મહાદેવ એપ કૌભાંડનો મુખ્ય આરોપી રવિ ઉપ્પલ દુબઈથી ફરાર, પ્રત્યાર્પણની આશાઓ પર પાણી ફરી વળ્યું!
- મહાદેવ એપ કૌભાંડનો મુખ્ય આરોપી રવિ ઉપ્પલ દુબઇથી ગુમ
- રવિ ઉપ્પલને દુબઇથી પ્રત્યાર્પણની પ્રક્રિયાથી ભારત લાવવાનો હતો
- રવિ ઉપ્પલનો સાથી સૌરભ ચંદ્રાકર દુબઈની કસ્ટડીમાં છે
- સૌરભ ચંદ્રાકરને ભારત લાવવાની કાર્યવાહી ચાલી રહી છે
મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી (Ravi Uppal Mahadev App) કૌભાંડના મુખ્ય આરોપીઓમાંના એક રવિ ઉપ્પલને ડિસેમ્બર 2023 માં ઇન્ટરપોલ દ્વારા જારી કરાયેલ રેડ કોર્નર નોટિસના આધારે દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને ભારત પ્રત્યાર્પણ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ 45 દિવસ પછી તેને મુક્ત કરવામાં આવ્યો હતો. પ્રત્યાર્પણ માટેના જરૂરી દસ્તાવેજો સમયસર પૂરા પાડવામાં આવ્યા હતા કે કેમ તે અંગે ED અને મીડિયા અહેવાલો વચ્ચે વિવાદ હતો.અહેવાલો સૂચવે છે કે તે યુએઈથી કોઈ અજ્ઞાત સ્થળે ભાગી ગયો છે. તેનો સાથી, સૌરભ ચંદ્રાકર, દુબઈની કસ્ટડીમાં છે. રવિ ઉપ્પલ પાસે વાનુઆતુ પાસપોર્ટ છે.
Ravi Uppal Mahadev App: રવિ ઉપ્પલ દુબઈથી ભાગી ગયો
નોંધનીય છે કે મહાદેવ એપ કૌભાંડનો મુખ્ય આરોપી રવિ ઉપ્પલ દુબઈથી ભાગી ગયો છે અને હાલમાં તે ક્યાં છે તેની કોઈને ખબર નથી. આ વાતની જાણકારી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. દુબઈના અધિકારીઓએ ભારત સરકારને સત્તાવાર રીતે જણાવ્યું છે કે ઉપ્પલ કોઈ અજાણી જગ્યાએ જતો રહ્યો છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે દુબઈએ તે ક્યાં ગયો કે કેવી રીતે ભાગ્યો તેની કોઈ માહિતી ભારતને આપી નથી અને તેનું ભારત પ્રત્યાર્પણ કરવાની પ્રક્રિયા પણ બંધ કરવાની વાત કરી છે. ભારતીય અધિકારીઓ માને છે કે નાણાકીય ગુનાઓના કેસમાં દુબઈનો આ પગલું ભારતને સહકાર ન આપવા સમાન છે.
Ravi Uppal Mahadev App: સુપ્રીમ કોર્ટે ED ને આપ્યો આદેશ
આ દરમિયાન, રવિ ઉપ્પલે તેની ધરપકડ રોકવા માટે કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ED ને સ્પષ્ટ આદેશ આપ્યો કે રવિ ઉપ્પલને ગમે ત્યાંથી શોધી કાઢવામાં આવે. કોર્ટે એવું પણ કહ્યું કે ઉપ્પલ જેવા મોટા ગુનેગારો (કિંગપિન્સ) કોર્ટ અને તપાસ એજન્સીઓને ગણકારતા નથી અને તેમની સાથે રમત રમે છે. બીજી તરફ, ઉપ્પલનો સાથી આરોપી સૌરભ ચંદ્રાકર ઓક્ટોબર ૨૦૨૪ થી હજી પણ દુબઈની કસ્ટડીમાં છે અને તેને ભારત લાવવાની પ્રક્રિયા ચાલુ છે.
ઉપ્પલ દક્ષિણ પેસિફિક મહાસાગરના ટાપુ રાષ્ટ્ર વનુઆતુનો પાસપોર્ટ ધરાવે છે. લલિત મોદીના કિસ્સામાં પણ આ જ દેશનો પાસપોર્ટ સામેલ હતો. તપાસમાં બહાર આવ્યું છે કે રવિ ઉપ્પલ અને સૌરભ ચંદ્રાકરે તેમના ગુનાહિત નેટવર્કને વિસ્તારવા માટે વનુઆતુમાં મિલકતો ખરીદી હતી અને ત્યાંની નાગરિકતા પણ મેળવી હતી. મહાદેવ એપ કથિત રીતે દરરોજ ₹200 કરોડનો નફો કમાતી હતી, અને આ કૌભાંડમાં ₹600 કરોડથી વધુના ગુનાહિત નાણાં સામેલ હોવાનો અંદાજ છે.
આ પણ વાંચો: ટ્રમ્પની ધમકી : ન્યૂયોર્કની ચૂંટણીમાં જો મમદાની જીતશે તો ન્યૂયોર્કની ફંડિંગ કટ!