Raju Karpada ને મળવા કોંગ્રેસ નેતાઓે સુરેન્દ્રનગરમાં પહોંચ્યા! રાજુ કરપડાએ આપ્યુ આ નિવેદન
- Raju Karpada ને કોંગ્રેસમાં જોડાવવા આમંત્રણ આપ્યાની ચર્ચા
- કોંગ્રેસના આગેવાનો રાજુભાઈ કરપડાની મુલાકાત માટે પહોંચ્યા
- પાલ આંબલિયા સહિતના આગેવાનો સુરેન્દ્રનગર પહોંચ્યા
Raju Karpada: ગુજરાતના રાજકારણમાં હાલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના કિસાન સેલના પૂર્વ પ્રમુખ અને જાણીતા ખેડૂત નેતા રાજુભાઈ કરપડા (Raju Karpada) એ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ હવે તેઓ કઈ દિશામાં જશે તે ચર્ચાનો વિષય બન્યો છે. આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસ (Congress) પક્ષ દ્વારા તેમને પોતાના પક્ષમાં લેવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા પાલ આંબલિયા (Pal Ambaliya) સહિતના અગ્રણી નેતાઓ રાજુભાઈ કરપડાને મળવા માટે સુરેન્દ્રનગર (Surendranagar) પહોંચ્યા હતા.
Raju Karpada અમિતભાઈ ચાવડા સાથે કરી શકે છે મુલાકાત
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે કોંગ્રેસના આગેવાનોએ રાજુભાઈ કરપડાને પક્ષમાં જોડાવા માટે વિધિવત આમંત્રણ આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી બે-ત્રણ દિવસમાં રાજુભાઈ કરપડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા (Amit Chavda) સાથે મુલાકાત કરી શકે છે. જોકે, આ મુલાકાત બાદ જ તેઓ કોંગ્રેસમાં જોડાશે કે કેમ તે સ્પષ્ટ થશે.
ખેડૂત સંમેલન બાદ લેવાશે અંતિમ નિર્ણય
પોતાના રાજકીય ભાવિ અંગે સ્પષ્ટતા કરતા રાજુભાઈ કરપડાએ જણાવ્યું છે કે, "હાલમાં મેં કોઈપણ રાજકીય પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી." તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસના નેતાઓ સાથેની મુલાકાત માત્ર પારિવારિક સંબંધોને કારણે હતી. કરપડાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ આગામી સમયમાં એક મોટું ખેડૂત સંમેલન (Farmers Convention) યોજશે. આ સંમેલન બાદ ખેડૂતો અને તેમના સમર્થકો જે માર્ગદર્શન આપશે, તે મુજબ જ તેઓ પોતાનો અંતિમ નિર્ણય લેશે.
AAP સાથેનો છેડો અને ભવિષ્યની રણનીતિ
રાજુભાઈ કરપડાએ જેલવાસ દરમિયાન પક્ષ દ્વારા પૂરતો સહયોગ ન મળ્યો હોવાના આક્ષેપો સાથે 'આપ' સાથે છેડો ફાડ્યો છે. સૌરાષ્ટ્ર (Saurashtra) ના ખેડૂત વર્ગમાં તેમનું સારું એવું પ્રભુત્વ હોવાથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો તેમની પર નજર રાખી રહ્યા છે. જોકે, કોંગ્રેસની સક્રિયતા જોતા એવું લાગે છે કે વિપક્ષી ગઠબંધનમાં પડેલી તિરાડનો લાભ લેવા માટે કોંગ્રેસ કોઈ કસર છોડવા માંગતી નથી.
આ પણ વાંચોઃ MLA ગોપાલભાઈ ઈટાલિયા પર કરેલા આક્ષેપનો Pravin Ram નો સણસણતો જવાબ!


