GMERS રેગિંગ કેસમાં મોટી કાર્યવાહી : 7 સિનિયર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ
- GMERS ગાંધીનગરમાં રેગિંગ : 7 સિનિયર્સ 2 વર્ષ માટે સસ્પેન્ડ, મંત્રીએ આપી કડક ચેતવણી
- “બીજાને દુઃખ આપવાના સંસ્કાર હશે તો ડોક્ટર બનીને શું કરશો?” – પ્રફુલ પાનશેરીયા
- ગાંધીનગર મેડિકલ કોલેજમાં ફરી રેગિંગ : 7 વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા, સરકારની ઝીરો ટોલરન્સ નીતિ
- રેગિંગ કરનારને કોઈ છૂટ નહી – GMERSમાં 2 વર્ષની સજા, મંત્રીનો સખ્ત સંદેશ
- જુનિયર્સને ત્રાસ આપનાર સિનિયર્સની ખેર નહીં : GMERS કેસમાં મોટી કાર્યવાહી
ગાંધીનગર : ગુજરાતમાં રેગિંગનો ફરી એક શરમજનક બનાવ સામે આવ્યો છે. ગાંધીનગરની જીએમઈઆરએસ ( GMERS ) મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના નવા આવેલા જુનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં બોલાવીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપ્યો હતો. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે એક અનામી ફરિયાદ ડીન કચેરીમાં પહોંચી છે. કોલેજ તંત્રએ તુરંત કાર્યવાહી કરતાં CCTV ફૂટેજની તપાસ હાથ ધરી અને દોષિત વિદ્યાર્થીઓને ઓળખી કાઢ્યા હતા.
કોલેજની એન્ટી-રેગિંગ કમિટીએ ઝડપી તપાસ બાદ કડક પગલાં લીધાં છે. ત્રીજા વર્ષના મુખ્ય 7 દોષિત વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બીજા અને ત્રીજા વર્ષના અન્ય સંડોવાયેલા વિદ્યાર્થીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે.
આ મામલે ગુજરાતના આરોગ્ય તેમજ તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને કેબિનેટ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પણ સીધી દખલ કરી હતી. મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મીડિયા સમક્ષ ખૂબ જ ગુસ્સે અને દુઃખી દેખાયા હતા, તેમણે કહ્યું, “રેગિંગની જેવો બનાવ બનતાંની સાથે જ અમે કડક કાર્યવાહી કરી છે. વિદ્યાર્થીઓને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે તમે મા-બાપનાં સપનાં સાકાર કરવા, લોકોના જીવ બચાવવા ડોક્ટર બનવા આવ્યા છો, બીજાને દુઃખ આપવા નહીં. જો તમારામાં બીજાને ત્રાસ આપવાના સંસ્કાર હશે તો પછી દર્દીઓનું શું થશે?
રેગિંગના કારણે અનેક બાળકો આત્મહત્યા સુધી પહોંચી જાય છે. નવા આવેલા કુમળા મનવાળા વિદ્યાર્થીઓ પાસે એટલી સહનશક્તિ હોતી નથી. આવા કૃત્યથી તેમનું આખું કેરિયર બરબાદ થઈ જાય છે. આ ઘટના રાજ્યની બધી મેડિકલ કોલેજો માટે એક મોટો દાખલો બનવી જોઈએ. કોઈ પણ કોલેજમાંથી રેગિંગની ફરિયાદ આવશે તો સરકાર કડકથી કડક પગલાં લેશે.”
મંત્રીએ વધુમાં કહ્યું કે, “અમે રાજ્યની તમામ મેડિકલ કોલેજોમાં એન્ટી-રેગિંગ સ્ક્વૉડને વધુ સક્રિય કરીશું. 24 કલાક હેલ્પલાઇન પણ ચાલુ રાખીશું. વિદ્યાર્થીઓ નિર્ભય થઈને ફરિયાદ કરે, અમે તેમની ઓળખ ગુપ્ત રાખીશું.”
આ ઘટનાએ ફરી એકવાર રાજ્યની તબીબી શિક્ષણ વ્યવસ્થામાં રેગિંગની સમસ્યા પર પ્રશ્નો ઉભા કર્યા છે. છેલ્લ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતની અનેક મેડિકલ કોલેજોમાંથી રેગિંગના ગંભીર બનાવો સામે આવ્યા છે, જેમાં કેટલાકમાં વિદ્યાર્થીઓએ આત્મહત્યા પણ કરી છે. હવે જોવાનું એ રહેશે કે આ કડક કાર્યવાહીથી બીજી કોલેજોમાં રેગિંગનો ડર બેસે છે કે નહીં.
આ પણ વાંચો- Gandhinagar: સચિવાલયમાં મહિલાએ ઝેર ગટગટાવ્યું, અનાજ વિતરણની ફરિયાદ બાદ આપઘાતનો પ્રયાસ


