આરોપી ખેંગાર જેમાભાઈ પનારાએ સરકારી જમીનમાં આવેલા બે કૂવાઓનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ફાયરકલે અને કાર્બોસેલ જેવી કિંમતી ખનીજોનું ખનન શરૂ કર્યું હતું. કુદરતી સંપત્તિની આ રીતે કરવામાં આવતી લૂંટને કારણે સરકારને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું.
સરકારી જમીન પર હાથ સાફ કરનાર શખ્સ ઝડપાયો
આ સમગ્ર પ્રકરણમાં કુલ 13.25 લાખ રૂપિયાની ખનીજ ચોરી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને સાયલા પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી હતી અને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
SOG પોલીસની ટીમે બાતમીના આધારે સાયલા તાલુકાના ચોરવીરા ગામે જ દરોડો પાડીને મુખ્ય ભૂમાફિયા ખેંગાર જેમાભાઈ પનારાને ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સુરેન્દ્રનગર પોલીસનું ઓપરેશન 'ખનીજ ચોર'
પોલીસની પૂછપરછમાં આરોપીએ કેવી રીતે અને કેટલા સમયથી આ ખનન કાર્ય ચલાવ્યું હતું, તે અંગે વધુ વિગતો મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. શું આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ કે કંપનીઓની પણ સંડોવણી છે, તે દિશામાં પણ તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર પોલીસના આ સપાટાથી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારા તત્વોને સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે રાજ્યની જમીન કે કુદરતી સંસાધનો સાથે ચેડા કરનારને બક્ષવામાં નહીં આવે. હાલ પોલીસ દ્વારા આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરીને વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Girsomnath : ઉના તાલુકાના પાણખણ ગામે ઈનફાઈટમાં સિંહ બાળનું મોત, વન વિભાગે તપાસનો ધમધમાટ કર્યો શરૂ