Gujarati Top News : આજે 2 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 2 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે 2 મે 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. સરકારી કચેરીઓમાં 9:30થી 5:10 સમય કરવા ભલામણ છે. જેમાં ગુજરાત વહીવટી સુધારણા પંચનો અહેવાલ સોંપાયો હતો તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે છે. મુખ્યમંત્રી વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે તથા અમદાવાદના મકરબા વિસ્તારમાં આગની ઘટના બની છે. જેમાં પ્રહલાદનગર રોડ પર અંદાજ પાર્ટી પ્લોટમાં આગ લાગી તેમજ અમરેલી રાજુલાના રામપરા ગામે 4 સિંહ દેખાયા છે. શિકારની શોધમાં સિંહો અવારનવાર ઘૂસે છે તથા બનાસકાંઠામાં દારૂબંધીની પોલ SMCની ટીમે ખોલી છે. ચીખલા ખાતે નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયો ઝડપી પાડી સહિતના દિવસભરના સમાચાર જાણવા જોડાયેલા રહો.
સરકારી કચેરીઓમાં 9:30થી 5:10 સમય કરવા ભલામણ
સરકારી કચેરીઓમાં 9:30થી 5:10 સમય કરવા ભલામણ છે. જેમાં ગુજરાત વહીવટી સુધારણા પંચનો અહેવાલ સોંપાયો હતો. દ્વિતીય ભલામણ અહેવાલ રાજ્ય સરકારને સોંપાયો હતો. જેમા સરકારી કચેરીના સમયને લઈને ભલામણ કરી હતી. વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત 2047ને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને તેની કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે રાજ્ય સરકારે નિયુક્ત કરેલા ગુજરાત વહીવટી સુધારણા પંચના બીજા અહેવાલમાં 10 ભલામણો કરવામાં આવી છે, જેમાં મુખ્યત્ત્વે શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની સરકારી કચેરીઓ માટેનો સમય સવારે 9:30થી સાંજે 5:10 કરવા સૂચવાયું છે. આ ફેરફારથી કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે અને વર્ક-લાઇફ બેલેન્સના અભિગમને ધ્યાનમાં રાખતા અસરકારક કાર્યદિવસ વ્યવસ્થાપન દ્વારા ઉત્પાદકતામાં વધારો લાવી શકાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે છે. મુખ્યમંત્રી વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. પંડિત દિનદયાળ અતિથિ ગૃહ ખાતે કાર્યક્રમનુ આયોજન છે. આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM OF GUJARAT - BHUPENDRA PATEL) વડોદરા (VADODARA) ની મુલાકાતે આવનાર છે. અને તેમના હસ્તે કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ - ખાતમૂહુર્ત કરવામાં આવનાર છે. ત્યારે મુખ્યમંત્રી વિશ્વામિત્રી પ્રોજેક્ટ (VISHWAMITRI PROJECT) નું નિરીક્ષણ પણ કરવા જનાર છે. જેને ધ્યાને રાખીને વડોદરા પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદી કિનારે પટમાં ઘાસ નાખવામાં આવ્યા છે, સાથે જ કામચલાઉ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, આ અગાઉ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી વડોદરાની મુલાકાતે આવ્યા હતા. અને તેમણે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરીને કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદના મકરબા વિસ્તારમાં આગની ઘટના બની
અમદાવાદના મકરબા વિસ્તારમાં આગની ઘટના બની છે. જેમાં પ્રહલાદનગર રોડ પર અંદાજ પાર્ટી પ્લોટમાં આગ લાગી હતી. તેમજ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ પહોંચી છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ સમાચાર નહીં. અમદાવાદના એસજી હાઇવે પર મકરબા SP ઓફિસની સામે આવેલા અંદાજ પાર્ટી પ્લોટમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. ડેકોરેશનનો સામાન જેમાં કપડાં, લાકડા, અલગ અલગ સામાન સહિતની ચીજ વસ્તુઓમાં આગ લાગી છે. આગના દ્રશ્યો અને ધુમાડા એસજી હાઇવે પરથી દૂર દૂર સુધી દેખાયા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.
અમરેલી રાજુલાના રામપરા ગામે 4 સિંહ દેખાયા
અમરેલી રાજુલાના રામપરા ગામે 4 સિંહ દેખાયા છે. શિકારની શોધમાં સિંહો અવારનવાર ઘૂસે છે. ચક્કર લગાવતા 4 સિંહ મોબાઈલના કેમેરામાં કેદ થયા છે. 4 સિંહના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રાજુલા જાફરાબાદ પંથકમાં સિંહોનું સામ્રાજ્ય છે. અમરેલી જિલ્લામાં સિંહોની વધતી વસ્તીએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે. તાજેતરમાં ખાંભા તાલુકાના રાયડી ગામમાં 4 સિંહો શિકારની શોધમાં પ્રવેશ્યા હતા. સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ઘટનામાં સિંહો ગામની શેરીઓમાં ફરતા જોવા મળ્યા હતા.
બનાસકાંઠામાં દારૂબંધીની પોલ SMCની ટીમે ખોલી
બનાસકાંઠામાં દારૂબંધીની પોલ SMCની ટીમે ખોલી છે. ચીખલા ખાતે નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયો ઝડપી પાડી છે. સ્કોર્પિયોમાં 9 લાખ 56 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો છે. 15 દિવસમાં 3 વખત SMCએ અલગ અલગ જગ્યાએ રેડ કરી હતી. લાખોની કિંમતનો વિદેશી દારૂ SMCએ પકડી પાડ્યો છે. ઈનોવા, ક્રેટા અને સ્કોર્પિયો જેવી મોંઘી ગાડીઓ પકડી છે.


