શું મહારાષ્ટ્રમાં નવાજૂની થવા જઇ રહી છે...? રાજકારણ ગરમ
મહારાષ્ટ્રના રાજકારણમાં ટૂંક સમયમાં કેટલીક મોટી ઘટનાઓ જોવા મળી શકે છે. મહાવિકાસ અઘાડીના સૂત્રોએ દાવો કર્યો છે કે શરદ પવારની પાર્ટી એનસીપીના 13 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. આ તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાવાનું વિચારી રહ્યા છે. સૂત્રોએ દાવો કર્યો છે કે...
01:22 PM Apr 17, 2023 IST
|
Vipul Pandya
મહારાષ્ટ્રના રાજકારણમાં ટૂંક સમયમાં કેટલીક મોટી ઘટનાઓ જોવા મળી શકે છે. મહાવિકાસ અઘાડીના સૂત્રોએ દાવો કર્યો છે કે શરદ પવારની પાર્ટી એનસીપીના 13 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. આ તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાવાનું વિચારી રહ્યા છે. સૂત્રોએ દાવો કર્યો છે કે આ ધારાસભ્યો પર એનસીપી છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. એવા પણ સમાચાર છે કે શરદ પવારે આ ધારાસભ્યોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હજુ સુધી મામલો થાળે પડ્યો નથી.
યોગ્ય સમયે નિર્ણય લેવાશે
મહાવિકાસ આઘાડીના સૂત્રોએ જણાવ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે આ ધારાસભ્યો ભાજપમાં જોડાવાનો નિર્ણય લેશે. ગઈકાલે મહાવિકાસ આઘાડીના તમામ નેતાઓ નાગપુર રેલી માટે એકઠા થયા હતા. તે દરમિયાન ઠાકરે સેના અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ અજિત પવારને તેમની અમિત શાહ સાથેની મુલાકાત અંગે પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારે અજિત પવારે કહ્યું હતું કે તમામ સમાચાર ખોટા છે. હું ન તો દિલ્હી ગયો કે ન તો અમિત શાહને મળ્યો, હું NCPમાં જ રહીશ.
હવે NCPને તોડવાનો પ્રયાસ
બીજી તરફ શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જ્યારે અમે શરદ પવારને મળ્યા ત્યારે તેમણે કહ્યું કે જે રીતે ED, CBI અને પોલીસનો ઉપયોગ કરીને શિવસેનાને તોડવામાં આવી હતી તે જ રણનીતિ હવે NCPને તોડવા માટે અપનાવાઇ રહી છે. એનસીપીના ધારાસભ્યો પર દબાણ છે, તેમને ધમકી આપવામાં આવી રહી છે. કેટલાક લોકો દબાણમાં પાર્ટી છોડી શકે છે તે તેમનો વ્યક્તિગત નિર્ણય હશે પરંતુ એનસીપી પાર્ટી તરીકે અમે ભાજપ સાથે નહીં જઈએ. રાઉતે કહ્યું કે ગઈ કાલે નાગપુર રેલીમાં અજિત પવાર અમારી સાથે હતા. મને લાગે છે કે અજિત પવાર એનસીપી નહીં છોડે.
Next Article