LAC થી આવી ખુશખબરી, ભારત-ચીનની સેનાએ કરી પીછેહટ
- ભારત અને ચીન વચ્ચે થયેલા સમજૂતી કરાર હેઠળ બંને દેશની સેનાએ તબક્કાવાર પીછેહઠ શરૂ
- પૂર્વી લદ્દાખ સેક્ટરમાં ડેમચોક અને ડેપસાંગમાં ભારતીય અને ચીનના સૈનિકોએ બે પોઈન્ટ પર પીછેહઠ કરી
- બંને સેનાના હંગામી તંબુઓ અને કામચલાઉ સ્ટ્રક્ચરને હટાવવામાં આવી રહ્યા છે
LAC : ભારત અને ચીન વચ્ચે થયેલા સમજૂતી કરાર હેઠળ બંને દેશની સેનાએ તબક્કાવાર પીછેહઠ શરૂ કરી દીધી છે. LAC પૂર્વી લદ્દાખ સેક્ટરમાં ડેમચોક અને ડેપસાંગમાં ભારતીય અને ચીનના સૈનિકો બે પોઈન્ટ પર પીછેહઠ કરી રહ્યા છે. બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી મુજબ, ભારતીય સૈનિકોએ સંબંધિત વિસ્તારોમાં તૈનાત ઉપકરણોને હટાવવાનું શરૂ કરી દીધું છે. બંને સેનાના હંગામી તંબુઓ અને કામચલાઉ સ્ટ્રક્ચરને હટાવવામાં આવી રહ્યા છે.
ડેમચોક અને ડેપસાંગમાં પેટ્રોલિંગ અંગે સમજૂતી થઈ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત અને ચીન ડેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાં એકબીજાને પેટ્રોલિંગ અધિકારો પુનઃસ્થાપિત કરવા માટે સંમત થયા છે. આનો અર્થ એ છે કે ભારતીય સૈનિકો ડેપસાંગ અને ડેમચોકમાં ચાર્ડિંગ નાલામાં પેટ્રોલ પોઈન્ટ્સ (PP) 10 થી 13 સુધી પેટ્રોલિંગ કરી શકે છે. સમજૂતી પહેલા ડેપસાંગ અને ડેમચોકમાં બંને પક્ષોના 50,000 થી 60,000 સૈનિકો તૈનાત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય સૈનિકો ચાર્ડિંગ ડ્રેઇનની પશ્ચિમ બાજુએ પાછા હટી ગયા છે, જ્યારે ચીની સૈનિકો ડ્રેઇનની પૂર્વ તરફ પીછેહઠ કરી રહ્યાં છે. બંને બાજુ 10-12 જેટલા કામચલાઉ બાંધકામો અને 12 જેટલા ટેન્ટ છે જેને હટાવવાના છે.
ચીની સેનાએ પણ આ વિસ્તારમાં પોતાના વાહનોની સંખ્યામાં ઘટાડો કર્યો
ગુરૂવારે ચીની સેનાએ પણ આ વિસ્તારમાં પોતાના વાહનોની સંખ્યામાં ઘટાડો કર્યો હતો અને ભારતીય સેનાએ પણ કેટલાક સૈનિકોને પાછા ખેંચી લીધા હતા. અહેવાલો અનુસાર, પ્રક્રિયા પૂર્ણ થયા પછી, આગામી 4-5 દિવસમાં ડેપસાંગ અને ડેમચોકમાં ટુકડીઓનું પેટ્રોલિંગ ફરી શરૂ થવાની અપેક્ષા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરાર હેઠળ હવે ચીનના સૈનિકો ડેપસાંગ સ્થિત બોટલનેક વિસ્તારમાં ભારતીય સૈનિકોને રોકી શકશે નહીં. આ 18 કિલોમીટરનો વિસ્તાર છે, જેના પર ભારતનો દાવો છે.
આ પણ વાંચો----China આવી ગયું લાઇન પર..કહ્યું...પૂર્વ લદ્દાખની મડાગાંઠ ઉકેલાશે
બ્રિક્સ સંમેલન પહેલા આ કરારની જાહેરાત કરવામાં આવી હતી
નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ રશિયામાં બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો અને ત્યાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરી તે પહેલા ભારત અને ચીન વચ્ચે LAC પર પેટ્રોલિંગને લઈને સમજૂતી થઈ હતી. આ કરાર હેઠળ, બંને સેનાઓ વર્ષ 2020 પહેલા સ્થિતિ પર પાછા ફરશે. ચીને પણ કરારને બહાલી આપી, બેઇજિંગે કહ્યું કે 'સંબંધિત બાબતો' ઉકેલાઈ ગઈ છે અને તે કરારની દરખાસ્તોને લાગુ કરવા માટે નવી દિલ્હી સાથે કામ કરશે.
બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણ અટકશે
ડેમચોક અને ડેપસાંગમાં પેટ્રોલિંગ અને ઢોર ચરાવવાની વ્યવસ્થા મે 2020 પહેલાની જેમ ફરી શરૂ થશે. કરાર હેઠળ, ગાલવાન વેલી, પેંગોંગ ત્સોની ઉત્તરી અને દક્ષિણી બેંકો, ગોગરા-હોટ સ્પ્રિંગ્સ વિસ્તાર જેવા સંઘર્ષના સ્થળો પરની વ્યવસ્થાઓ અગાઉના કરારો મુજબ જ રહેશે. ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે સમજૂતી બાદ LAC પર બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણ બંધ થઈ જશે. નોંધનીય છે કે વર્ષ 2020માં ગલવાનમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતીય સેનાના કર્નલ રેન્કના અધિકારી સહિત 20 ભારતીય જવાનોએ શહીદ થયા હતા.
આ પણ વાંચો----રશિયામાં પુતિન સાથે Indiaના જેમ્સ બોન્ડની કમાલ..Chinaએ પોતાના સૈનિકો.....