BZED કૌભાંડમાં નવો વળાંક : ભુપેન્દ્ર ઝાલાના પિતાની ધરપકડ, જામીન અરજી પર ચુકાદો અનામત
- BZED કૌભાંડ : ભુપેન્દ્રસિંહ ઝાલાના પિતાની ધરપકડથી તપાસમાં નવો વળાંક
- CID ક્રાઈમનો ધમધમાટ : પરબતસિંહ ઝાલા જેલમાં, એજન્ટો અદૃશ્ય
- રોકાણકારોની ખાતરી ન પાળતાં ઝાલા પરિવાર પર કડક કાર્યવાહી
- BZED ઠગાઈ કેસ : પિતાની ધરપકડથી સાબરકાંઠામાં દહેશત
- ભુપેન્દ્ર ઝાલા કૌભાંડ : કોર્ટની ખાતરી તૂટતાં તપાસ તેજ, વધુ ધરપકડની આશંકા
હિંમતનગર : સાબરકાંઠા-અરવલ્લી સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફેલાયેલા BZED (બીઝેડ) નામના નાણાકીય કૌભાંડની તપાસ ફરી એક વાર ગતિમાન બની છે. હિંમતનગર તાલુકાના ઝાલાનગરના રહેવાસી અને આ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાના પિતા પરબતસિંહ ઝાલાની તાજેતરમાં CID ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ વિસ્તારમાં કૌભાંડ સાથે જોડાયેલા અનેક લોકોમાં દહેશતનો માહોલ સર્જ્યો છે.
BZEDના નામે કરોડોની છેતરપિંડી
આ કૌભાંડની શરૂઆત એક વર્ષ કરતાં વધુ સમય પહેલાં થઈ હતી. ભુપેન્દ્રસિંહ ઝાલા અને તેમના સાથીદારોએ BZEDના નામે સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ગાંધીનગર તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઓફિસો ખોલીને એજન્ટોની મદદથી લોકો પાસેથી ઊંચા વ્યાજની લાલચ આપીને લાખો-કરોડો રૂપિયાની રોકાણ એકઠી કરી હતી. રોકાણકારોને સમયસર મુદ્દલ અને વ્યાજ ન પરત કરતાં અનેક રોકાણકારોએ પુરાવા સાથે CID ક્રાઈમ ગાંધીનગરમાં ફરિયાદો નોંધાવી હતી. આ આધારે તપાસ શરૂ થતાં ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂઆત દરમિયાન ઝાલા તથા તેમના પરિવાર તરફથી રોકાણકારોને તાત્કાલિક નાણાં ચૂકવવાની ખાતરી આપવામાં આવી હતી, જેના આધારે તેમને જામીન મળ્યા હતા.
પરબતસિંહને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયા
જોકે, આ ખાતરીનું પાલન ન થતાં તપાસ ફરી તેજ બની. ગત 29 ડિસેમ્બરે CID ક્રાઈમે ભુપેન્દ્રસિંહ ઝાલાના પિતા પરબતસિંહ ઝાલાને ગાંધીનગર લઈ જઈને વિસ્તૃત પૂછપરછ કરી હતી. પૂછપરછમાં ગ્રોમોર જેવી સંસ્થાઓના ટ્રસ્ટમાં ભુપેન્દ્રસિંહની ભૂમિકા તથા અન્ય નાણાકીય વ્યવહારો અંગેના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. આ પછી પરબતસિંહને અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં રિમાન્ડની માંગણી છતાં ન્યાયાધીશે તેમને સીધા અમદાવાદ સેન્ટ્રલ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
BZ પોન્ઝી સ્કીમ કેસમાં વધુ એક ધરપકડ । Gujarat First#BZGroup #BhupendrasinhZala #CIDCrime #CourtHearing #OngoingInvestigation #LawAndOrder #CrimeNews #BreakingNews #GujaratFirst pic.twitter.com/a9qJpwRGpJ
— Gujarat First (@GujaratFirst) January 3, 2026
કેમ ચૂકાદાને રાખ્યો અનામત
પરબતસિંહ ઝાલાએ વકીલ મારફત કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. કેસની ગંભીરતા અને રોકાણકારોને નાણાં ચૂકવવામાં થયેલા વિલંબને ધ્યાનમાં રાખીને ન્યાયાધીશે ચુકાદો અનામત રાખ્યો છે. સુનાવણી સંભવતઃ આગામી સોમવાર પછી થશે, જેમાં કોર્ટ રોકાણકારોને ચૂકવવાની રકમમાં વિલંબ કેમ થયો તે અંગે વિગતો માંગી શકે છે.
કોર્ટને આપેલી ખાતરીનું ન થયું પાલન
આ કૌભાંડમાં ભુપેન્દ્રસિંહ ઝાલા તથા તેમના મળતીયાઓએ એજન્ટોને ઊંચા કમિશનની લાલચ આપીને રોકાણ એકઠું કરાવ્યું હતું. કેટલાક રોકાણકારોને સમયસર વ્યાજ કે મુદ્દલ ન મળતાં ફરિયાદો વધી હતી. એક વર્ષ પછી તપાસ ફરી તેજ થવા પાછળ કોર્ટને આપેલી ખાતરીનું પાલન ન થયું તે મુખ્ય કારણ માનવામાં આવે છે.
પરબતસિંહની ધરપકડ બાદ એજન્ટોમાં ખળભળાટ
પરબતસિંહની ધરપકડના સમાચારથી કૌભાંડમાં સંડોવાયેલા એજન્ટો અને મળતીયાઓમાં ખળભળાટ મચી ગયો છે. ઘણા એજન્ટો ધરપકડના ડરથી અજ્ઞાત સ્થળે છુપાઈ ગયા છે. ખાસ કરીને પ્રાંતિજના નિકેશ પટેલ અને હિંમતનગરના ધવલ પટેલ એક વર્ષથી વધુ સમયથી જાહેરમાં દેખાતા નથી. એક એજન્ટ વિદેશ ભાગી ગયો હોવાની પણ ચર્ચા છે. આગામી દિવસોમાં વધુ એજન્ટો તથા તથાકથિત "પોપટીયા માસ્ટરો"ની ધરપકડની શક્યતા છે.
આ પણ વાંચો- Ahmedabad : જર્જરિત આંગણવાડીમાં 30 ભૂલકાઓ જીવના જોખમે કરી રહ્યાં છે અભ્યાસ


