અમદાવાદના પાલડી વિસ્તારમાં 12 સપ્ટેમ્બરના રોજ યુવક નૈષલ ઠાકોરની ક્રૂરતા પૂર્વક કરવામાં આવેલી હત્યાના મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી કેટલાક રાજસ્થાન અને અમદાવાદમાંથી પકડાયા છે. આ ઘટના અંજલી ઓવરબ્રિજ નજીક બની હતી, જે પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે બની છે. આ હત્યા જૂની અંગત અદાવતને કારણે થઈ હોવાનું પોલીસને મળેલી પ્રાથમિક માહિતીમાંથી સામે આવ્યું છે.
ઘટનાની વિગતો અનુસાર, 12 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં નૈષલ ઠાકોર અંજલી ઓવરબ્રિજ નીચે પહોંચ્યા હતા. અચાનક એક નંબર પ્લેટ વિનાની કારમાં આવેલા 7-8 અજાણ્યા વ્યક્તિઓએ આવ્યા અને કારમાંથી ઉતરીને આરોપીઓએ ધારીયા, છરી જેવા તીક્ષ્ણ હથિયારોથી નૈષલ પર નિર્દય હુમલો કર્યો. નિર્મમતાથી તેઓએ તેને વારંવાર માર્યા અને પછી ગાડી ચડાવી દઇને ગંભીર ઘાયલ કર્યો. પૂરી ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
ઘટનાની જાણ થતાં તરત જ પાલડી પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને નૈષલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ તેમનું મોત થઈ ગયું. મૃતક નૈષલ ઠાકોર જમીન ખરીદી-વેચાણના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને પાલડી વિસ્તારમાં રહેતા હતા. તેમના પરિવારજનો આ ઘટનાથી આઘાતગ્રસ્ત છે અને તેમને ન્યાય મળે તે માટે પોલીસને અરજી કરી છે. આ હત્યા પોલીસ સ્ટેશનની નજીક બનવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે અને ગુંડાતત્વો પર પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર પ્રશ્નો ઉભા થયા છે.
પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ હત્યા જૂની અંગત અદાવતને કારણે થઈ છે, જેમાં જમીન વ્યવહાર સાથે જોડાયેલા વિવાદની સંભાવના છે. CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને આરોપીઓને ટ્રેસ કરવા માટે કાર્યવાહી હાથ ધરી. તપાસ અધિકારીઓએ જણાવ્યું કે, આરોપીઓ ઘટના પછી ફરાર થયા હતા અને તેઓએ રાજસ્થાન તરફ પલાયન કર્યું હતું. પાલડી પોલીસની વિશેષ ટીમે રાજસ્થાનના અબુ રોડ અને અન્ય વિસ્તારોમાંથી 3 આરોપીઓને ધરપકડ કરી, જ્યારે અમદાવાદમાં છુપાયેલા 3 આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા છે. કુલ 6 આરોપીઓને હવે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, જ્યારે 7મા આરોપીની શોધખોળ ચાલુ છે
પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ હત્યા, ષડયંત્ર અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસમાં આગળ વધતા પોલીસે કહ્યું કે, આરોપીઓ પાછળના મુખ્ય સૂત્રધારને પણ ઝડપી લેવાની કોશિશ કરી રહ્યા છે. આ ધરપકડથી પોલીસની તપાસને નવી દિશા મળી છે અને વધુ પુરાવા મળવાની અપેક્ષા છે. નૈષલના પરિવારજનોએ પોલીસના ત્વરિત કાર્યવાહીની પ્રશંસા કરી છે, પરંતુ તેઓએ વધુ કડક કાર્યવાહીની માંગ કરી છે.