Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'વિચરતી વિમુક્ત જાતિઓનું રાજ્ય સ્તરીય મહાસંમેલન' યોજાયુ
- અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં કાર્યક્રમ
- ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હાજર
- જેને કોઈના પૂછે તેને વડાપ્રધાન મોદી પૂજે છે: CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'વિચરતી વિમુક્ત જાતિઓનું રાજ્ય સ્તરીય મહાસંમેલન' યોજાયુ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું છે કે જેને કોઈ પૂછતું નથી એને મોદી પૂજે છે એ વાત વિચરતી-વિમુક્ત જાતિઓ માટે અનેક કલ્યાણ યોજનાઓના સફળ અમલથી વડાપ્રધાને સાકાર કરી છે. આ કાર્યક્રમમાં ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ ડૉ. કે.લક્ષ્મણ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.
વિચરતી-વિમુક્ત જાતિનો સમાજ આગળ વધશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિચરતી વિમુક્ત જાતિઓના અમદાવાદમાં યોજાયેલા રાજ્ય સ્તરીય મહાસંમેલન' માં સ્પષ્ટ પણે કહ્યું હતું કે જેને કોઈ પૂછતું પણ ન હતું તેવા અંત્યોદય, ગરીબ ,વંચિતો ને મોદી સાહેબે પૂજ્યા છે. ડીએનટી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ સંમેલનમાં રાજ્યભરમાંથી વિચરતી વિમુક્ત જાતિઓના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, વિચરતી-વિમુક્ત જાતિનો સમાજ આગળ વધશે તો ક્યારે વધશે એ ભૂતકાળમાં સવાલ હતો પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવું સક્ષમ નેતૃત્વ મળ્યું અને દરેક વ્યક્તિ-સમાજને સાથે રાખીને સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ નો ધ્યેય પાર પડ્યો છે. તેમણે નાનામાં નાના માણસનો વિચાર કરીને સરકારી યોજનાઓ કે નીતિઓ બનાવી છે અને વિકસિત ભારતના નિર્માણ માટે છેવાડાના અને મધ્યમ વર્ગના માનવી ને કેન્દ્ર સ્થાને રાખીને વિકાસ સાથે જોડ્યો છે.
દીકરા-દીકરી ભણીને આગળ વધે એ માટે સરકારે ખુબ સારી યોજનાઓ બનાવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિચરતી અને વિમુક્ત જાતિઓના બાળકોને શિક્ષણ આપવા, ભણાવવા પર ભાર મુકતા કહ્યું કે, તમારા દીકરા-દીકરી ભણીને આગળ વધે એ માટે સરકારે ખુબ સારી યોજનાઓ બનાવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં વિચરતી-વિમુક્ત જાતિના 27 લાખથી વધુ લાભાર્થીઓને 297 કરોડ રૂપિયાની રકમ ની શિષ્યવૃત્તિની સહાય ચૂકવવામાં આવી છે અને 8448 જેટલાં લાભાર્થીઓને 105 કરોડ રૂપિયાની લોન સહાય પૂરી પાડવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, અત્યારે જે પ્રમાણે દેશ અને દુનિયાની ડિમાન્ડ અને સમયની માંગ છે તે પ્રમાણે કદમથી કદમ મિલાવી દીકરા-દીકરીઓ ભણીને આગળ વધી રહ્યા છે એમાં જ્યાં જરૂર પડે ત્યાં સરકાર તમારી સાથે ઉભી રહેવા તૈયાર છે. તેમણે આ સમાજની બહેનો માતાઓને પણ સ્વ સહાયજૂથ જેવી યોજનાઓ નો લાભ લઇ આત્મ નિર્ભર બનવા પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે તમામ સમાજો એ પણ તેમાં જોડાવાનું છે.
સરકાર વિવિધ કલ્યાણ યોજનાઓમાં સેચ્યુરેશન અભિગમથી પડખે ઊભી રહી છે
વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા નાનામાં નાનો માણસ મુખ્ય પ્રવાહમાં આવે તે માટે સરકાર વિવિધ કલ્યાણ યોજનાઓમાં સેચ્યુરેશન અભિગમથી પડખે ઊભી રહી છે. તેમણે આત્મ નિર્ભર ભારત માટે વોકલ ફોર લોકલ અને સ્વદેશી વસ્તુઓના વધુને વધુ ઉપયોગનું આહ્વાન કરતાં કહ્યું કે જીએસટી રીફોર્મ્સના લીધે જનજીવનને ઘણો લાભ થઈ રહ્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ આગામી દિવસોમાં આવતા તહેવારોમાં સ્વદેશી ચીજ વસ્તુઓના ખરીદ વેચાણને વેગ આપીને આત્મનિર્ભર ભારત વિકસિત ભારતનો સંકલ્પ વેગવાન બનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિચરતી વિમુક્ત જાતિના લોકોને કાયમી સરનામું મળી રહે તેવા આશયથી 'ઘરનું ઘર' આપવાની શરૂઆત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, 28 જેટલી વિચરતી અને 12 જેટલી વિમુક્ત જાતિ મળી કુલ 40 જેટલી જાતિઓ સામાજિક અને શૈક્ષણિક રીતે ઘણી પછાત હોય છે ત્યારે રાજ્ય સરકારે 2015માં આવા લોકો માટે નિગમની રચના કરી હતી.
રાજ્ય સરકારે વિચરતી વિમુક્ત જાતિના બાળકોના અભ્યાસ માટેની ચિંતા કરી
રાજ્ય સરકારે વિચરતી વિમુક્ત જાતિના બાળકોના અભ્યાસ માટેની ચિંતા કરી તેમને સ્કોલરશીપ અને બીજી ઘણી શૈક્ષણિક સહાય મળી રહે તેવા પ્રયાસો કર્યા છે તેવું મંત્રીએ ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું જે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ છેવાડાના લોકો સુધી વિકાસના લાભ પહોંચે તે દિશામાં કાર્ય કરી રહ્યા છે. વધુમાં જણાવતા મંત્રીએ કહ્યું કે, સ્ટ્રીટ વેન્ડર્સને પોતાના ધંધા માટે બેંકમાંથી સરળ રીતે લોન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પદ્મશ્રી ભાનુભાઈ ચિતારાનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ અને ભાજપ ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. કે.લક્ષ્મણ, રાજ્યસભા સાંસદ અને પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના પ્રમુખ મયંક નાયક, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, ભરતભાઈ પટણી, પ્રવિણભાઈ ધુગે, સાગરભાઈ રાયકા તથા વિચરતી વિમુક્ત જાતિઓના રાજ્યભરમાંથી આવેલ આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: Cyclone Shakti અરબ સાગરમાં સક્રિય થયુ, જાણો શું છે હવામાન વિભાગની આગાહી