Madhya Pradesh : ભારે વરસાદને પગલે 34 જિલ્લામાં એલર્ટ અપાયું, અત્યાર સુધીમાં 25.4 ઈંચ વરસાદ નોંધાયો
- મધ્ય પ્રદેશમાં ચોમાસાની ઋતુમાં અત્યાર સુધી 25.4 ઈંચ વરસાદ નોંધાયો
- ભારે વરસાદને પગલે 34 જિલ્લામાં એલર્ટ અપાયું
- તાવા પ્રોજેક્ટના અધિકારીઓ તરફથી નર્મદા કિનારે આવેલા ગામડાઓમાં એલર્ટ અપાયું
Madhya Pradesh : વર્ષ 2025માં ચોમાસાની ઋતુમાં વરસાદે મધ્ય પ્રદેશને ધમરોળી કાઢ્યું છે. ભિંડમાં ભારે વરસાદના કારણે સિંધ (Sindh) અને ક્વારી (Kwari) નદી ગાંડીતૂર બની છે. ક્વારી નદીના પાણી ફરી વળતા અનેક ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બંધ થયા છે. વહીવટી તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સલામત સ્થળોએ જવાની અપીલ કરી રહ્યું છે. અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે, જેના કારણે ગ્રામજનોની ચિંતા વધી ગઈ છે.
24 જિલ્લામાં એલર્ટ
મધ્ય પ્રદેશ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે ગ્વાલિયર, શ્યોપુર, મુરેના, ભિંડ, દતિયા, શિવપુરી, નિવારી, ટીકમગઢ, છતરપુર, અશોકનગર, વિદિશા, સાગર, રાયસેન અને નર્મદાપુરમમાં ખૂબ જ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં 7 થી 8 ઈંચથી વધુ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજગઢ, ગુના, અગર, શાજાપુર, દેવાસ, સિહોર, હરદા, બેતુલ, પંધુર્ણા, છિંદવાડા, સિઓની, નરસિંહપુર, જબલપુર, ડિંડોરી, અનુપપુર, ઉમરિયા, કટની, દમોહ અને પન્ના જેવા શહેરોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી રાજધાની ભોપાલ (Bhopal) અને તેની આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ છે.
આ પણ વાંચોઃ Jharkhand : કાવડીયાઓની બસનો ગમખ્વાર અકસ્માત, 18 લોકોના મૃત્યુથી ચકચાર મચી ગઈ
મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી 25.4 ઈંચ વરસાદ પડ્યો
મધ્યપ્રદેશમાં આ વર્ષે અત્યાર સુધી ચોમાસાની ઋતુમાં 25.4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ આંકડો સૂચવે છે કે, ચોમાસાની ઋતુમાં 70% વરસાદ વરસી ચૂક્યો છે. આ સાથે, ગ્વાલિયર, શિવપુરી, અશોકનગર, મુરેના, શ્યોપુર, છતરપુર, ટીકમગઢ અને નિવારીમાં આ મોસમનો પૂરતો વરસાદ પડી ચૂક્યો છે. આ જિલ્લાઓમાં છેલ્લા એક મહિનાથી એટલો વરસાદ પડી રહ્યો છે કે ખેડૂતોને વાવણી કરવાનો મોકો પણ મળ્યો નથી.
તાવા ડેમની આસપાસ સ્થાનિકોને ચેતવણી અપાઈ
નર્મદાપુરમ જિલ્લામાં મંગળવારે સવારે 4 કલાકે તાવા ડેમ (Tawa Dam) ના 5 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. વધુ પાણીને કારણે સવારે 7 કલાકે 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમમાં વધતા પાણીના સ્તરને સ્થિર રાખવા માટે, 1 લાખ ક્યુસેક વધારાનું પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે. તાવા પ્રોજેક્ટના અધિકારીઓ તરફથી નર્મદા કિનારે આવેલા ગામડાઓમાં રહેતા લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Meghalaya : 4000 ટન કોલસો કોણ લઈ ગયું...? મંત્રીએ આપ્યો ઉડાઉ જવાબ