Bangladeshમાં સાધુ ચિન્મય પ્રભુની ધરપકડ બાદ ISKCONની ભારત સરકારને અપીલ
- બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા સાધુ ચિન્મય પ્રભુની ધરપકડ
- તેમણે બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય સામે થતા ભેદભાવ અને અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો
- ચિન્મય પ્રભુ પર દેશદ્રોહનો આરોપ લગાવ્યા બાદ યુનુસ સરકારે તેમની ધરપકડ કરી
- ભારત સરકારને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા ઇસ્કોનની અપીલ
Bangladesh : બાંગ્લાદેશ (Bangladesh)માં હિંદુઓ પર અત્યાચાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા સાધુ ચિન્મય પ્રભુની ધરપકડ બાદ તણાવ વધી રહ્યો છે. ચિન્મય પ્રભુ એક અગ્રણી ચહેરો છે જેમણે બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય સામે થતા ભેદભાવ અને અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો છે. ઈસ્કોન સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી અંગે ઈસ્કોને નિવેદન બહાર પાડ્યું છે અને તેમની મુક્તિ માટે ભારત સરકાર પાસે મદદ માંગી છે. ચિન્મય પ્રભુ પર દેશદ્રોહનો આરોપ લગાવ્યા બાદ યુનુસ સરકારે તેમની ધરપકડ કરી છે.
ઈસ્કોન પર આવા આક્ષેપો કરવા અપમાનજનક છે
ઇસ્કોને ટ્વીટ કર્યું, કે "અમને ચિંતાજનક અહેવાલો મળ્યા છે કે ઇસ્કોન બાંગ્લાદેશના મુખ્ય નેતાઓમાંના એક શ્રી ચિન્મય કૃષ્ણ દાસની ઢાકા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આવા વાહિયાત આરોપ લગાવવા અપમાનજનક છે કે ઇસ્કોનનો ક્યાંય પણ આતંકવાદ સાથે કોઇ લેવા દેવા છે.
ભારત સરકારને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા અપીલ
ઇસ્કોને વધુમાં જણાવ્યું હતું કે, “ઇસ્કોન ભારત સરકારને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા અને બાંગ્લાદેશ સરકાર સાથે વાત કરવા વિનંતી કરે છે અને જણાવે છે કે અમે શાંતિપૂર્ણ ભક્તિ આંદોલન ચલાવી રહેલી સંસ્થા છીએ. અમે ઈચ્છીએ છીએ કે બાંગ્લાદેશ સરકાર ચિન્મય કૃષ્ણ દાસને તાત્કાલિક મુક્ત કરે. અમે આ ભક્તોની સુરક્ષા માટે ભગવાન કૃષ્ણને પણ પ્રાર્થના કરીએ છીએ."
આ પણ વાંચો---Bangladesh માં હિન્દુઓનું નેતૃત્વ કરનાર ISKCON ના સેક્રેટરી ચિન્મય દાસની ધરપકડ...
બાંગ્લાદેશમાં ઈસ્કોનના 77 મંદિરો
ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચના અગ્રણી નેતા અને ઇસ્કોન ચિટાગોંગના પુંડરિક ધામના પ્રમુખ છે. તેઓ સામાન્ય રીતે ચિન્મય પ્રભુ તરીકે ઓળખાય છે. તેઓ બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારો સામે મજબૂત અવાજ ઉઠાવનારાઓમાંના એક છે. બાંગ્લાદેશમાં ઈસ્કોનના 77 થી વધુ મંદિરો છે, જેની સાથે 50,000 થી વધુ લોકો જોડાયેલા છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશની કુલ વસ્તીના 8 ટકા હિંદુઓ છે.
ધરપકડના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા
ચિન્મય પ્રભુની ધરપકડના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમના પર BNP અને જમાતના લોકોએ હુમલો કર્યો હતો, જેમાં 50 હિંદુઓ ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, જ્યારે ચિત્તાગોંગમાં ઉગ્રવાદી જૂથોએ હિંદુઓ પર હુમલો કર્યો ત્યારે વહીવટીતંત્ર અને પોલીસ મૂક પ્રેક્ષક બનીને રહી હતી.
આ પણ વાંચો---Bangladesh : હિન્દુઓ પર રસ્તા પર, સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ