Kheda: 'આરોપીઓએ મને દબાણ કરી ખેડૂત ખરાઈ કરાવી હતી' તલાટીએ ઉચ્ચ અધિકારીઓ સામે આંગળી ચીંધી!
- Kheda Land Scam: કરોડોની જમીન હડપી વેચાણ કરવાનું કૌભાંડ
- સમગ્ર મામલે નાયબ પોલીસવડા વિક્રમ સોલંકીનું નિવેદન
- સસ્પેન્ડ કરાયેલ તલાટી નીતિન હાથીવાલાએ પણ આપ્યું નિવેદન
Kheda Land Scam:ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામે (Vanthvali village) કરોડો રૂપિયાની સરકારી જમીન હડપી લઈ તેને બારોબાર વેચી મારવાના કૌભાંડે ખળભળાટ મચાવ્યો છે. આ મામલે પંચાયત વિભાગે કડક વલણ અપનાવતા વાઠવાળી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી નીતિન હાથીવાલા (Nitin Hathiwala) ને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરી દીધા છે. જોકે આ મામલે પોલીસ વડા અને તલાટીએ આપેલા ખુલાસાથી ખળભળાટ મચ્યો છે. તલાટીએ કહ્યું મને સાંભળવામાં આવ્યો નથી અને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસ તેજ
પોલીસવડા વિક્રમ સોલંકી (Vikram Solanki) એ કહ્યું જુના ખેડૂત નામોમાં વારસાઈ કરાવી માલિક બન્યા છે. જમીન નામે થતા જ વેચાણ કરી નાખી હતી. મહેમદાવાદ પોલીસ મથકે (Mehmadabad Police Station) 8 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. તમામ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે છે. સરદાર નિગમની જમીન સંપાદનની દુરસ્તી ન થઈ હોવાથી આરોપીઓએ ફાયદો લીધો છે.
તલાટીનો બચાવ અને ઉચ્ચ અધિકારીઓ પર આક્ષેપ
સસ્પેન્ડ કરાયેલા તલાટી નીતિન હાથીવાલાએ પોતાની સફાઈમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું કે, "આરોપીઓએ મારા પર દબાણ લાવીને ખેડૂત ખરાઈ કરાવી હતી. ગ્રામ પંચાયતની ખેડૂત ખરાઈના આધારે જ તેઓ 7/12 ના નકલમાં ખેડૂત તરીકે નોંધાયા હતા." વધુમાં તેમણે સિંચાઈ વિભાગ અને સરદાર નિગમની બેદરકારી તરફ આંગળી ચીંધતા કહ્યું કે જો નિગમે સમયસર પોતાના નામની નોંધણી કરાવી હોત તો આ સ્થિતિ સર્જાત જ નહીં. તલાટીએ તેમના ઉચ્ચ અધિકારી સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, તેમને કોઈ પણ નોટિસ આપ્યા વગર કે સાંભળ્યા વગર સીધા જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
Kheda માં કરોડોની જમીન હડપી વેચાણ કરવાનું કૌભાંડ | Gujarat First
વાઠવાળી ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રીને કરાયા સસ્પેન્ડ
ફરજ ઉપર બેદરકારી દાખવવામાં આવતા ફરજ મોકૂફી
તલાટી નીતિન હાથીવાલાને ફરજ મોકૂફ કરવામાં આવ્યા
રેવન્યુ વિભાગ ન જાગ્યું પણ પંચાયત વિભાગે લીધા પગલાં
ના.મામલતદાર અને… pic.twitter.com/29rDXkzpEp— Gujarat First (@GujaratFirst) January 9, 2026
રેવન્યુ વિભાગ કેમ ચૂપ?
આ સમગ્ર પ્રકરણમાં લોકો સવાલ કરી રહ્યા છે કે જ્યારે પંચાયત વિભાગે તલાટી સામે કાર્યવાહી કરી, ત્યારે રેવન્યુ વિભાગ કેમ મૌન છે? જમીનના દસ્તાવેજો અને વારસાઈની નોંધોમાં નાયબ મામલતદાર અને મામલતદારની પણ મહત્વની ભૂમિકા હોય છે. તો પછી માત્ર નાના કર્મચારી (તલાટી) સામે જ કેમ ગાજ પડી? ઉચ્ચ અધિકારીઓ સામે તપાસ કે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? અગાઉ પણ આ વિસ્તારમાં સરદાર પટેલના નામની જમીન બારોબાર વેચાઈ હોવાના કિસ્સા બન્યા છે, છતાં તંત્ર જાગ્યું નથી.
Kheda Land Scam: શું છે સમગ્ર કૌભાંડ?
મળતી માહિતી મુજબ આ કૌભાંડ સરદાર સરોવર નર્મદા નિગમની સંપાદિત થયેલી જમીન સાથે જોડાયેલું છે. વર્ષો પહેલા સરકારે સિંચાઈ અને નર્મદા પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરી હતી, પરંતુ રેવન્યુ રેકોર્ડમાં જરૂરી દુરસ્તી (નામ ફેરફાર) કરવામાં વિલંબ થયો હતો. આ ખામીનો લાભ ઉઠાવી ભૂમાફિયાઓએ જૂના ખેડૂતોના નામોમાં વારસાઈ કરાવી દીધી હતી. વારસાઈના આધારે આ શખ્સો કાગળ પર જમીનના માલિક બની ગયા અને માલિક બનતાની સાથે જ કરોડોની કિંમતની આ જમીન અન્ય પાર્ટીઓને વેચી મારી હતી. નવાઈની વાત એ છે કે, જે જમીન પર સિંચાઈ વિભાગના મકાનો ઉભા હતા, તે મકાનો પણ જમીન ખરીદનારાઓએ તોડી પાડ્યા હતા.
આ પણ વાંચોઃ Kheda: જમીન કૌભાંડ કેસમાં વાંઠવાળીના તલાટી સસ્પેન્ડ, હવે ઉચ્ચ અધિકારીઓનું શું થશે?


