ગુજરાતમાં ભ્રષ્ટાચારની 'કટકી' : શહેરોથી ગામડાઓ સુધી વિસ્તરી રહેલી બેદરકારી-અધિકારીઓની ગોબાચારી
- ગુજરાતમાં ભ્રષ્ટાચારની કટકી : 156 કરોડના ડાકોર-મહુધા રોડ જર્જરિત, અધિકારીઓની બેદરકારી ખુલ્લી પડી
- સુરતમાં ટાંકી તૂટી પડી : ભ્રષ્ટાચારમાં 7 આરોપીઓની ધરપકડ, જય ચૌધરી અને અંકિત ગરાસિયા પકડાયા
- ગંભીરા બ્રિજમાં અકસ્માત : શ્રમિક ઘાયલ, સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન અને અધિકારીઓની ગોબાચારી
- બનાસકાંઠા શાળાની દિવાર ધરાશાયી : ગામડાઓમાં વિસ્તરી રહેલો ભ્રષ્ટાચાર, બાળકોનું જીવન જોખમમાં
- ખેડા, સુરત, આણંદ, બનાસકાંઠામાં ભ્રષ્ટાચારના પુરાવા : કરોડોના પ્રોજેક્ટ્સ જર્જરિત, જનતા પરેશાન
ગાંધીનગર : રાજ્યના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિવિધ ક્ષેત્રે ફાળવી રહી છે. તે છતાં રાજ્યમાં વિકાસ થવાની જગ્યાએ વિનાશના સમાચાર સામે આવતા રહેતા હોય છે. ક્યાંક ટાંકી પડી જવાના સમાચાર આવે છે, તો ક્યાંક રોડ-રસ્તાઓ તૂટી જવાની બૂમરાણ સામે આવી રહી છે. આટલું ઓછું હોય તેમ શાળાની ચાલું બાંધકામે દીવાર પડી જવા જેવી ગંભીર બાબતો પણ સામે આવી ચૂકી છે. તો સરકાર દ્વારા જનતાને સુવિધાઓ પૂરી પાડવા માટે આપવામાં આવતી ગ્રાન્ટ ક્યાં જઈ રહી છે?
અત્ર-તત્ર સર્વત્ર ભ્રષ્ટાચાર ?
આ ગ્રાન્ટ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની તિજોરીમાં ભેગી થઈ રહી છે. રાજ્યના બાંધકામ વિભાગમાં ભ્રષ્ટાચાર ઘર કરી ગયું હોવાની બૂમરાણ પાછલા ઘણા સમયથી સામે આવી રહી છે. હવે તો શિક્ષણ સંસ્થાઓમાં પણ ગંભીર દુર્ઘટનાઓ જોવા મળી રહ્યાં છે. આમ એકપણ સરકારી વિભાગ એવું રહ્યું નથી કે, કટકી મારવામાં આવતી નહોય. આ તમામ અધિકારીઓને ઘર ભેગા કરીને તેમને રસ્તા ઉપર લાવી શકાય છે. રાજ્ય સરકાર પોતાની તિજોરીમાંથી જે રીતે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, તેવી જ રીતે ભ્રષ્ટાચાર આચરનારા અધિકારીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવાનું શરૂ કરે તો મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ શકે છે.
કરોડો રૂપિયાની ટાંકી ઉપર ફરી વળ્યું પાણી
ગુજરાતમાં પ્રાથમિક સુવિધાઓના વિકાસમાં ભ્રષ્ટાચાર અને અધિકારીઓની બેદરકારીના કારણે જનતા પરેશાન છે. શહેરોથી લઈને ગામડાઓ સુધી આ ભ્રષ્ટાચાર વિસ્તરી રહ્યો છે, જેમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ જર્જરિત થઈ રહ્યા છે અને જીવન જોખમમાં મુકાઈ રહ્યું છે. ખેડા, સુરત, આણંદ જેવા જિલ્લાઓમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મીલીભગતના આરોપ લાગી રહ્યા છે. આ ભ્રષ્ટાચારની 'કટકી' ક્યારે અટકશે તે પ્રશ્ન જનતાને સતાવી રહ્યો છે.
156 કરોડ રૂપિયાનો રોડ ધોવાઈ ગયો
ખેડા જિલ્લામાં ડાકોર-મહુધા-મહેમદાવાદ રોડનું નિર્માણ 156 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું, પરંતુ તે બે મહિનામાં જ ઉબળ-ખાબળ અને જર્જરિત થઈ ગયો છે. વરસાદમાં આ રોડ ધોવાઈ ગયો અને વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે. છેલ્લા છ મહિનાથી તેનું રિપેરિંગ પણ નથી કરાયું. આ પ્રોજેક્ટમાં નિમ્ન ગુણવત્તાના મટિરિયલના ઉપયોગ અને બેદરકારીના આરોપ લાગી રહ્યા છે, જે અધિકારીઓની ગોબાચારીને દર્શાવે છે.
ટાંકી તૂટી જતાં સીએમ લાલચોળ થયા
સુરતમાં તડકેશ્વર વિસ્તારમાં ઓવરહેડ વોટર ટાંકી તૂટી પડવાની ઘટનાએ પણ ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે. 21.04 કરોડના ખર્ચે બનેલી આ ટાંકી મજબૂતીના પરીક્ષણ દરમિયાન ધરાશાયી થઈ ગઈ, જેમાં નિમ્ન ગુણવત્તાના કામના આરોપ છે. પોલીસે આ કેસમાં વધુ બે કાર્યપાલક ઈજનેર જય ચૌધરી અને અંકિત ગરાસિયાની ધરપકડ કરી છે. અત્યાર સુધી કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના નામ સામેલ છે. આ ઘટના પાણી પુરવઠાની સુવિધામાં ભ્રષ્ટાચારને દર્શાવે છે.
ભ્રષ્ટાચારની સાથે-સાથે બેદરકારી
આણંદમાં ગંભીરા બ્રિજના નિર્માણ દરમિયાન પણ ગંભીર બેદરકારી જોવા મળી છે. કોલમ પર સેન્ટરિંગ કામ દરમિયાન અકસ્માત થયો, જેમાં એક શ્રમિક 10 ફૂટની ઊંચાઈથી પટકાઈને ગંભીર રીતે ઘાયલ થયો અને તેને વડોદરા હોસ્પિટલમાં ખસેડવો પડ્યો. કન્સ્ટ્રક્શન સાઈટ પર સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જે અધિકારીઓની બેદરકારીને ઉજાગર કરે છે.
બાળકોના જીવન સાથે પણ રમત
ભ્રષ્ટાચાર ગામડાઓમાં પણ વિસ્તરી રહ્યો છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના સલેમકોટ પ્રાથમિક શાળાની દિવાર ધરાશાયી થઈ ગઈ, જોકે સદ્ભાગ્યે તે સમયે બાળકો દૂર હોવાથી જાનહાનિ ટળી. આ પ્રોજેક્ટમાં પણ નિમ્ન ગુણવત્તાના કામના આરોપ છે, જે શિક્ષણ સુવિધાઓમાં ભ્રષ્ટાચારને દર્શાવે છે.
સરકારી ભંડોળનો દુરુપયોગ
આ તમામ ઘટનાઓમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મીલીભગત જવાબદાર છે. સરકારી ભંડોળનો દુરુપયોગ થઈ રહ્યો છે અને જનતા પરેશાન છે. યુનિયન સરકારે ગુજરાતમાં 1,078 કરોડના રોડ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, પરંતુ આવા ભ્રષ્ટાચારના કારણે આ પ્રોજેક્ટ્સની ગુણવત્તા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. સરકારે આવા કિસ્સાઓમાં કડક તપાસ અને કાર્યવાહી કરવી જોઈએ, જેથી ભ્રષ્ટાચારની આ 'કટકી' અટકી શકે.


