Israel એ હવે કતારની રાજધાની દોહા પર કર્યો મોટો હુમલો, હમાસનો નેતા ટાર્ગેટ પર હતો
- Israel એ કતાર પર કર્યો મોટો હુમલો
- હમાસના નેતા ખલીલ અલ-હય્યા ટાર્ગેટ પર હતો
- કતારે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવીને નિંદા કરી
ઇઝરાયેલે કતારની રાજધાની દોહામાં હમાસના નેતાઓને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો છે. આ હુમલો હમાસના વરિષ્ઠ નેતાઓને ખતમ કરવાનો હતો. કતાર સરકારે આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવીને સખત નિંદા કરી છે. આ ઘટનાએ પશ્ચિમ એશિયામાં તણાવ વધાર્યો છે. કારણ કે હમાસના દિગ્ગજ નેતા કતારમાં રહે છે.
Israel એ કતાર પર કર્યો હુમલો
નોંધનીય છે કે ઇઝરાયેલે દોહાના કતારના રહેણાંક વિસ્તારમાં આ હુમલો કર્યો છે, જ્યાં હમાસના નેતા રહે છે. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. માજિદ અલ-અંસારીએ જણાવ્યું, આ હુમલો રહેણાંક ઇમારતો પર થયો, જે કતારી નાગરિકો અને રહેવાસીઓની સુરક્ષા માટે જોખમી છે. તેમણે આને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન ગણાવી તપાસની માગણી કરી છે. હુમલા બાદ દોહામાં ધુમાડાના ગોટા દેખાયા, અને સ્થાનિક સુરક્ષા દળો નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે.
Israel એ હમાસના નેતાને કર્યો ટાર્ગેટ
ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)એ દાવો કર્યો કે આ હુમલો હમાસના નેતા ખલીલ અલ-હય્યા સહિતના આતંકવાદીઓને નિશાન બનાવવા માટે કર્યો હતો, જેઓ 7 ઓક્ટોબર, 2023ના હુમલા માટે જવાબદાર હતા. આ હુમલામાં 1,200 લોકો માર્યા ગયા હતા અને 251 લોકોને બંધક બનાવાયા હતા. IDFએ કહ્યું કે આ ચોક્કસ હથિયારો અને ગુપ્તચર માહિતીનો ઉપયોગ કરીને કરવામાં આવેલી કામગીરી હતી. ઇઝરાયેલના વડાપ્રધાનના કાર્યાલયે જણાવ્યું કે આ સ્વતંત્ર કામગીરી હતી, જેની સંપૂર્ણ જવાબદારી તેઓ લે છે.
આ ઘટના એવા સમયે બની જ્યારે હમાસના નેતાઓ દોહામાં ગાઝા સંઘર્ષવિરામની વાતચીતમાં ભાગ લઈ રહ્યા હતા. હમાસે આ હુમલાને વાટાઘાટોને નિષ્ફળ કરવાનો પ્રયાસ ગણાવ્યો. કતાર, જે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે મધ્યસ્થી કરે છે, આ હુમલાથી નારાજ છે. આ ઘટનાએ શાંતિ વાટાઘાટોને વધુ જટિલ બનાવી દીધી છે. ઉપરાંત, દોહામાં અમેરિકાના અલ-ઉદેઇદ એરબેઝની સુરક્ષા અંગે પણ ચિંતા વધી છે.આ હુમલો ઇઝરાયેલની નીતિ દર્શાવે છે, જે હમાસના નેતાઓને વિશ્વના કોઈપણ ખૂણે નિશાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે. જોકે, આનાથી પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની શક્યતા છે, ખાસ કરીને જ્યારે ઇઝરાયેલ ગાઝા, લેબનોન, સીરિયા, યમન અને ઈરાનમાં સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. હાલમાં, હુમલામાં હતાહતોની વિગતો નથી, પરંતુ આ ઘટના મધ્ય પૂર્વમાં રાજકીય અસ્થિરતા વધારી શકે છે.
આ પણ વાંચો: Nepal માં રાજકિય સંકટ વચ્ચે યુવાવર્ગ આ નેતાને PM તરીકે જોવા માંગે છે! જાણો તેમના વિશે