કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય : રોડ અકસ્માતમાં ઘાયલોને 1.5 લાખ સુધી કેશલેસ ઈલાજ, મદદ કરનારને 25 હજારનું ઈનામ
- સડક અકસ્માતમાં ઘાયલોને 1.5 લાખ સુધી કેશલેસ ઈલાજ, મદદ કરનારને 25 હજાર ઈનામ: કેન્દ્રનો મોટો નિર્ણય
- ગોલ્ડન અવરમાં જાન બચાવો: રાહવીર યોજનામાં 25 હજારનો ઈનામ, કેશલેસ ઈલાજની સુવિધા
- નીતિન ગડકરીની બેઠકમાં મોટા નિર્ણય: સડક સુરક્ષા માટે કેશલેસ ટ્રીટમેન્ટ અને વધારેલ મુઆવજો
- હિટ એન્ડ રનમાં મુઆવજો 2 લાખ સુધી વધારો, ઘાયલોને 7 દિવસ કેશલેસ ઈલાજ
- સડક અકસ્માતો ઘટાડવા કેન્દ્રની મોટી પહેલ: રાહવીરને પ્રોત્સાહન, ઝીરો ફેટેલિટી ઝોન
નવી દિલ્હી : દેશમાં દર વર્ષે લાખો લોકો સડક અકસ્માતનો ભોગ બને છે. સમયસર ઈલાજ ન મળવાથી મોટી સંખ્યામાં જીવ જાય છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સડક સુરક્ષા માટે એક ઐતિહાસિક અને માનવીય નિર્ણય લીધો છે. હવે સડક અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને દેશભરમાં 1.5 લાખ રૂપિયા સુધીનો કેશલેસ ઈલાજ મળશે. આ સુવિધા અકસ્માત પછી મહત્તમ 7 દિવસ સુધી ઉપલબ્ધ રહેશે. સાથે જ સડક અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચાડનાર નાગરિકોને સરકારની રાહવીર યોજના હેઠળ 25 હજાર રૂપિયાનો ઈનામ આપવામાં આવશે. આ નિર્ણયને સડક સુરક્ષાના ક્ષેત્રમાં મોટો સુધારો માનવામાં આવે છે, જેનાથી માત્ર જાન બચાવવામાં મદદ મળશે પરંતુ સામાન્ય નાગરિકોને પણ મદદ માટે આગળ આવવાનું પ્રોત્સાહન મળશે.
સડક અકસ્માતો પર અંકુશ મૂકવાની દિશામાં મોટું પગલું...
કેન્દ્ર સરકાર સડક અકસ્માતોમાં થતા મોતને ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ભારતમાં સડક અકસ્માત માત્ર ટ્રાફિક સમસ્યા નથી પરંતુ એક ગંભીર સામાજિક અને જાહેર આરોગ્ય સંકટ બની ગયા છે. આંકડાઓ અનુસાર, દર વર્ષે દેશમાં લાખો અકસ્માત થાય છે, જેમાં હજારો લોકો જાન ગુમાવે છે અથવા આજીવન અપંગ બને છે. સરકારનું માનવું છે કે અકસ્માત પછી ગોલ્ડન અવરમાં જો ઘાયલને સાચો ઈલાજ મળી જાય તો તેનો જીવ બચાવી શકાય છે. આ જ વિચારધારા હેઠળ આ કેશલેસ ઈલાજ યોજના લાવવામાં આવી છે.
1.5 લાખ રૂપિયા સુધીનો કેશલેસ ઈલાજ, યોજના કેવી રીતે કામ કરશે
નવી યોજના હેઠળ સડક અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સરકારી અને સૂચિબદ્ધ ખાનગી હોસ્પિટલોમાં 1.5 લાખ રૂપિયા સુધીનો કેશલેસ ઈલાજ મળશે. આ ઈલાજ અકસ્માત પછી 7 દિવસ સુધી માન્ય રહેશે. ઈલાજનો ખર્ચ ઈન્શ્યોરન્સ કંપનીઓ ઉઠાવશે જે કેસમાં વીમો નહીં હોય ત્યાં ખર્ચ સરકાર રોડ સેફ્ટી ફંડમાંથી ઉઠાવશે. ઘાયલ વ્યક્તિ અથવા તેના પરિવારને હોસ્પિટલમાં કોઈ આગોતરી રકમ જમા કરાવવી પડશે નહીં. આનો સૌથી મોટો ફાયદો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળશે, જે મોટાભાગે પૈસાની અછતને કારણે સમયસર ઈલાજ નથી કરાવી શકતા.
પાયલટ પ્રોજેક્ટની સફળતા પછી દેશભરમાં અમલમાં આવશે યોજના
આ યોજના પહેલા પાયલટ પ્રોજેક્ટ તરીકે કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમલમાં મૂકવામાં આવી હતી... તેમાં અસમ, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, પુડુચેરી, ઉત્તર પ્રદેશ સામેલ છે. આ રાજ્યોમાં યોજનાના સકારાત્મક પરિણામો સામે આવ્યા. મોટી સંખ્યામાં ઘાયલોને સમયસર ઈલાજ મળ્યો અને મોતમાં ઘટાડો નોંધાયો. આ જ સફળતાના આધારે હવે કેન્દ્ર સરકાર તેને આખા દેશમાં અમલ કરવાની તૈયારી કરી રહી છે.
રાહવીર યોજના- મદદ કરનારને મળશે સન્માન અને ઈનામ...
મોટાભાગે એવું જોવા મળે છે કે સડક અકસ્માત પછી લોકો કાયદાકીય ઝંઝટના ડરથી ઘાયલની મદદ કરતા હોતા નથી. આ માનસિકતા બદલવા માટે સરકારે રાહવીર યોજનાને મજબૂત બનાવી છે. હવે જો કોઈ નાગરિક સડક અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચાડે તો તેને 25 હજાર રૂપિયાનો નકદ ઈનામ અને સરકારી સ્તરે સન્માન પત્ર આપવામાં આવશે. આ યોજનાનો હેતુ સમાજમાં આ સંદેશ આપવાનો છે કે જીવ બચાવનાર નાગરિક અપરાધી નહીં, પરંતુ નાયક છે.
પ્રધાનમંત્રી કરશે યોજનાનું ઉદ્ઘાટન
સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાનું ઔપચારિક ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં કરશે. માનવામાં આવે છે કે તે પછી તેને તબક્કાવાર રીતે આખા દેશમાં અમલમાં મૂકવામાં આવશે. આ યોજના કેન્દ્ર સરકારના તે વિઝનનો ભાગ છે, જેમાં સડક અકસ્માતોથી થતા મોતને શૂન્યની નજીક લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
નીતિન ગડકરીની અધ્યક્ષતામાં થઈ મહત્વની બેઠક
કેન્દ્રીય સડક પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓની વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા થઈ. આ ચર્ચામાં સડક સુરક્ષા, પ્રવાસીઓ અને સામાન્ય લોકોની સુવિધા, ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ, ઓટોમોબાઈલ નિયમોમાં સુધારા જેવા મુદ્દાઓ સામેલ હતા. ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સડક અકસ્માતોને રોકવા માટે કડક નિયમો સાથે સામાજિક જાગૃતિ પણ જરૂરી છે.
સીટ બેલ્ટ અને હેલ્મેટ પર સખ્તાઈના નિર્દેશ...
બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રીએ તમામ રાજ્યોને નિર્દેશ આપ્યા કે ફોર વ્હીલ વાહનોમાં ડ્રાઈવર અને તમામ પ્રવાસીઓ માટે સીટ બેલ્ટ અનિવાર્ય કરવામાં આવે. દ્વિચક્ર વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું સખ્તાઈથી અમલમાં મૂકવામાં આવે. તેમણે કહ્યું કે નિયમો તો બની ગયા છે, પરંતુ તેમનું સખ્તાઈથી પાલન જ સાચો પડકાર છે. જો આ મૂળભૂત નિયમોનું સાચી રીતે પાલન થાય તો મોટી સંખ્યામાં જીવ બચાવી શકાય છે.
હિટ એન્ડ રન કેસમાં વધુ આપવામાં આવશે વળતર
સરકારે હિટ એન્ડ રન કેસમાં વળતર અંગે પણ મોટો ફેરફાર કર્યો છે. નીતિન ગડકરીએ જણાવ્યું કે પહેલા આ કેસમાં માત્ર 17 ટકા દાવા જ સફળ થતા હતા. હવે નવા નિયમો હેઠળ... અકસ્માતમાં મોત થાય તો વળતર 25 હજાર રૂપિયા આપવામાં આવતો હતો. પરંતુ હવે તે 2 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. હિટ એન્ડ રન કેસમાં ગંભીર રૂપે ઘાયલ થાય તો પહેલા 12,500 રૂપિયા મળતા હતા પરંતુ હવે 50 હજાર રૂપિયા વળતર આપવામાં આવશે. આ નિર્ણયથી ખાસ કરીને ગરીબ અને નબળા વર્ગના પરિવારોને મોટી રાહત મળશે.
ઝીરો ફેટેલિટી જિલ્લા કાર્યક્રમ મોતને શૂન્ય કરવાની પહેલ
બેઠકમાં ઝીરો ફેટેલિટી જિલ્લા કાર્યક્રમની યાદી પણ જાહેર કરવામાં આવી, જેમાં દેશના 100 જિલ્લા સામેલ છે. આ કાર્યક્રમનો હેતુ આવા જિલ્લાઓની ઓળખ કરવી અને ત્યાં વિશેષ પગલાં લઈને સડક અકસ્માતોમાં થતા મોતને શૂન્યની નજીક લાવવાનો છે. નીતિન ગડકરીએ નાગપુર જિલ્લાની પ્રશંસા કરતા જણાવ્યું કે ત્યાં સડક અકસ્માતોમાં થતા મોતમાં 25 ટકાનો ઘટાડો આવ્યો છે.
આ પણ વાંચો-ટ્રમ્પની ધમકી વચ્ચે પોલેન્ડે આપ્યું INDIA ને સમર્થન, શું ટળશે 500% ટેરિફનો ખતરો?


