IRAN-ISRAEL CONFLICT : ઇરાને પ્રથમ વખત સેજીલ બેલિસ્ટિક મિસાઇલનો વાર કર્યો
- ઇરાન અને ઇઝરાયલ વચ્ચે દિવસેને દિવસે સ્થિતી વિકટ બનતી જાય છે
- ઇરાન દ્વારા પ્રથમ વખત સજીલ મિસાઇલનો વાર કરવામાં આવ્યો
- ઇઝરાયલના આકાશમાં અચરજ પમાડે તેવું દ્રશ્ય જોવા મળ્યું
IRAN-ISRAEL CONFLICT : ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું ભીષણ યુદ્ધ હવે સાતમા દિવસમાં પ્રવેશી ગયું છે, અને દિવસેને દિવસે પરિસ્થિતિ સતત બગડી રહી છે. બંને દેશો એકબીજા પર મિસાઇલ અને ડ્રોન વડે હુમલા કરી રહ્યા છે. અત્યાર સુધી ઈરાને ઇઝરાયલ પર બેલિસ્ટિક અને હાઇપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કર્યો છે. પહેલીવાર ઈરાને તેની સેજીલ (SEJJIL MISSILE) બેલિસ્ટિક મિસાઈલ ઇઝરાયલ વિરૂદ્ધ છોડી છે, જે મધ્યમ અંતરની ઘાતક બેલિસ્ટિક મિસાઈલ માનવામાં આવે છે. સામે પક્ષે ઇઝરાયલ દ્વારા પણ ઇરાનના તેહરીનમાં વધુ એક સ્ટ્રાઇક કરવાની જાહેરાત કરી હોવાનું સામે આવ્યું છે.
યુદ્ધમાં સૌથી વધુ મૃત્યુ ઇરાનમાં થયા
બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 600 થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાંથી 585 મૃત્યુ ઈરાનમાં થયા છે. ઈરાનના આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી છે. આ યુદ્ધમાં ઈરાને પહેલીવાર 2,000 કિલોમીટરની રેન્જ ધરાવતી "સેજીલ" મિસાઈલનો ઉપયોગ કર્યો છે.
IRGC એ સત્તાવાર રીતે માહિતી આપી
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મિસાઇલો "કબજા હેઠળના વિસ્તારો" પર છોડવામાં આવી હતી. એટલે કે ઇઝરાયલના તે ભાગો કે જેના પર ઈરાનનો દાવો છે કે તે પેલેસ્ટાઇનનો ભાગ છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની સત્તાવાર જાહેરાતમાં આ હુમલાની માહિતી આપવામાં આવી હતી.
કોઈ રક્ષણાત્મક કવચ બચ્યું નથી
IRGC એ એક ચેતવણી નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇઝરાયલની સંરક્ષણ પ્રણાલી હવે તૂટી ગઈ છે અને કબજા હેઠળના પ્રદેશો પર ઇરાની મિસાઇલો અને ડ્રોન માટે દરવાજા ખુલ્યા છે. "ઝાયોનિસ્ટ સેના પાસે હવે કોઈ રક્ષણાત્મક કવચ બચ્યું નથી. મોસાદ, અમાન અને ઇઝરાયલી સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે ઇઝરાયલના લોકો સતત સાયરનના અવાજ હેઠળ જીવવા માટે મજબૂર છે અને દિવસ-રાત બંકરોમાં આશરો લઇ રહ્યા છે.
ઘણી મિસાઇલો ઇઝરાયલના રહેણાંક વિસ્તારોમાં પડી
આ યુદ્ધમાં ઈરાને અત્યાર સુધીમાં ઈઝરાયલ પર લગભગ 400 મિસાઈલ અને અસંખ્ય ડ્રોન છોડ્યા છે. આમાં ફતહ- 1, શહાબ- 3, ગદર અને ખોરમશહર જેવી લાંબા-મધ્યમ અંતરની મિસાઇલોનો સમાવેશ થાય છે. ઇઝરાયલમાં થયેલા આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 24 લોકો માર્યા ગયા છે અને 1,300 થી વધુ ઘાયલ થયા છે. ઘણી મિસાઇલો ઇઝરાયલના રહેણાંક વિસ્તારોમાં પડી, જેના કારણે ભારે નુકસાન થયું.
તેલ અવીવમાં મોટા વિસ્ફોટો સંભળાયા
ઈરાને બુધવારે દાવો કર્યો હતો કે, તેણે પહેલી વાર ઈઝરાયલ પર "ફત્તહ-1" હાઇપરસોનિક મિસાઈલ છોડી છે. આ મિસાઇલને અત્યાધુનિક માનવામાં આવે છે અને તેના કારણે તેલ અવીવમાં મોટા વિસ્ફોટો સંભળાયા હતા. ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે ઇરાની હુમલાઓ તેમને સતત આશ્રયસ્થાનોમાં રહેવાની ફરજ પાડી રહ્યા છે.
આ પણ વાંચો --- OPERATION SINDHU : યુદ્ધગ્રસ્ત ઇરાનમાં ફસાયેલા ભારતીયોને લઇને પ્રથમ ફ્લાઇટ દિલ્હી પહોંચી