બિહાર ચૂંટણીમાં સ્વર્ગસ્થ કર્પૂરી ઠાકુરની ભૂમિ પરથી PM મોદીએ ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું,RJD પર કર્યા પ્રહાર
- PM Modi Bihar Rally: બિહારમાં PM મોદીએ લાલુ પ્રસાદ પર કર્યા પ્રહાર
- PM મોદીએ NDA સરકારની સિદ્ધિઓ ગણાવી
- PM મોદીએ સ્વર્ગસ્થ કર્પૂરી ઠાકુરને કર્યા યાદ
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સમસ્તીપુરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે આ લોકો હજારો કરોડના કૌભાંડમાં જામીન પર છે.
PM Modi Bihar Rally: PM મોદીએ RJD પર કર્યા પ્રહાર
વડાપ્રધાન મોદીએ નીતિશ કુમારની નેતાગીરીમાં NDA સરકાર દ્વારા ગરીબોની સેવા કરવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે ફરી બિહારમાં સુશાસનની સરકાર સ્થાપિત થશે.સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, "આ સમયે, તમે GST બચત મહોત્સવનો આનંદ માણી રહ્યા છો, અને આવતીકાલે છઠી મૈયાનો ભવ્ય તહેવાર પણ શરૂ થવાનો છે. આટલા વ્યસ્ત સમયમાં પણ, તમે અહીં આટલી મોટી સંખ્યામાં આવ્યા છો. સમસ્તીપુરના વાતાવરણ, મિથિલાના મૂડથી પુષ્ટિ મળી છે કે NDA સરકાર ફરીથી સત્તામાં આવશે ત્યારે બિહાર નવી ગતિએ આગળ વધશે." RJD પર નિશાન સાધતા તેમણે કહ્યું, "જ્યારે મોબાઇલ ફોન હોય છે, ત્યારે બિહારને ફાનસની જરૂર નથી."
PM Modi Bihar Rally: PM મોદીએ NDA સરકારની સિદ્વિઓ ગણાવી
વડાપ્રધાન મોદીએ NDA સરકારની સિદ્ધિઓ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, "અમારી સરકાર ગરીબોની સેવા કરી રહી છે. NDA સરકાર ગરીબોને પાકા મકાનો, મફત અનાજ, પીવાનું પાણી અને શૌચાલય સહિતની દરેક સુવિધા પૂરી પાડી રહી છે. તેમણે જણાવ્યું કે ભાજપ સ્વર્ગસ્થ કર્પૂરી ઠાકુર દ્વારા બતાવેલા માર્ગ પર ચાલી રહી છે અને સરકારે બધા પછાત વર્ગોના હિતોને પ્રાથમિકતા આપી છે. તેમણે કહ્યું, "અમારા જેવા લોકો, જે પછાત અને ગરીબ પરિવારોમાંથી આવે છે, કર્પૂરીજીના યોગદાનને કારણે આજે આ મંચ પર ઉભા છે. તેમને ભારત રત્નથી સન્માનિત કરવાની તક મળી તે અમારા માટે સૌભાગ્યની વાત છે."
વડાપ્રધાને OBC કમિશનને બંધારણીય દરજ્જો આપવા અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, "OBC કમિશનને બંધારણીય દરજ્જાની માંગ આપણા દેશમાં દાયકાઓથી ચાલી રહી છે. આ માંગ પણ NDA સરકારે પૂર્ણ કરી." શિક્ષણ નીતિ વિશે તેમણે કહ્યું કે કર્પૂરી બાબુ માતૃભાષામાં શિક્ષણના હિમાયતી હતા, અને NDA સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ પર ભાર મૂક્યો છે. "અમે સુશાસનને સમૃદ્ધિમાં પરિવર્તિત કરી રહ્યા છીએ," તેમણે અંતે ઉમેર્યું.