Maharashtra : મંત્રી ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું, સરપંચ સંતોષ દેશમુખ હત્યાકાંડમાં નજીકના સાથી પર આરોપ
- મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ માહિતી આપી છે
- ધનંજય મુંડે સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસમાં વિવાદોમાં ઘેરાયેલા
- વાલ્મીકિ કરાડ સરપંચ હત્યા કેસ પાછળનો મુખ્ય સૂત્રધાર
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા ધનંજય મુંડેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ માહિતી આપી છે. ધનંજય મુંડેના પીએ પ્રશાંત જોશી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા અને મુંડેનું રાજીનામું તેમને સોંપ્યું છે. ફડણવીસે કહ્યું કે મુંડેએ મને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. મેં તેને સ્વીકારી લીધું છે અને રાજ્યપાલને મોકલી દીધું છે.
ધનંજય મુંડે સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસમાં વિવાદોમાં ઘેરાયેલા
મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં મંત્રી રહેલા ધનંજય મુંડે સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસમાં વિવાદોમાં ઘેરાયેલા હતા. SIT એ તેની ચાર્જશીટમાં મુંડેના નજીકના સાથી વાલ્મિક કરાડને બીડ જિલ્લામાં ખંડણીનો વિરોધ કરનારા સરપંચ સંતોષ દેશમુખની હત્યા પાછળના મુખ્ય સૂત્રધાર તરીકે નામ આપ્યું હતું.
આ પહેલા દેવેન્દ્ર ફડણવીસે અજિત પવાર અને પ્રફુલ્લ પટેલને પત્ર લખ્યો હતો
આ પહેલા દેવેન્દ્ર ફડણવીસે અજિત પવાર અને પ્રફુલ્લ પટેલને પત્ર લખીને કહ્યું હતું કે ધનંજય મુંડેએ મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડશે. ધનંજય મુંડેના નજીકના સાથી વાલ્મિક કરાડ અને તેમના છ સાથીઓની મહારાષ્ટ્ર પોલીસે આ વર્ષે જાન્યુઆરીમાં MCOCA (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ, 1999) હેઠળ ધરપકડ કરી હતી.
વાલ્મીકિ કરાડ સરપંચ હત્યા કેસ પાછળનો મુખ્ય સૂત્રધાર
SIT દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલ ચાર્જશીટ મુજબ, બીડ સરપંચ સંતોષ દેશમુખની હત્યા પાછળ વાલ્મિકી કરાડ મુખ્ય સૂત્રધાર હતો. કરાડે બીડ સ્થિત રિન્યુએબલ એનર્જી કંપની, અવાડાના જમીન સંપાદન અધિકારી પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જ્યારે બીડના સરપંચ સંતોષ દેશમુખે કરાડ અને તેમના સાથીઓને કંપની પાસેથી પૈસા ઉઘરાવવાથી રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે તેમની હત્યાનું કાવતરું ઘડ્યું.
સુદર્શન ઘુલેનું નામ આરોપી નંબર બે તરીકે આપવામાં આવ્યું
SIT એ આરોપીઓ પાસેથી મળેલા ફોન કોલ રેકોર્ડિંગ્સ અને ફોરેન્સિક લેબ દ્વારા પ્રમાણિત CCTV ફૂટેજ કોર્ટ સમક્ષ પુરાવા તરીકે રજૂ કર્યા હતા. ચાર્જશીટમાં, વાલ્મીકિ કરાડ પછી, સુદર્શન ઘુલેનું નામ આરોપી નંબર બે તરીકે આપવામાં આવ્યું છે. તે બીડ અને આસપાસના વિસ્તારોમાં દસ વર્ષથી વધુ સમયથી સંગઠિત ગુનામાં સામેલ હતો. તેની સામે પહેલાથી જ 11 ફોજદારી કેસ ચાલી રહ્યા છે. ચાર્જશીટમાં તેને 'ગેંગ લીડર' તરીકે વર્ણવવામાં આવ્યો છે.