Rajkot: સરધારના પૂર્વ સરપંચની હત્યાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
- રાજકોટના સરધાર ખાતે પૂર્વ ઉપસરપંચ હત્યા કેસ
- પોલીસે આરોપીની મધ્યપ્રદેશથી કરી ધરપકડ
- ટેકનિકલ સર્વેલન્સ તેમજ ઇન્ટેલિજન્સના માધ્યમથી આરોપી ઝડપાયો
આપણે ત્યાં એક કહેવત છે કે જર, જમીન અને જોરું ત્રણેય કજીયાના છોરું, ત્યારે આ કહેવત શબ્દસઃ સાચી ઠરી છે રાજકોટ જિલ્લાના સરધાર ખાતે. ગત 23 મે 2025 ના રોજ સરધાર ગામ ખાતેના પૂર્વ ઉપસરપંચ 53 વર્ષીય હરેશ સાવલિયાની હત્યા ત્રિકમનો ઘા ઝીંકીને પોતાને ત્યાં કામ કરનારા મજુર મનોજ પલાસ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપી મનોજ પલાસને મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું છે. ત્યારે પોલીસની પૂછપરછ માં આરોપીએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હોવાનું પણ સામે આવ્યું છે.
ત્યારે સમગ્ર મામલે એસીપી ક્રાઈમ ભરત બસિયા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, મર્ડર ના બનાવ સંદર્ભે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી. જે અંતર્ગત પીએસઆઇ વી. ડી. ડોડીયાની તેમને ટેકનિકલ ઈન્ટેલિજન્સ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી માહિતી મળી હતી કે, હરેશ સાવલિયાનું મર્ડર કરનાર મનોજ હાલ તેના વતન મધ્યપ્રદેશ ખાતે નાસી ગયો છે. જેથી ટેકનિકલ સર્વેલન્સ તેમજ ઇન્ટેલિજન્સના માધ્યમથી હત્યા કરનાર મનોજને મધ્યપ્રદેશના ધાર જિલ્લાના દૂધીરપટ ગામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
આરોપીની પૂછપરછમાં હત્યા કરવા પાછળના બે જેટલા કારણો જણાવ્યા છે. જેમાં એક કારણ જણાવતા મનોજ પલાસે જણાવ્યું હતું કે, જમીન માલિક હરેશ સાવલિયા તેણીની પત્નીની મરજી વિરુદ્ધ તેણીની સાથે શારીરિક અડપલા કરતો હતો. તેમજ મનોજની પત્ની સાથે હરેશ જબરદસ્તી પૂર્વક સંબંધ પણ રાખવા માંગતો હતો. તેમજ બીજું કારણ જણાવ્યું હતું કે, મૃતક હરેશ સાવલિયા દ્વારા જ્યારે મનોજને પોતાની વાડીમાં ભાગીયા તરીકે રાખવામાં આવ્યો ત્યારે 33 ટકાનો ભાગ આપવાનો નક્કી થયું હતું. પરંતુ જ્યારે ઉપર જ થઈ ત્યારે મનોજને માત્ર 25% જ ભાગ આપવામાં આવ્યો હતો. તેમજ 25 ટકા ભાગ આપવા માટે પણ મનોજ દ્વારા અવારનવાર હરેશ સમક્ષ આજીજી કરવામાં આવતી હતી. ત્યારે કટકે કટકે હરેશ દ્વારા મનોજને તેનો ભાગ આપવામાં આવ્યો હતો. આમ, આ બંને કારણોથી મનોજે નક્કી કર્યું હતું કે, હવે હરેશને કાયમી માટે સબક શીખવાડવો છે.
ભરત બસિયા, એસીપી ક્રાઈમ, રાજકોટ
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આરોપી મનોજના ગુનાહિત ઇતિહાસ બાબતે ચકાસતા આરોપી વિરુદ્ધ મધ્ય પ્રદેશના પોલીસ સ્ટેશન ખાતે કુલ બે જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. એમાંથી એક ગુનો એક્સાઇઝ એક્ટની કલમ મુજબ 2021 માં નોંધાયો હતો. જ્યારે કે બીજો ગુનો મારામારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ વર્ષ 2022માં નોંધાયો હતો. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપી મનોજ દ્વારા કબુલાત આપવામાં આવી છે કે, રાત્રિના સમયે હરેશ સાવલિયા વાડી ખાતે એકલો હતો. તે સમયે એકલતાનો લાભ લઈ તેને છાતીના ભાગે ત્રિકમ ઝીંકી તેની હત્યા નીપજાવી હતી. તેમજ ત્યારબાદ ઘટના સ્થળેથી પોતે પોતાના મધ્યપ્રદેશ ખાતે જવા રવાના થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, હરેશ સાવલિયા સરધાર ગામ ખાતે પોતે ઉપસરપંચ તરીકે અગાઉ રહી ચૂક્યો છે. જેના કારણે તેની હત્યા થતા મોટી સંખ્યામાં લોકો પીએમ રૂમ ખાતે પણ ઉમટી પડ્યા હતા. મૃતકને સંતાનમાં બે જેટલા પુત્રો હોવાનો પણ સામે આવ્યું હતું.
આ પણ વાંચોઃ Ahmedabad : ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું
પોલીસ સૂત્રોનું માનીએ તો, બનાવના થોડાક દિવસો પહેલા જ મનોજની પત્ની પોતાના વતનમાં હરેશના ત્રાસથી કંટાળીને જતી રહી હતી. તેમજ જ્યારે મનોજની પત્ની પોતાના વતનમાં જતી હતી ત્યારે પોતાના પતિને કહેતી ગઈ હતી કે, તું મારી આબરૂ સાચવી શક્યો નહીં. આ શબ્દો મનોજને લાગી આવ્યા હતા. અગાઉ પણ જ્યારે હરેશ મનોજની પત્ની સાથે બળજબરી કરતો હતો. ત્યારે મનોજની પત્ની પોતાની સાથે બનેલ અઘટિત બનાવ અંગે પોતાના પતિને જાણ પણ કરતી હતી. પરંતુ શેઠ પાસેથી પૈસા લેવાના બાકી હોવાથી મનોજ પોતાના શેઠ વિરુદ્ધ કંઈપણ કરી શકે તે હાલતમાં નહોતો.
આ પણ વાંચોઃ Gandhinagar : સત્કાર સમારોહમાં વડાપ્રધાનનો બાળ પ્રેમ જોવા મળ્યો, જુઓ વીડિયો