યુદ્ધગ્રસ્ત ઇરાનનું એર સ્પેસ બંધ થતા ભારતની બે એરલાયન્સે એલર્ટ જારી કર્યું
- ઇરાન-ઇઝરાયલના યુદ્ધની અસર હવાઇ મુસાફરી પર પડી
- યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં એર સ્પેસ બંધ કરાઇ
- હવાઇ યાત્રાનો સમય 30 મિનિટથી એક કલાક સુધીનો વધ્યો
Iran-Israel war : મધ્ય પૂર્વમાં (MIDDLE EAST) વધતા તણાવ વચ્ચે બે મુખ્ય ભારતીય એરલાઇન્સ (INDIAN AIRLINES) એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ ઇરાની હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે ફ્લાઇટ વિલંબ અને ડાયવર્ઝન (FLIGHT DIVERSION) અંગે જાહેર સલાહ જારી કરી છે. ઇરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લે કેટલાય સમયથી સંબંધો તણાવભર્યા ચાલી રહ્યા છે. તાજેતરમાં બંને દેશો દ્વારા એકબીજા પર મિસાઇલ અને ડ્રોન વડે પ્રચંડ હવાઇ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.
ફ્લાઇટ્સ હવે લાંબા, વૈકલ્પિક રૂટ પર કાર્યરત કરાશે
એર ઇન્ડિયાએ શનિવારે જણાવ્યું હતું કે, ઈરાની હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે તેણે ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરી છે. મુસાફરો અને ક્રૂ સભ્યોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કેટલીક ફ્લાઇટ્સ હવે લાંબા, વૈકલ્પિક રૂટ પર કાર્યરત કરવામાં આવનાર છે.
અસુવિધા ઘટાડવા માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ
એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર 'X' પર એક સત્તાવાર અપડેટ શેર કર્યું, જેમાં કહેવામાં આવ્યું છે કે, "ઈરાન અને મધ્ય પૂર્વના ભાગોમાં હાલની પરિસ્થિતિને કારણે એરસ્પેસ બંધ થયું છે. અમે અમારા મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને, અમારી કેટલીક ફ્લાઇટ્સ વૈકલ્પિક વિસ્તૃત રૂટ પર કાર્યરત કરી છે. એરસ્પેસ બંધ થવાને કારણે અમારા મુસાફરોને થતી કોઈપણ અસુવિધાને ઘટાડવા માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ. એર ઇન્ડિયામાં, અમારા મુસાફરો અને ક્રૂ સભ્યોની સલામતી ટોચની પ્રાથમિકતા છે."
એલર્ટ કરવામાં આવ્યા
આ પરિસ્થિતિના કારણે ઇરાનમાંથી પસાર થતા ઘણા આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોને નોંધપાત્ર રીતે અસર થઇ છે. ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ પણ ટ્વીટર X દ્વારા એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં મુસાફરોને સંભવિત પરિસ્થિતી અંગે એલર્ટ કરવામાં આવ્યા હતા. એરલાયન્સે લખ્યું કે, "ઈરાન અને તેની આસપાસના વિસ્તારો પર હવાઈ ક્ષેત્રમાં જવું શક્ય નથી. કેટલાક ફ્લાઇટ રૂટને રીરૂટ કરવાની જરૂર પડી શકે છે, જેના પરિણામે મુસાફરીનો સમય વધી શકે છે અથવા વિલંબ થઈ શકે છે,"
ફ્લાઇટ સ્ટેટસને સમયાંતરે તપાસવાનું સૂચન કર્યું
તે સમયે ઇન્ડિગોએ તમામ મુસાફરોને એરપોર્ટ જતા પહેલા કંપનીની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન દ્વારા તેમની ફ્લાઇટ સ્ટેટસને સમયાંતરે તપાસવાનું સૂચન કર્યું છે. એરલાઇને ભરોસો આપ્યો હતો કે તેની ટીમ આ વિલંબથી પ્રભાવિત મુસાફરોને સતત મદદ કરી રહી છે.
ફ્લાઇટનો સમય લંબાઇ શકે છે
બંને એરલાઇન્સ અસરગ્રસ્ત ફ્લાઇટ્સને વૈકલ્પિક એર કોરિડોર દ્વારા ફરીથી રૂટ કરવા માટે કામ કરી રહી છે, જેના પરિણામે ફ્લાઇટનો સમય લંબાઇ શકે છે. પરિણામે, યુરોપ, ગલ્ફ અને મધ્ય એશિયા જતી અને જતી ઘણી હવાઇ સેવાઓ 30 મિનિટથી લઈને કેટલાક કલાકો સુધીના વિલંબનો સામનો કરી રહી છે.
આ પણ વાંચો --- નાઇજીરીયામાં બંદૂકધારીઓની ક્રુરતા, 100 લોકોને રૂમમાં પુરીને જીવતા સળગાવી દીધા