Rajkot : જેતપુરમાં રખડતા શ્વાનનો ‘યમદૂત’ જેવો આતંક : 24 કલાકમાં માસૂમ બાળકી સહિત બે પર હુમલો
- Rajkot : જેતપુરમાં રખડતા શ્વાનનો ‘યમદૂત’ જેવો આતંક: 24 કલાકમાં માસૂમ બાળકી સહિત બે પર હુમલો
- 3 મહિનામાં 1250 લોકોને શ્વાનોએ ફાડી ખાધા, તંત્રની નિષ્ક્રિયતા સામે જનતામાં પ્રચંડ રોષ
Rajkot : રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક હવે સીમા વટાવી રહ્યો છે. રસ્તા પર નીકળવું જાણે જોખમી બન્યું હોય તેમ છેલ્લા 24 કલાકમાં શ્વાન કરડવાના બે ગંભીર બનાવો સામે આવતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેતપુરના ગોંદરા વિસ્તારમાં ઘર પાસે રમી રહેલી ૨ વર્ષની માસૂમ બાળકી ત્રિવા પર કૂતરાએ હિંસક હુમલો કરતા તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
CCTVમાં કેદ થયો શ્વાનનો પ્રકોપ
શહેરની આસોપાલવ સોસાયટી વિસ્તારમાં પણ એક બાળક પર કૂતરાએ હુમલો કર્યો હતો, જેના હૃદયદ્રાવક CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. કૂતરાએ બાળકના હાથે એટલી નિર્મમતાથી બચકા ભર્યા હતા કે તેને સારવાર દરમિયાન 6 ટાંકા લેવા પડ્યા છે.સતત વધતા હુમલાઓને કારણે હવે વાલીઓ પોતાના બાળકોને ઘરની બહાર મોકલતા પણ ડરી રહ્યા છે.
Rajkot : કૂતરાઓના જીવલેણ હુમલા
જેતપુરમાં રખડતા ઢોરની સાથે હવે કૂતરાઓ પણ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. છેલ્લા માત્ર ત્રણ મહિનાના સમયગાળામાં જ અંદાજે ૧૨૫૦ જેટલા લોકોને શ્વાનોએ શિકાર બનાવ્યા હોવાના આંકડા સામે આવ્યા છે. મોડી રાત્રે પસાર થતા વાહનચાલકો પાછળ કૂતરાઓ દોડતા અકસ્માતની ઘટનાઓ પણ રોજિંદી બની ગઈ છે. વૃદ્ધો અને મહિલાઓ માટે રસ્તા પર ચાલવું પણ હવે મુશ્કેલ બન્યું છે.
સ્થાનિકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, જેતપુર નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. વંધ્યીકરણ કે કૂતરાઓને પકડવાની કોઈ સક્રિય ઝુંબેશ ન ચલાવાતી હોવાથી લોકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક ધોરણે રખડતા કૂતરાઓને પકડવાનું અભિયાન શરૂ કરે, નહીંતર આગામી દિવસોમાં કોઈ મોટું આંદોલન છેડવામાં આવશે.
આ પણ વાંચો- Jamnagar : ઉત્તરાયણની મજા પહેલા જ વધુ એક ચિંતાજનક ઘટના : પતંગની દોરથી યુવાન ગંભીર રીતે ઘવાયો


