળને લઈને આ વર્ષે મોટો ફેરફાર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી લોકમેળાના આયોજન માટે રેસકોર્સ મેદાનને બદલે અન્ય સ્થળની માંગણી ઉઠી હતી, જેને પગલે હવે વહીવટી તંત્ર દ્વારા નવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
Rajkot: મેળાનું સ્થળ બદલાયું
તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્ય સરકાર પાસે આ મેળાના આયોજન માટે 18 કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ભૂતકાળમાં તત્કાલીન કલેક્ટર પ્રભવ જોશીના સમયગાળા દરમિયાન આ કામગીરી માટે 12 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી, પરંતુ મોંઘવારી અને કામગીરીના વ્યાપને જોતા હવે તેમાં 6 કરોડનો સીધો વધારો કરી 18 કરોડની માંગ કરવામાં આવી છે.
અટલ સરોવર પાસેની જગ્યા સરખી કરાશે
આ ગ્રાન્ટ મળ્યા બાદ અટલ સરોવર પાસેની જમીનને સમથળ કરવાની અને મેળા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure) તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા દ્વારા પણ લાંબા સમયથી મેળો ન્યૂ રેસકોર્સ મેદાનમાં યોજવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. જો રાજ્ય સરકાર આ દરખાસ્તને મંજૂરી આપે છે, તો આ વર્ષે જન્માષ્ટમીનો લોકમેળો નવા અને વિશાળ મેદાનમાં યોજાશે, જે મુલાકાતીઓ માટે અનેક નવી સુવિધાઓ લાવશે. હાલમાં સમગ્ર પ્રોજેક્ટ સરકારની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહ્યો છે.
આ પણ વાંચો: Ahmedabad: ઘાટલોડિયામાં ફેલાયેલા રોગચાળાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ચિંતિત


