CANADA : 'ભારત વિરૂદ્ધ ખાલિસ્તાની કેનેડાનો ઉપયોગ કરે છે', ગુપ્તચર એજન્સીની કબૂલાત
- ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો આતંકી નિજ્જર મુદ્દે વણસ્યા હતા
- હાલ બંને દેશોના સંબંધો ધીરે ધીરે સુધરી રહ્યા છે
- તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી - 7 સમિટ માટે કેનડાની મુલાકાતે ગયા હતા
CANADA : તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) જી - 7 સમિટ (G-7 SUMMIT) માં ભાગ લેવા માટે કેનેડાની મુલાકાતે (CANADA VISIT) હતા. ત્યાર બાદ કેનેડાની ગુપ્તચર એજન્સી દ્વારા અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. જે અનુસાર તેમણે કબુલ્યું કે, 'ભારત વિરૂદ્ધ ખાલિસ્તાની (KHALISTANI) કેનેડાનો ઉપયોગ કરે છે. પહેલી વખત એજન્સીએ કબુલાત કરતા કેનેડાની સરકાર સવાલોમાં ઘેરાઇ ગઇ છે. આ સાથે જ રિપોર્ટમાં જણાવાયું છે કે, ખલિસ્તાની કેનેડાની સુરક્ષા માટે પણ ખતરારૂપ છે. હવે આવી સનસનીખેજ કબુલાત સામે આવ્યા બાદ કેનેડાની સરકાર શું પગલાં લે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
ખલિસ્તાની ભારતમાં હિંસાનો પ્લાન બનાવે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ કેનેડાની ગુપ્તચર એજન્સીનો અહેવાલ સપાટી પર આવ્યો છે. જે અનુસાર, ખલિસ્તાનીઓ કેનેડાનો ભારત વિરૂદ્ધ ઉપયોગ કરતા હોવાનું ખુલાસો થયો છે. જેને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. રિપોર્ટમાં ભારત દ્વારા અગાઉ કરવામાં આવેલી રજુઆતોની કબુલાત કરવામાં આવી હોય તેમ ચર્ચાઇ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ખલિસ્તાની ભારતમાં હિંસાનો પ્લાન બનાવે છે. હિંસા ભડકાવવા માટે નાણાં ભેગા કરવા માટે તેઓ કેનેડાનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત વિરોધી તત્વો માટે કેનેડા સુરક્ષિત ઠેકાણું બન્યું હોવાની પણ કબૂલાત રિપોર્ટમાં કરવામાં આવી છે.
મજબુતાઇથી પોતાનો પક્ષ મુકવામાં આવ્યો હતો
આ સાથે રિપોર્ટમાં તેમ પણ જણાવ્યું છે કે, કેનેડાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખલિસ્તાની ખતરો છે. રિપોર્ટમાં કેનેડાની સુરક્ષાના જોખમની પણ રૂપરેખા દર્શાવવામાં આવી છે. અગાઉ ભારત દ્વારા અનેક વખત આ મામલે મજબુતાઇથી પોતાનો પક્ષ મુકવામાં આવ્યો હતો. આતંકી નિજ્જર મુદ્દે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હતી. જો કે, હવે પરિસ્થિતી સામાન્ય થવા તરફ આગળ વધી રહી છે.
આ પણ વાંચો --- IRAN-ISRAEL CONFLICT : ઇરાનના સુપ્રીમ લીડર ખામેનીની અમેરિકાને ચેતવણી