2323 કરોડના સટ્ટાકાંડનો કેસ થતાં સૂત્રધાર Harshit Jain ગોવાથી વાયા નેપાળ થઈને દુબઈ પહોંચ્યો હતો
Harshit Jain : ચર્ચાસ્પદ અને વિવાદીત બનેલા માધવપુરા સટ્ટાકાંડ કેસનો મુખ્ય આરોપી હર્ષિત બાબુલાલ જૈન ચાર્ટડ એકાઉન્ટન્ટ હોવાનું સામે આવ્યું છે. H B J & Associates નામથી ચાર્ટડ એકાઉન્ટન્ટ ફર્મ ચલાવતો હર્ષિત બાબુલાલ જૈન છેલ્લાં કેટલાંક વર્ષોથી GST Scam અને ડમી/ભાડાના બેંક એકાઉન્ટમાં કરોડોની હેરફેર કરતો હતો. સવા બે વર્ષ અગાઉ અમદાવાદ પીસીબીના તત્કાલીન અને હાલ સસ્પેન્ડેડ PI Taral Bhatt ની ટીમે માધવપુરામાં હર્ષિત જૈનની ઑફિસમાં દરોડા પાડી 2323 કરોડનો સટ્ટા/ડબ્બાકાંડનો પર્દાફાશ કર્યો હતો. માધવપુરા સટ્ટાકાંડનો કેસ નોંધાતા ગોવા બેઠેલો Harshit Jain વાયા નેપાળ થઈને દુબઈ ભાગી ગયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના તપાસ અધિકારી અને પીઆઈ આર.જી.ખાંટે (PI R G Khant) હર્ષિત જૈનને અદાલત સમક્ષ રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
CA Harshit Jain ની બેંક મેનેજર સાથે હતી ગોઠવણ
અમદાવાદ શહેર પોલીસ પાસેથી માધવપુરા સટ્ટાકાંડ (Madhavpura Satta Kand) ની તપાસ આંચકી લેવાતા Team SMC એ કરેલી તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. બોગસ કંપનીઓ અને ભાડાના બેંક એકાઉન્ટ (Mule Accounts) થકી જીએસટી કૌભાંડ હર્ષિત જૈન મહિને કરોડો રૂપિયાની ગોલમાલ/હેરફેર કરતો હતો. RBL Bank ના મેનેજર નિકુંજ સુરેશભાઈ અગ્રવાલ સાથે મળીને કરોડોની હેરફેર માટે ભાડાના એકાઉન્ટ ખોલાવ્યા હતા. Harshit Jain બેંક મેનેજર નિકુંજ અગ્રવાલને 24-25 લાખ રૂપિયા કમિશન પેટે આપી ચૂક્યો છે. અત્રે નોંધનીય છે કે, આ કેસમાં મેનેજર નિકુંજ અગ્રવાલની એસએમસી અગાઉ ધરપકડ કરી ચૂકી છે.
જીએસટીના બોગસ બિલોનો કૌભાંડી છે Harshit Jain
વર્ષ 2019થી અમદાવાદના નવરંગપુરા વિજય ચાર રસ્તા પાસેના ફોનિક્ષ કૉમ્પલેક્ષમાં હર્ષિત જૈન નામની ચાર્ટડ એકાઉન્ટન્ટ કંપની ચલાવતો હતો. માધવપુરા સટ્ટાકાંડમાં હર્ષિત જૈનનું નામ ખુલ્યું તે અરસામાં માર્ચ-2023માં જ H B J & Associates ના પાટિયા પડી ગયા હતા. હર્ષિત જૈને કાર્તિક ઇન્ફ્રાસ્પેસ એલએલપી કંપનીના-257, લીમાઝોલ એક્ઝીમ પ્રા.લી.ના 51, ફીનીક્સ ઇવેન્ટ એન્ડ ટ્રાવેલ પ્લાનારના 8, જેપી કોર્પોરેશનના 377, રીયલ ફેરો ઇન્ફાકોન એલએલપીના 90 જેટલા બોગસ બિલો બનાવી કરોડો રૂપિયાની હેરફેર કરી જીએસટીનો ગેરલાભ મેળવી ચૂક્યો છે. જીએસટીનો ગેરલાભ લેવા હર્ષિત જૈન બોગસ કંપનીઓ અને બિલો બનાવવાનો ધંધો સટ્ટાકાંડમાં સપડાયો તે પહેલાંનો ચલાવતો આવ્યો છે.
આ આરોપીઓ પણ વાયા નેપાળ દુબઈ ભાગ્યા છે
હજારો કરોડના માધવપુરા સટ્ટાકાંડ અને ડબ્બાકાંડ કેસમાં એક વર્ષ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દીપક ઠક્કર ઉર્ફે દીપક ડીલક્ષ (Dipak Thakkar alias Dipak Deluxe) ને દુબઈથી લઈ આવી હતી. એકાદ વર્ષ બાદ હર્ષિત જૈનને ડિપોર્ટ કરાતા RCN થકી બે આરોપી હાથ આવ્યાં છે. સટ્ટાકાંડમાં હજુ પણ મોટાગજાના બુકી સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ, અમિત મજેઠીયા (Amit Majethia) સહિત કાર્તિક ઉર્ફે સ્ટીવન, હિતેન્દ્ર ઉર્ફે જીતેન્દ્ર ઠક્કર, વિવક જૈન, સમીર પણ વાયા નેપાળ થઈને ભારત છોડીને ભાગી ગયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ED જેને શોધી રહી છે તે બુકી સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ (Saurabh Chandrakar alias Mahadev) ને લઈ આવવા ટીમ એસએમસીએ ધ્યાન કેન્દ્રીત કર્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ પણ વાંચો -અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં 5 મજૂરોના મોતના મામલામાં Ajanta Energy સામે ગુનો નોંધાયો