ભારતીય સેનાએ 16,000 ફૂટની ઊંચાઈએ સ્વદેશી મોનોરેલ સિસ્ટમ વિકસાવી,સૈનિકોને થશે મોટો ફાયદો!
- Monorail Arunachal: ભારતીય સૈનિકોએ વિક્સાવી મોનોરેલ સિસ્ટમ
- 16,000 ફૂટની ઊંચાઈ પર સ્વદેશી મોનોરેલ સિસ્ટમ
- કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ સિસ્ટમની પ્રશંસા કરી
અરુણાચલ પ્રદેશના(ArunachalPradesh) તૈનાત ભારતીય સૈનિકો માટે ખાસ સ્વદેશી મોનોરેલ શરૂ કરાઇ . 16,000 ફૂટની ઊંચાઈએ, ભારતીય સેનાએ એક સ્વદેશી મોનોરેલ ( monorail) સિસ્ટમ વિકસાવી છે. જે બરફથી ઢંકાયેલા, ખતરનાક અને રસ્તા વગરના વિસ્તારોમાં પુરવઠાની ડિલિવરી પહેલા કરતાં વધુ ઝડપી પહોચાડશે. આ સિસ્ટમ અરુણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરમાં ગજરાજ -4 કોર્પ્સ દ્વારા સીધી ક્ષેત્રમાં સૈનિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આ સિસ્ટમની પ્રશંસા કરીને તેને ભારતની એન્જિનિયરિંગ કૌશલ્ય અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.
Monorail Arunachal: 16,000 ફૂટની ઊંચાઈ પર સ્વદેશી મોનોરેલ સિસ્ટમ
અરુણાચલ પ્રદેશના ઘણા દૂરના વિસ્તારોમાં રસ્તાઓ કે પરંપરાગત વાહનોની સુવિધા ન હોવાથી પુરવઠો પહોંચાડવો એક મોટો પડકાર રહ્યો છે. સાંકડા પર્વતીય રસ્તાઓ, ખડકો, અચાનક હવામાનમાં ફેરફાર અને ઓછો ઓક્સિજન સૈનિકો માટે મુખ્ય પડકારો હતા. તેમને ઘણીવાર પીઠ પર ભારે ભારણ લઈને લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હતી, જે અત્યંત જોખમી અને સમય માંગી લે તેવી સાબિત થતી હતી. ગજરાજ કોર્પ્સ દ્વારા વિકસાવવામાં આવેલી આ મોનોરેલ સિસ્ટમ આ બધા પડકારોને નોંધપાત્ર રીતે દૂર કરશે. આ મોનોરેલ પ્રતિ ટ્રીપ ૩૦૦ કિલોથી વધુ પેલોડ વહન કરવામાં સક્ષમ છે. આ ઝડપી, સલામત અને ઊર્જા-કાર્યક્ષમ પદ્ધતિથી ખોરાક, દવા, દારૂગોળો અને આવશ્યક સાધનોને આગળની પોસ્ટ્સ પર પહોંચાડવાનું ખૂબ સરળ બનશે.
Monorail Arunachal: સ્વદેશી મોનોરેલ સિસ્ટમ સેનાની તાકાતમાં કરશે વધારો
સેના માને છે કે આનાથી ફક્ત સમય બચશે નહીં પરંતુ સૈનિકો પરનો ભાર પણ ઘટાડશે અને કામગીરી દરમિયાન જોખમો પણ ઘટશે. આ મોનોરેલ સિસ્ટમ ભારતની સ્વદેશી વિચારસરણી અને નવીનતા તરફ એક મોટું પગલું છે, જે આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત બનાવે છે. કામેંગ ક્ષેત્રમાં તેની જમાવટ પૂર્વીય સરહદો પર લોજિસ્ટિકલ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે. નિષ્ણાતો માને છે કે ભવિષ્યમાં આ સિસ્ટમ અન્ય ઉચ્ચ હિમાલયી વિસ્તારોમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે, જે ભારતીય સેનાની તાકાતમાં વધારો કરશે.
આ પણ વાંચો: બિહાર વિજય બાદ સુરતમાં PM મોદીનો વિપક્ષ પર પ્રહાર, 'નીતિશ કુમારનું અપમાન દેશ સ્વીકારશે નહીં'